લોકડાઉન વચ્ચે ન ઘરના ન ઘાટના બનેલા શ્રમિકો વતન પરત ફરવા થતા આતુર, કરી રહ્યા છે આ રીતે પલાયન
દિલ્હી એનસીઆરમાં રહેતા શ્રમિકોએ 21 દિવસના પહેલા લોકડાઉનનો સમય તો જેમ તેમ કરીને પસાર કરી લીધો પરંતુ લોકડાઉન 0.2નો
આ અંતિમ તબક્કો તેમના માટે મુશ્કેલ બની જતા 50 જેટલા શ્રમિકોએ ધીરજ ગુમાવી છે. હાલ વાહન કે એક શહેર છોડી બીજા શહેર જવાની પરવાનગી તો મળતી નથી તેવામાં આ શ્રમિકોએ સાઈકલ સવારી કરી પોતાના વતન પરત ફરવા નીકળી પડ્યા હતા.
આ શ્રમિકો દિલ્હી, હરિયાણા અને પંજાબમાં કામ કરનાર દેહાડી મજૂરો છે. સાઈકલ લઈ વતન જવા નીકળેલા આ લોકોન દિલ્હી પોલીસે હરિયાણા અને દિલ્હીથી બિહાર, યૂપી, મધ્ય પ્રદેશ જતાં પકડ્યા હતા. દિલ્હી પોલીસે આ મજૂરોના પાંચ અલગ અલગ વિસ્તારમાંથી પકડ્યા હતા.
પોલીસએ મહામહેનતે આ શ્રમિકોને લોકડાઉન અંગે સમજાવ્યા અને ત્યારબાદ તમામને શેલ્ટર હોમ પહોંચાડવામાં આવ્યા હતા. આ શ્રમિકો બિહાર જવા માટે આ ધોમધખતા તાપમાં પણ નીકળી પડ્યા હતા. દિલ્હી પોલીસે ફતેહપુર બેરી વિસ્તારમાં હરિયાણાના બહાદુરગઢથી આવેલા 15 સાઈકલ સવાર શ્રમિકોને રાધાસ્વામી સત્સંગ શેલ્ટર હોમમાં મોકલ્યા હતા. આ તમામ શ્રમિકો બિહારના મધુબની જઈ રહ્યા હતા.
દક્ષિણ દિલ્હીના સાકેત વિસ્તારમાં વધુ ચાર શ્રમિકોને રોકવામાં આવ્યા હતા. આ લોકો હરિયાણાના પટૌડીથી પગપાળા ચાલી અને યૂપીના અમરોહા જવા નીકળી પડ્યા હતા. આ તમામ મજૂરોને મહરૌલી શેલ્ટર હોમમાં છોડવામાં આવ્યા. સાથે જ માલવીય નગર પોલીસ મથકના વિસ્તારમાંથી નવ મજૂરોને રોકવામાં આવ્યા જે પણ પગપાળા પોતાના વતન જવા નીકળી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકારે દેશભરમાં 25 માર્ચથી લોકડાઉન લાગૂ કર્યું હતુ. પરંતુ આ સમય દરમિયાન દર્દીઓની સંખ્યા વધતી જણાતા લોકડાઉનને 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં પોતાના વતનથી દૂર કામ કરવા આવેલા શ્રમિકોની હાલત કફોડી થઈ છે. આ સમય દરમિયાન દેશમાં રેલ્વે, બસ જેવી ટ્રાંસપોર્ટ સેવા પણ બંધ હોવાથી લોકો પગપાળા કે સાઈકલ લઈ પોતાના વતન જવા નીકળવા લાગ્યા છે.