પાલઘર બાદ બુલંદશહેરમાં 2 સાધુઓની ગળુ કાપીને કરવામાં આવેલી કમકમાટીભરી હત્યા, એક યુવકને શંકાને આધારે હિરાસતમાં લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના પાલઘરમાં હજુ તો મોબ લોન્ચિંગમાં મૃત્યુ પામેલાં બે સાધુઓ અને એમનાં ડ્રાઈવરની મૃત્યુની શાહી સુકાઈ નથી ત્યાં યુપીના બુલંદશહેરમાં 2 સાધુઓની ગળુથી હત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે. મંદિર પરિસરમાં આવેલા ઓરડામાં બે સાધુઓની લોહીથી લથબથ લાશ મળી આવી હતી. આ ઘટના બુલંદશહેર નજીક આવેલાં અનૂપશહર કોટવાલી વિસ્તારના પગોના ગામની છે.
પોલીસે શંકાના આધારે ગામના એક યુવાનની અટકાયત કરી છે. આ યુવકનું નામ અગાઉ પણ નાના-મોટાં ગુનામાં પોલીસ ચોપડે ચડ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. અમુક લોકોનું કહેવું છે કે ગઈકાલે કંઇક બાબતે આ યુવક અને સંતો વચ્ચે ઝઘડો થયો હતો.
ઘટના બાદ બુલંદશહેર એસ.એસ.પી સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની બારીકાઈથી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યામાં ગામના જ વ્યસની યુવાન મુરારીનું નામ સામે આવ્યું છે.
બુલંદશહેર પોલીસે દાવો કર્યો છે કે અટકાયતમાં લેવામાં આવેલો મુરારી લાંબા સમયથી ગાંજાનો નશો કરતો આવ્યો હતો. આરોપી ઉપર પણ બે દિવસ પહેલા સાધુઓનાં ચિપિયા ચોરી કરવાનો આરોપ હતો. આ મામલે મૃતક સાધુઓ અને આરોપી મુરારી વચ્ચે દલીલ થઈ હતી, જેમાં આરોપી મુરારીએ બંને સાધુઓના પરિણામ ભોગવવાની ધમકી પણ ઉચ્ચારી હતી.
પોલીસ અધિકારીઓનો દાવો છે કે આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને આરોપી હજી નશામાં છે. હાલમાં બંને સંતોના મૃતદેહનું શબપરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે ઘટના સ્થળની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવી છે. બુલંદશહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ આરોપી મુરારીની પૂછપરછમાં વ્યસ્ત છે.
આ કેસમાં એસ.એસ.પી સંતોષકુમાર સિંહે કહ્યું, ‘બે સાધુઓ એક મંદિરમાં રહેતા હતા. મુરારી નામનો વ્યક્તિ આ મંદિરની નિયમિત મુલાકાત લેતો હતો. મુરારી નશા માટે ગાંજાનો અતિશય ઉપયોગ કરતો હતો. ત્રણ-ચાર દિવસ અગાઉ સાધુઓનાં રૂમમાંથી એમનાં ચિપિયા ગાયબ થઈ ગયાં હતાં.
સાધુઓને મુરારી પર શક હોવાથી એમને તેને ઠપકો આપ્યો. આ કારણોસર, આજે સવારનાં સમયે મુરારીએ બંને સાધુઓની તલવાર વડે હત્યા કરી હતી. ગામલોકોએ તેને તલવાર સાથે ગામની બહાર જતો જોયો હતો.
લોકોની જુબાનીને આધારે મુરારીની તાત્કાલિક તલાશી લેવામાં આવી હતી. મુરારીની ધરપકડ કરવામાં આવી ત્યારે તે ગામથી બે કિ.મી. અંતરે નશાની હાલતમાં અર્ધજાગૃત અવસ્થામાં મળી આવ્યો.
મુરારી જ અસલી ગુનેગાર છે કે નહીં એનું કોઈ અધિકારીક સ્ટેટમેન્ટ હજુ સુધી આવ્યું નથી. ગુનેગાર જે કોઈપણ હોય પણ આપણાં સનાતન ધર્મમાં માનનારા દેશમાં સાધુઓની થતી આ પ્રકારની હત્યાઓ ઘણી નિંદનીય છે.