ગુજરાત હોય કે દેશ હોય પીએમ મોદીએ દરેક પડકારો સામે કઈક કરી બતાવ્યું છે. ત્યારે કોરોનામાં મોદી ક્યાંક ઢીલા પડ્યા હોય એવું લાગી રહ્યું છે. દેશભરમાં આટલી મહામારી હોવા છતાં ચૂંટણીની રેલીઓ કરી અને લોકોના મનમા ઈમેજ ઘણી બગડી ગઈ. ત્યારે આવા માહોલ વચ્ચે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આજે 7 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ 7 વર્ષ પણ કોઈ રોલર-કોસ્ટર રાઈડથી કમ નથી. કારણ કે વિરોધ, વિવાદો અને આંદોલનો સાથે મોદીને ઘણો જૂનો નાતો છે.
એક વાત એ પણ જોવા જેવી છે કે અત્યાર સુધીમાં દરેક પડકારમાં વધુ સ્ટ્રોંગ બની ઊભરી આવ્યા હોવાના અનેક દાખલા છે અને છેક 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં પીએમ મોદી ખુબ જ મજબૂત બન્યા છે અને અનેક પડકારો પણ સામે આવ્યા છે. જો 2001 પછીની વાત કરીએ તો 2002નાં રમખાણો, 2007ના નકલી એન્કાઉન્ટર સહિતના વિવાદોએ મોદીની CM તરીકેની સ્થિતિ વધુ મજબૂત બનાવી હતી ગુજરાત બહાર પણ ફેમસ થવા લાગ્યા હતા.
એ જ રીતે 2014ની વાત કરીએ તો મોદી વડાપ્રધાન બન્યા બાદ નોટબંધી અને GST જેવા નિર્ણયોની ટીકા તથા બીજી ટર્મમાં નાગરિકતા કાનૂન, કૃષિ વિધેયકે મોદીની સત્તાના પાયા હચમચાવી નાખે એવા પડકારો ઊભા કર્યા હતા, પણ હવે કોરોનાએ મોદીની ઈમેજની ખરડી નાખી હોય એવું લાગી રહ્યું છે અને આ વખતે એવી ઈમેજ ખરડી કે જેમાંથી બહાર આવવું ખુબ જ અઘરું છે.
કોરોના મહામારી અને એની બીજી લહેરમાં ‘મિસમેનેજમેન્ટ’ના આક્ષેપોથી મોદીના અભેદ્ય ગણાતા બખ્તરમાં તડા પડવાનું શરૂ થઈ ગયું છે. આનો સૌથી મોટો પુરાવો એ છે કે અનુપમ ખેર જેવા મોદીના કટ્ટર સમર્થકો અને સંઘ પરિવાર જેવી પિતૃસંસ્થાઓ પણ ‘મોદીએ ભૂલ કરી છે’ એવા શબ્દો કહીને મોદીને ટકોર કરી રહ્યા છે.
આ સિવાય વાત કરવામાં આવે તો મોદી પાસે ‘આફતને અવસરમાં’ તબદિલ કરી નાખવાની પોતાની આવડત ઉપરાંત આ વીસ વર્ષમાં હરહંમેશ ક્રાઈસિસ મેનેજર તરીકેની કામગીરી બખૂબી નિભાવનારા અમિત શાહનો ટેકો હજુ યથાવત છે. ફરક એટલો છે કે એ સમયે ગુજરાતમાં મોદી CM હતા ત્યારે અમિત શાહ ગૃહરાજ્યમંત્રી હતા અને આજે મોદી PM છે તો શાહ દેશના HM છે. બન્નેના હોદા પણ દેશમાં સૌથી મોટા માનવામાં આવે છે. જો વિગતે વાત કરવામાં આવે તો ગુજરાતનાં રમખાણોને કારણે નરેન્દ્ર મોદીની છબિ ખૂબ ખરડાઈ હતી અને તેમની પોલિટિકલ ઇમેજ સામે મોટું સંકટ પેદા થયું હતું.
આ સાથે જ વાત કરીએ તો 2005માં તો અમેરિકન સરકારે મોદીના મુખ્યમંત્રી તરીકેના સત્તાવાર પ્રવાસ માટે વિઝા આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો, પરંતુ પડકારોમાં વધુ મજબૂતાઈથી ઊભરી આવવાની મોદીની કુનેહ કહો કે આફતને અવસરમાં પલટી નાખવાની ક્ષમતા એ જ અમેરિકન સરકારે 27 સપ્ટેમ્બર, 2014ના રોજ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ન્યૂયોર્કની ધરતી પર પહોંચ્યા ત્યારે લાલજાજમ બિછાવીને તેમનું સ્વાગત કરાયું હતું. જો કે અત્યારસુધી ખેડૂત આંદોલનને મોદીના વડાપ્રધાનના કાર્યકાળનો સૌથી મોટો પડકાર ગણવામાં આવી રહ્યો હતો અને ત્યાર બાદ બીજા ક્રમે નાગરિકતા કાનૂન એટલે કે CAA હતો, પરંતુ હવે પ્રાયોરિટી બદલાઈ છે.
હાલની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો કોરોનાની બીજી લહેરે બધાં સમીકરણો બદલી નાખ્યા છે. એક તરફ, ગુજરાત અને યુપી જેવા મોદીના સ્ટ્રોંગહોલ્ટ ગણાતાં રાજ્યો સહિત દેશભરમાં લાશોના ઢગલા વચ્ચે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રચારમાં હજારો-લાખોની મેદની એકત્ર કરતા વડાપ્રધાનની ટીકા થાય એ સમજી શકાય એવી વાત છે. દિવસે રાષ્ટ્રજોગ સંબોધનમાં ‘દો ગજ કી દૂરી’ રાખવાનો આગ્રહ દાખવતા વડાપ્રધાન બંગાળની રેલીમાં લાખો સમર્થકોને જોઈને ‘આ..હા..હા..’નાં ઉચ્ચારણો કરે એ પ્રસંગે PM સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયા હતા.
જે લોકો પીએમ મોદીને ખુબ ચાહતા હતા એ પણ ટ્રોલિંગવ પર ઉતરી આવ્યા હતા. કોરોનામાં ભલભલા દિગ્ગજો યમસદને પહોંચી ગયા અને આ કારણે જ પહેલા સુબ્રહ્મણ્યમ સ્વામી જેવા ભાજપના જ નેતા પછી જીતનરામ માંઝી જેવા સત્તાના સાથીદાર અને હવે તો ખુદ અનુપમ ખેર જેવા કટ્ટર સમર્થક પણ મોદીની સીધી કે આડકતરી ટીકા કરવા લાગ્યા છે.
તાજેતરમાં જ પૂર્ણ થયેલી ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં આમ તો કશું ખાસ નહોતું, પણ પશ્ચિમ બંગાળે આખા દેશમાં આ ચૂંટણીની ચર્ચા જગાવી દીધી હતી. જો કે કરૂણતા એ હતી કે બે વર્ષ પહેલાંથી જ ભાજપ આ ચૂંટણીની તૈયારી કરી રહ્યું હતું, આ સાથે જ ચાણક્યની ઉપમા ધરાવતા અમિત શાહના ટ્રેક રેકોર્ડને જોતાં આ ચૂંટણીમાં મમતા બેનર્જીને હરાવીને ભાજપ જીતી જ જશે એવું આખા ભારતને લાગતું હતું, પરંતુ આવું થયું નહીં અને મમતા દીએ મોદીને ટક્રર આપીને જીતી લીધી.
એ પણ એકલા હાથે તેમજ એક પગે ચૂંટણીપ્રચાર કરીને 200થી વધુ સીટ જીતી દેખાડી, ત્યારે પણ સોશિયલ મીડિયા પર ખુબ મેસેજ વાયરલ થતાં હતા કે ગધી પણ ગઈ અને ફારયું પણ ગયું. ત્યારબાદ ઘણી મીમ પણ વાયરલ થયા હતા. કોરોનાને જોઈને પરિસ્થિતિ મોદી સરકાર ‘મેનેજ’ ના કરી શકી એવું તેમના સમર્થકો પણ માની રહ્યા છે.
આ કારણે જ આવતા વર્ષે યુપી સહિત પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી મોદી માટે આર યા પારનો જંગ છે એવું પણ કહેવું ખોટું નથી. મુસીબતો અને વિવાદ નરેન્દ્ર મોદી માટે કાંઈ નવી વાત નથી. પરંતુ હવે માહોલ બદલાયો છે ત્યારે જોવાનું રહ્યું કે ખરેખરો ખેલ કેવો થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!