વિશ્વમાં એવી અનેક અદ્ભૂત અને સુંદર ઇમારતો આવેલી છે જે અમુક વર્ષો પહેલાની અથવા તો સદીઓ પહેલા બંધાયેલી છે.
એ સિવાય એ પણ કે આવી પ્રાચીન ઇમારતો વિશે અનેક પ્રકારની વાતો પ્રચલિત હોય છે જે તેના વિશે વધુ સંશોધન કરવા પ્રેરે છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એવી જ પ્રાચીન ઇમારત વિશે જણાવવાના છીએ જે તમારા માટે જ્ઞાનપ્રદ બની રહેશે.
અહીં આપણે એવા પ્રાચીન ચર્ચો વિશે વાત કરવાના છીએ જે અંદાજે 800 વર્ષ જૂના માનવામાં આવે છે અને આજના સમયમાં પણ આ ચર્ચોની મુલાકાત લેવા પર્યટકો આવે છે.
આ પ્રાચીન ચર્ચો ઇથોપિયા દેશના લાલીબેલા શહેરમાં આવેલા છે અને તેને શહેરના નામથી જ એટલે કે ” લાલીબેલા ચર્ચ ” ઓળખવામાં આવે છે. આ સ્થળે કુલ 11 ચર્ચો આવેલા છે જેનું નિર્માણ મોટી મોટી શિલાઓને કોતરીને કરવામાં આવ્યું છે. કહેવાય છે કે લાલ અને કેસરી રંગની આ મહાકાય શિલાઓ જ્વાળામુખીના લાવાથી બનેલી છે.
અને 12 મી તથા 13 મી સદીના સમયગાળામાં આ ચર્ચોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને તેના નિર્માણમાં લાલીબેલા નામના રાજાનો બહુ મોટો ફાળો હતો જે જાગ્વે રાજવંશથી જોડાયેલા હતા. અને તે રાજાના નામથી જ આ શહેરનું નામ લાલીબેલા રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ 11 ચર્ચોનું નામ પણ એ જ રાખવામાં આવ્યું.
કહેવાય છે કે લાલીબેલા રાજાનો આ સ્થળ પર ચર્ચો બનાવવાનો હેતુ એ હતો કે આ સ્થળને ઈસાઈ ધર્મના પવિત્ર શહેરોમાં સ્થાન મળે જેવી રીતે ઇઝરાયેલમાં આવેલું યેરુષલેમ.
એક અંદાજ મુજબ મોટી શિલાઓમાંથી આ ચર્ચ બનાવવા પાછળ લગભગ 20 વર્ષનો સમય લાગ્યો હતો. અને તે સમયે મજૂરો પાસે કામ કરવા માટે હથોડી અને છીણી જેવા સામાન્ય હથિયારો જ હતા. સૌથી વિશેષ વાત તો એ છે કે આ ચર્ચોની અંદર સુરંગ પણ બનાવવામાં આવી છે જેથી બહાર આવ્યા વિના જ એક ચર્ચમાંથી બીજા ચર્ચમાં પ્રવેશી શકાય.
અહીં સ્થિત 11 ચર્ચો પૈકી એક એવા ” બેત અબા લીબાનોસ ” ચર્ચ પોતાની વાસ્તુકલાને કારણે વિશેષ પ્રખ્યાત છે. આ ચર્ચને પણ એક વિશાળ શીલમાંથી જ બનાવાયેલ છે. સૌથી ખાસ વાત એ કે આ ચર્ચમાં ત્રણ બાજુએ કોઈ દીવાલ જ નથી જેથી આ ચર્ચ એક ઉભી શીલા જેવું જ દેખાય છે.
આ ચર્ચોના નિર્માણને લઈને લોકોમાં તરેહ તરેહની અનેક પ્રકારની વાયકાઓ પ્રચલિત છે. વર્ષ 1978 માં યુનેસ્કોએ આ ચર્ચો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ સ્થાન આપ્યું હતું.