મદ્રાસ હાઈકોર્ટે મોદી સરકારને આપ્યો ઝટકો, આ નિયમ કરી દીધો રદ્દ, હવે કાર ચલાવતા પહેલા ધ્યાન રાખજો
હાઇવે પર ઓવર સ્પીડિંગની ઘટનાઓને રોકવા માટે, મદ્રાસ હાઇકોર્ટે કેન્દ્રીય સૂચનાને બાજુ પર રાખીને એક્સપ્રેસ વે પર ટોપ સ્પીડ 120 થી ઘટાડીને 80 કિમી પ્રતિ કલાક કરવાનો આદેશ આપ્યો છે. 4 ઓગસ્ટની આ અધિસૂચના મુજબ, એક્સપ્રેસ વે પરની ટોચની ઝડપ 100 કિમી/કલાકથી વધારીને 120 કિમી/કલાક કરવામાં આવી હતી.
જસ્ટિસ એન કિરુબાકરન અને જસ્ટિસ ટીવી થમિલસેલ્વીની ડિવિઝન બેન્ચે મોટાભાગના માર્ગ અકસ્માતોનું કારણ ઓવરસ્પીડિંગ માન્યું છે. તેમણે કેન્દ્ર સરકારની દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કે આ ઝડપ મર્યાદા નિષ્ણાતોની સમિતિ દ્વારા સારા રસ્તાઓ અને વાહનોની અદ્યતન ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે.
કેન્દ્રની દલીલ સાથે અસહમત
જવાબમાં બેન્ચે પૂછ્યું, “જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા ભાગના માર્ગ અકસ્માતોનું મુખ્ય કારણ ઓવર સ્પીડિંગ છે, ત્યારે કેવી રીતે કહી શકાય કે વધુ સારી રોડ સુવિધાઓ અને અદ્યતન એન્જિન ટેકનોલોજી અકસ્માતોને નીચે લાવશે. કોર્ટની દલીલ હતી કે બીજી તરફ વધુ આધુનિક એન્જિન ટેકનોલોજી, હંમેશા અનિયંત્રિત ગતિ તરફ દોરી જશે અને વધુ માર્ગ અકસ્માતોમાં પરિણમશે.
કડક સજાની માંગ
અદાલતે કહ્યું કે, અધિકારીઓએ સ્પીડ ગન, સ્પીડ ઈન્ડિકેશન ડિસ્પ્લે અને ડ્રોનની મદદથી વધુ ઝડપ ધરાવતા વાહનોના ડ્રાઈવરોને ઓળખવા અને સજા કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. મદ્રાસ હાઈકોર્ટે આગળ ચુકાદો આપ્યો હતો કે, “રોડ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરનારાઓને કાયદા મુજબ કડક સજા થવી જોઈએ.” હાઇ સ્પીડ એન્જિનવાળા વાહનોને એવી રીતે કેલિબ્રેટ કરવા જોઇએ કે જેથી વાહન અનુમતિપાત્ર ગતિ મર્યાદાને ઓળંગી ન જાય.
વળતરમાં વધારો
કોર્ટે એક માર્ગ અકસ્માતમાં 90 ટકા વિકલાંગ થઈ જનાર મહિલા ડેન્ટીસ્ટ અને તેના બે બાળકોને આપવામાં વળતરમાં વધારો કરતા આ આદેશ સંભળાવ્યો હતો. કોર્ટે ટ્રિબ્યુનલ મારફતે આપેલા 18.4 લાખ રૂપિયાના વળતરને વધારીને 1.5 કરોડ રૂપિયા કરી દીધું. 2013 માં, જ્યારે પીડિતા કાંચીપુરમ રોડ પર તેના ટુ-વ્હીલર પર સવાર હતી, ત્યારે તેણીને એક ઝડપી અને લાપરવાહ રીતે ચાલતી MTC બસે ટક્કર મારી હતી.
અલગ કોર્ટની વ્યવસ્થા કરવી જોઈએ
અરજીનો નિકાલ કરતા ન્યાયાધીશોએ સરકારને ટ્રાફિક ગુનાઓ અને અકસ્માતના દાવાઓનો સામનો કરવા માટે ખાસ અદાલતોની સ્થાપના કરવાનું સૂચન કર્યું હતું, જેથી અકસ્માતો અને તે જ અકસ્માત સંબંધિત દાવાઓમાંથી ઉદ્ભવતા ફોજદારી કેસોનો વ્યાપક રીતે નિકાલ થઈ શકે.