બોલિવૂડના સૌથી હોટ કપલ્સમાંથી એક એવા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચાઓ ફરીથી તેજ થઈ ચુકી છે. આમ તો આ ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી સતત ચાલી જ રહી છે. પરંતુ આ વખતે દાળમાં કંઈ કાળું જોવા મળે છે. જો કે લગ્નની વાત પર બંને કલાકારોએ અગાઉ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ તેમના કામમાં વ્યસ્ત છે અને તેમની પાસે ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે જેના પર તેઓ ફોકસ કરી રહ્યા છે. પરંતુ આમ છતાં પણ આ વ્યસ્તતા વચ્ચે ફરી એકવાર રણબીર અને આલિયાના લગ્નની અટકળો તેજ થઈ ગઈ છે. જેનું કારણ છે બંનેની જોધપુર ટ્રીપ.
રણબીર કપૂર અને આલિયા બંને અચાનક રણબીરના જન્મદિવસના એક દિવસ અગાઉ જોધપુર પહોંચી ગયા છે. અહીં તેઓ કેમેરામાં કેદ થયા હતા. જ્યારે આલિયા અને રણબીર જોધપુરના એરપોર્ટની બહાર નીકળતા હતા ત્યારે તેઓ કેમેરાથી બચી શક્યા નહીં.
જોધપુર પહોંચેલી આલિયાએ સિમ્પલ લુક કેરી કર્યો હતો. આલિયાએ જીન્સ સાથે ક્રોપ ટોપ અને ગ્રીન-વ્હાઇટ જેકેટ પહેર્યું હતું. જ્યારે રણબીર બ્રાઉન કલરના આઉટફિટમાં હતો. તેણે સનગ્લાસ પહેર્યા હતા અને બંનેએ માસ્ક પહેર્યા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાની સાથે જ વાયરલ થઈ છે અને સાથે જ ચર્ચા શરુ થઈ છે કે આલિયા અને રણબીર લગ્નના પ્લાનિંગ માટે જ જોધપુર પહોંચ્યા છે.
જો કે અત્યાર સુધી બંનેના પરિવારો તરફથી આ અંગે કોઈ માહિતી મળી નથી. 28 સપ્ટેમ્બરે રણબીર કપૂરનો જન્મદિવસ છે. આવી સ્થિતિમાં એવું પણ બની શકે છે કે તે અહીં પોતાનો જન્મદિવસ ઉજવવા પહોંચ્યો હોય. જો કે આ પહેલી વાર નથી કે જ્યારે આ કપલના લગ્નની ચર્ચા થઈ રહી છે, આ પહેલા પણ ઘણી વખત આવી ચર્ચાઓ થઈ હતી જે પાછળથી અફવા સાબિત થઈ હતી.
મહત્વનું એ પણ છે કે આ પહેલા 2021ની શરુઆતમાં પણ આલિયા અને રણબીર તેમના પરિવારના સભ્યો સાથે જયપુર ગયા હતા. ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ લગ્ન સ્થળ નક્કી કરવા આવ્યા હતા. જો કે તેઓ ત્યાં નવું વર્ષ ઉજવવા ગયા હતા. ત્યારે આ વખતે પણ શક્ય છે કે રણબીર અને આલિયા રણબીરનો જન્મદિવસ ઉજવવા ગયા હોય.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને ‘RRR’ માં જોવા મળશે. તો રણબીર પાસે ‘શમશેરા’ અને ‘એનિમલ’ જેવી મોટી ફિલ્મો છે. બંને ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. મુંબઈમાં સિનેમા હોલ ખોલવાની જાહેરાત થઈ છે તો સાથે જ યશ રાજ ફિલ્મે જાહેરાત કરી દીધી છે કે ‘શમશેરા’ 18 માર્ચ 2022 ના રોજ રિલીઝ થશે.