1 ઓક્ટોબરથી બેંક અને પેમેન્ટ સંબંધિત વહેવારોના બદલી જશે નિયમો, તમારા માટે જાણવું છે જરૂરી
1 ઓક્ટોબરથી ફાઇનાન્સ સિસ્ટમમાં મોટો ફેરફાર થવા જઇ રહ્યો છે. આ દિવસથી નવી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે. હવે ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ હેઠળ, Paytm-Phonepe જેવા ડિજિટલ પ્લેટફોર્મે પણ ઇન્સ્ટોલેશન અથવા કોઈપણ ઓટોમેટિક બિલ પેમેન્ટ માટે રૂપિયા ડેબિટ કરતાં પહેલાં તમારી પરવાનગી લેવી પડશે.
આ સિવાય ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ બેંકના પગાર સંબંધિત ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ નિયમોના અમલ બાદ કર્મચારી વર્ગના પગાર પર સીધી અસર થશે અને બેંકમાં આવતા પગારમાં પણ ઘટાડો થઈ શકે છે. આ સિવાય બેંકમાં જમા નાણાં અંગેના નિયમોમાં પણ ફેરફારો થવાના છે, જેની તમારે કાળજી લેવાની જરૂર છે.
નવા નિયમ હેઠળ કર્મચારીઓના સેલેરી સ્ટ્રકચરમાં પણ ફેરફાર કરવામાં આવશે. જેના કારણે લોકોની ટેક હોમ સેલેરી ઘટી શકે છે. કારણ કે વેતન કોડ અધિનિયમ 2019 મુજબ કર્મચારીનો મૂળ પગાર કંપની CTCની કિંમતના 50% થી ઓછો ન હોઈ શકે. હાલમાં ઘણી કંપનીઓ મૂળભૂત પગારમાં નોંધપાત્ર ઘટાડો કરે છે અને ઉપરથી વધુ ભથ્થાં આપે છે. તેવામાં 1 ઓક્ટોબરથી નવો વેતન કોડ લાગુ થતા તેમાં ફેરફાર થશે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીએ અગાઉ ટ્રેડિંગ ખાતાઓમાં રોકાણકારો માટે કેવાયસી ફરજિયાત બનાવ્યું હતું. અગાઉ તેના અપડેટની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી પરંતુ બાદમાં તેને વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. હવે રોકાણકારો માટે કેવાયસી કરાવવું ફરજિયાત છે. કેવાયસીની વિગતોમાં સરનામું, નામ, પાન, મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી, આવક વગેરે અપડેટ કરવું જરૂરી છે.
દેશમાં ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત કરવાના હેતુથી RBIએ એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશ લાગુ કરવા સૂચના આપવામાં આવી છે. રિકરિંગ ઓનલાઈન પેમેન્ટમાં ગ્રાહકોના હિત અને સગવડને ધ્યાનમાં રાખીને, તેમને છેતરપિંડીથી બચાવવા માટે AFA નો ઉપયોગ કરીને એક માળખું તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પરંતુ IBA ની અપીલને ધ્યાનમાં રાખીને, તેના અમલીકરણની સમયમર્યાદા 31 માર્ચ, 2021 થી વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હતી, જેથી બેન્કો આ માળખાને લાગુ કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી શકે.
આ પ્રક્રિયા OTP દ્વારા પૂર્ણ થશે. આરબીઆઈના નિયમો મુજબ બેંકોએ ગ્રાહકોને કોઈપણ ઓટો પેમેન્ટ કરતા પહેલા નોટિફિકેશન આપવું પડશે અને ગ્રાહકોએ મંજૂરી આપ્યા બાદ જ બેંક ખાતામાંથી પૈસા કપાવી શકશે.