વર્ષોથી ચાલતી પરંપરામાં પહેલવાનોની માંગ, જાણો કોરોનાની આ પરિસ્થિતિમાં શું કહેવું છે અખાડાઓનું
અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા નીકળશે કે નહીં તે અંગે હજી અસમંજસ ભરી સ્થિતિ છે. મંદિર ટ્રસ્ટને નિયમો સાથે જળયાત્રા કાઢવાની શહેર પોલીસ કમિશ્નરે મંજુરી આપી દીધી છે. ત્યારે શહેરમાં નાથની નગરયાત્રા જગન્નાથપુરી મોડલ પર નીકળી શકે તેવી માહિતી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થઈ છે. આ વખતે રથયાત્રાના રૂટ પર જનતા કર્ફ્યૂ કે સંપૂર્ણ કર્ફ્યૂ નાંખીને ભક્તચો વિના જ રથયાત્રા નીકળે તેવી શક્યતાઓ હોવાની પોલીસ અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે.અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની હવે સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
દર વર્ષે રથયાત્રા હજારો ભક્તોનું ઘોડાપુર, અખાડા,ભજન મંડળીઓ અને 100 જેટલા ટ્રક વગેરે જોડાય છે. સરકાર રથયાત્રા કાઢવા માટે સ્થિતિની સમિક્ષા કરીને આવનારા દિવસોમાં યોગ્ય નિર્ણય લેશે. ત્યારે વર્ષોની પરંપરા મુજબ રથયાત્રા સાથે જોડાતા અખાડાનું અનેરું મહત્વ રહેલું છે. ભગવાન જ્યારે નગરચર્યા એ નીકળે ત્યારે આ અખાડાઓ પણ પોતાની કરતબબાજીની ઝાંખીનું પ્રદર્શન કરતા હોય છે.જેમાં તેઓ તલવારબાજી, મલખમ,લાકડી, બરનડી,આગ વાળા ચક્રો, બોડી બિલ્ડીંગના સ્ટંટ વગેરે અલગ અલગ પ્રકાર ના સ્ટંટન્ટ અને વ્યાયામની કસરતોનું પ્રદશન કરતા હોય છે.
તેઓ રથયાત્રા અગાઉ 2 મહિના પ્રેક્ટિસ વધારી દે છે. હાલની પરિસ્થિતિમાં હજી રથયાત્રા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. તેમ છતાંય તેમનામાં રથયાત્રામાં જોડાવા માટેનો ઉત્સાહ અને તૈયારી જોવા મળી રહી છે. શહેરના દરિયાપુરમાં આવેલો વાડીગામ અખાડો દર વર્ષે રથયાત્રામાં જોડાતો હોય છે. જેમાં મોટાભાગના યુવાનો જોવા મળતા હોય છે. તેઓને આશા છે કે આ વર્ષે રથયાત્રા નીકળશે તો 30 માથી 1 અખાડો જોડાશે જેથી વર્ષોની પરંપરા જળવાઈ રહે.
રથયાત્રામાં ભગવાન હશે પણ ભક્ત નહીં
ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોનાનાં કેસ ઓછા થયા છે પણ સંભવિત ત્રીજી વેવને નકારી શકાય નહીં. જે માટે એક સંભાવના એ પણ છે કે આ વખતે રથયાત્રા તો નીકળે પણ તેમાં ભગવાન હોય પણ ભક્ત નહિ.રથયાત્રાના માર્ગ પર કરફ્યૂ લગાવવામાં આવે અથવા જનતા કરફ્યૂ મુકવામાં આવે જેથી કોરોના સંક્રમણ ફેલાય નહિ. આ વખતે રથયાત્રા જો નીકળશે તો અખાડા અને ટ્રક ઝાખીઓ ઓછી હોય કે ન પણ હોય તેવું બની શકે છે.
પંકજભાઈની ત્રીજી પેઢીએ અખાડાની પરંપરા જાળવી
દરિયાપુર વાડીગામ અખાડાના પંકજભાઈ પુરાણીએ વાતચીતમાં જણાવ્યું કે હું છેલ્લા 37 વર્ષથી રથયાત્રામાં અખાડા સાથે જોડાઉ છું. મારી 3 પેઢી છે જે રથયાત્રામાં અખાડા સાથે જોડાઈને પરંપરા જાળવી રાખી છે. અમારી આશા છે કે આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળે. મહામારીને ધ્યાનમાં રાખીને ઓછા લોકો અને 30 અખાડાના બદલે 1 અખાડો પણ જોડાય તો પરંપરા જળવાઈ રહે. અમે 365 દિવસ આ રથયાત્રાને માટે પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ. રથયાત્રાના 2 મહિના અગાઉ પ્રેક્ટિસ વધારી દઈએ છે. અમારી તો પુરી તૈયારીઓ છે. હવે સરકાર જે નિર્ણય લે તેના પર સૌ કોઈ ની નજર છે. જો પરવાનગી મળે તો અમે તમામ નિયમોનું પાલન કરીને રથયાત્રામાં જોડાઈશું.
અખાડાની જુની પરંપરા અમે સાચવી રાખી છે
અખાડાના પહેલવાન ગણેશ કોષ્ટિએ વાતચીતમાં જણાવ્યું કે અખાડાનો એક અલગ જ ઇતિહાસ છે. ભગવાન બલરામજી અખાડા કરતા હતા અને અમે તે પરંપરા જાળવી રાખી છે. આ અખાડામાં નવા કોઈ સ્ટંટ નથી બતાવવામાં આવતા. પરંતુ જે વ્યાયામને લગતી કસરતો છે તેના પર ભાર મૂકવામાં આવે છે. હું 15 વર્ષથી રથયાત્રામાં અખાડા સાથે જોડાઉ છું. આ વર્ષે અમને આશા છે કે સરકાર રથયાત્રા યોજવા માટે અને સાથે અમને પણ પરવાનગી આપે. રથયાત્રામાં 30 અખાડા માંથી 1 જ અખાડો જોડાશે અને નિયમોનું પાલન કરી અમે અખાડાનું પ્રદશન કરીશું. અમને ખ્યાલ છે કે મહામારી ચાલી રહી છે પરંતુ હવે પરિસ્થિતિ સામન્ય થઈ રહી છે. જેથી અમારી અપીલ પણ છે કે રથયાત્રા આનંદ ઉલ્લાસથી યોજાય.
પરંપરાગત રીતે જળયાત્રા નીકળી હતી
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. કોરોનાને કારણે રથયાત્રા યોજવી કે કેમ તે અંગે નિર્ણય લેવાયો નથી.પરંતુ રથયાત્રા અગાઉ થતી તમામ વિધી અત્યારે થઈ રહી છે. કોરોનાને કારણે તમામ વિધિ સાદગીથી કરવામાં આવી રહી છે. જેઠ મહિનાની પૂનમના દિવસે દર વર્ષે જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળે છે. જે આજે પરંપરાગત રીતે નીકળી હતી. ત્યાર બાદ ભગવાનને
અભિષેક કરાવવામાં આવે છે અને ભગવાનને ગજવેશનો શણગાર કરવામાં આવે છે.
અમાસના દિવસ સુધી ભગવાન મોસાળમાં રહેશે
તમામ વિધિ બાદ આજે ભગવાનને નીજ મંદિરથી સરસપુર માં આવેલ રણછોડજીના મંદિર એટલે કે ભગવાનના મોસાળ ખાતે લાવવામાં આવ્યા હતા. મોસાળ ખાતે દર વર્ષ જેટલી ભીડ નહોતી પરંતુ સાદગીપૂર્ણ રીતે ઉમંગથી લોકોએ ભાગવાનું સ્વાગત કર્યું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની આરતી ઉતારવામાં આવી હતી અને તે બાદ ભક્તો માટે ભગવાનના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.આજથી અમાસના દિવસ સુધી ભગવાન મોસાળમાં રહેશે જ્યાં ભક્તો માટે ભગવાનના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બુધવારે પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી રથયાત્રા માટેના ત્રણ એક્શન પ્લાન તૈયાર રાખ્યા છે. પ્લાન એ મુજબ વર્ષોની પરંપરા અનુસાર ચાલુ વર્ષે રથયાત્રા ત્રણેય રથ, 18 હાથી, 101 ટ્રક, 18 ભજન મંડળી અને 30 અખાડા સાથે નીકળે તો તે માટે પોલીસને તૈયાર રહેવા સૂચના અપાઈ છે.
મોટાભાગના વિસ્તારમાં જનતા કર્ફ્યૂ રાખવા સૂચના
મીટિંગમાં રથયાત્રા દરમિયાન મોટા ભાગના વિસ્તારોમાં જનતા કર્ફ્યૂ રાખવા આગેવાનોને સૂચના અપાઈ હતી. આ સિવાયના વિસ્તારોમાં કર્ફ્યૂ લાદવો કે લોકોને ઘરમાં રહીને રથયાત્રા જોવાની સૂચના આપવી તે અંગે હજુ સરકાર નિર્ણય લે પછી પોલીસ તે દિશામાં કામ કરશે. ઉપરાંત હીસ્ટ્રીશીટરોની ધરપકડ અને અટકાયતી પગલાં લેવાનું શરૂ કરવા પણ સૂચના અપાઈ હતી.
જમાલપુર અને સરસપુર મંદિરમાં આવનારા લોકોના કોરોના ટેસ્ટ, રસી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે જમાલપુર અને સરસપુરના મંદિરમાં આવનારા દર્શનાર્થીઓનો કોરોના ટેસ્ટ થઈ શકે અને રસી મળી રહે તેવી વ્યવસ્થા પણ પોલીસે ઊભી કરી છે. આ બંને મંદિરમાં રથયાત્રા સુધી 24 કલાક ચાલુ રહે તેવા દવાખાનાં શરૂ કરાશે, જેનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકાર્પણ કરશે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓને મેડિકલ ટેસ્ટિંગ બાદ જ મંદિરમાં પ્રવેશ અપાશે. ઉપરાંત રથયાત્રામાં જોડાનારા ખલાસી ભાઈઓ સહિત તમામ માટે રસી ફરજિયાત કરાઈ છે. બંદોબસ્તમાં તહેનાત રહેનારા પોલીસ કર્મચારીઓએ રસીના 2 ડોઝ લઈ લીધા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!