ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હાલમાં કંટ્રોલમાં છે પરંતુ બીજા રોગોના વધતા જતા પ્રકોપના કારણે તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. હાલમાં બેવડી ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ બાળકોને પોતાનો શિકાર બનાવ્યા છે. નોંધનિય છે કે, વાયરલ ઈન્ફેક્શન, શરદી, ઉદરસ અને તાવ જેવી બીમારીઓમાં મોટો વધારો થયો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 80 દિવસમાં 5 હજારથી વધુ બાળકો બીમાર પડતા OPDમાં સારવાર લેવા પહોંચ્યા હતા. જેને લઈને હોસ્પિટલમાં બેડ ખુટી રહ્યા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.
નોંધનિયછે કે, આંકડા પર નજર નાંખીએ તો, અમદાવાદમાં વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલની OPDમાં દરરોજ 100 બાળકો સારવાર માટે આવે છે. જેમાંથી 50 ટકા બાળકોને એડમિટ કરવા પડી રહ્યાં છે. જે તંત્ર માટે આ હાલમાં ચિંતાનો વિષય છે.
તમને જણાવી દઈએ કે, છેલ્લા 80 દિવસમાં અલગ-અલગ બીમારીઓનો ભોગ બનેલા 5178 બાળકો સારવાર માટે સિવિલમાં આવ્યા હતા. જે પૈકીના 3000થી વધુ બાળકોને દાખલ કરવા પડ્યાં છે.
આ ઉપરાંર દાખલ થનારા બાળકોમાંથી 70 ટકા બાળકોને એક્સિજન બેડની જરૂર પડી રહી છે. જેને લઈને આરોગ્યા વિભાગ હરકતમા આવ્યું છે. બાળકોમાં વધતી બીમારીઓને લઈને તેની સામે 10 વેન્ટિલેટર બેડ છે. આથી પ્રાયોરિટી નક્કી કરીને બાળકોને વેન્ટિલેટર આપવામાં આવી રહ્યાં છે. નોંધનિય છે કે, બાળકોમાં વધતા વાઇરલ ઇન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે. જો કે આ તો માત્ર અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિ છે. રાજ્યની અન્ય હોસ્પિટલોમાં પણ વાઈરવ ફિવરના કેસો વધી રહ્યા છે.
તો બીજી તરફ એક સારા સમાચાર એ આવ્યા છે કે, અમદાવાદમાં બુધવારે વિક્રમજનક એક લાખ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી, તેમા 60-70 ટકા નાગરિકો સ્લમ અને લઘુમતિ વિસ્તારનાં જ છે, જેમણે હજુ પ્રથમ ડોઝ લીધો છે. જયારે અન્ય વિસ્તારોનાં નાગરિકો જેમણે પ્રથમ ડોઝ લઇ લીધો હતો અને તેમને બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયો હોય તેવા 36 હજારથી વધુ લોકોએ રસી લઇ લીધી છે. આ ઉપરાંત 72 હજારથી વધુ નાગરિકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. નોંધનિય છે કે લોકોના રસી પ્રત્યે હવે ધીમે ધીમે જાગૃતતા આવી રહી છે.
આ અંગે મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરે કહ્યું કે, બીઆરટીએસ સ્ટેશન, એએમટીએસ સ્ટેન્ડ તથા ઝોનલ ઓફિસ વગેરે જગ્યાએ 25 હજાર જેટલાં નાગરિકોએ વેક્સિન લીધી હતી. મ્યુનિસિપલનાં કોરોના વેક્સિનેશન અભિયાનને મળી રહેલાં સારા પ્રતિસાદને જોતાં આગામી દિવસોમાં અમદાવાદના જુદાજુદા વિસ્તારોમાં ભરાતા કડિયાનાકા ખાતે આવતીકાલે વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. જેથી વધુને વધુ લોકોને રસી આપી શકાય. તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, પહેલાં કોરોના વેક્સિનનો પૂરતો જથ્થો મળતો નહોતો અને લોકો વેક્સિન લેવા પડાપડી કરતાં હતા તેના કારણે તમામ વેક્સિન સેન્ટરો બહાર લાંબી લાઇનો લાગતી હતી, પરંતુ હવે મોટાભાગની વસ્તીએ પ્રથમ ડોઝ અને બીજો ડોઝ લઈ લીધો છે. જેથી આગામી સમયમાં પણ આવી જ રીતે કોરોના વેક્સિનનું અભિયાન ચાલુ રાખવામાં આવશે.