અભ્યાસ અર્થે જતી દીકરી પાછી આવશે પણ ખરી કે કેમ તેની ચિંતા વાલીઓને સતત સતાવતી રહે
રાજ્ય સરકાર ભણતરને વેગ આપવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે.. સરકારી શાળાઓનુ સ્તર પણ સુધારી રહી છે.. છતાં ગુજરાતના આ ગામની દીકરીઓને મનમાં પ્રશ્ન થાય છે કે કેવી રીતે ભણીશ..? આખરે એવુ તો કયુ ગામ છે..? અને એવી તો કેવી સમસ્યા છે કે અભ્યાસ અર્થે જતી દીકરીઓ અને તેના માતા પિતા સતત ચિંતામાં રહે..? તે જાણવા માટે આ અહેવાલને વાંચો
દીકરી ભણે અને આગળ વધે તેવા પ્રયાસ કરવાની ગુલબાંગો રાજ્ય સરકાર હંમેશા પોકારતી રહે છે.. પરંતુ દીકરીઓને અભ્યાસમાં પાયાની સુવિધા આપવામાં પણ સરકાર ઉણી ઉતરી રહી છે.. શિક્ષણનુ સ્તર સુધારવા માત્રથી દીકરીઓ અભ્યાસમાં પારંગત થઇ જશે તેવુ નથી.. અભ્યાસ કરવા માટે શાળા સુધી પહોંચવા માટે યોગ્ય વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે.. જો ઘરથી શાળા સુધીનો માર્ગ જીવલેણ હશે તો દીકરી ઘરેથી નિકળશે તો ખરી પરંતુ શાળા સુધી પહોંચી કે નહીં તેની સતત ચિંતા માતા પિતાને સતાવતી રહેશે.. અને તે જ રીતે જો દીકરી શાળાએ પહોંચી ગઇ.. તો ત્યાંથી અભ્યાસ કરીને ફરી ઘરે પહોંચી કે કેમ તેની ચિંતા શિક્ષકોને પણ સતાવે.. આખરે એવુ તો શું છે માર્ગમાં..?
આ વાત ગુજરાતના કોઇ અંતરિયાળ ગામની કે વિસ્તારની નથી.. પરંતુ સૌરાષ્ટ્રના ગઢ સમાન રાજકોટ જિલ્લાની છે.. ઉપલેટાના ગઢાળા ગામની છે.. જ્યાં જીવના જોખમે મોતનો કોઝ વે પાર કરીને શાળાએ જવાની ફરજ ગઢાળા ગામની દીકરીઓને પડી રહી છે.. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે મોજ નદીમાં રેલમછેલ થઇ.. ભારે વરસાદના કારણે આવેલા વરસાદી પાણીના પગલે ગઢાળા ગામને જોડતો કોઝ વે પાણીમાં ગરકાવ થઇ ગયો.. અને ગામમાં અવર જવર કરવા માટે એકમાત્ર કોઝ વે પરથી ગ્રામજનોને જીવના જોખમે પસાર થવાનો વારો આવ્યો છે.. અને આ જ મોતના રસ્તે થઇને ગઢાળા ગામની દીકરીઓને શાળાએ જવું પડે છે.. પાણીના સતત વહેતા પ્રવાહની વચ્ચે પસાર થતી દીકરીઓને ક્યારે અકસ્માત થાય તેની જાણ કોઇને નથી હોતી.
ગઢાળા ગામના આ જ કોઝ વે પર અગાઉ પણ અનેકવાર ગંભીર અકસ્માતો થયા છે.. અને માટે જ ગ્રામજનોએ આ કોઝ વે ને થોડો વધુ ઉંચો બનાવી આપવા માટે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે.. પરંતુ તંત્ર બેધ્યાનપણું સેવી રહ્યું છે.. ચૂંટણી આવે ત્યારે નેતાઓ અહીં સુધી વોટ માંગવા જરૂર આવે છે.. પરંતુ ગઢાળા ગામની આ સમસ્યા જ્યારે નેતાઓ સમક્ષ મૂકવામાં આવે છે ત્યારે ગઢાળાના ગ્રામજનો તેમના માટે અજાણ્યા બની જાય છે.. ગયા વર્ષે પણ આ જ સ્થિતિ હતી.. અને તેના આગળના વર્ષે પણ આ જ સ્થિતિ હતી.. વર્ષોથી ગ્રામજનો આ કોઝ વેને ચાર પાંચ ફૂટ વધારે ઉંચો કરી આપવાની માંગ કરી રહ્યા છે.. પરંતુ તેમની વાત પર કોઇ ધ્યાન નથી અપાતું.. ગ્રામજનોને સૌથી મોટી ચિંતા અભ્યાસ અર્થે જતી દીકરીઓની છે.. કારણ કે આ જ દીકરીઓમાંથી કોઇ IAS, IPS કે દેશના મોટા હોદ્દા પર બિરાજમાન થઇ શકે છે.
પરંતુ તે ત્યારે કે તે ભણી ગણીને આગળ વધે.. પરંતુ હાલ તો સ્થિતિ એવી છે કે દીકરીઓ ભણવા જવાનો માર્ગ જ જળમગ્ન છે.. અને તે જ મોતના દરિયામાંથી પસાર થઇને દીકરીઓને શાળાએ જવું પડે છે.. આખરે ગ્રામજનોની આ સમસ્યાનો અંત ક્યારે આવશે..? ક્યારે દીકરીઓ નિશ્ચિંત થઇને અભ્યાસ અર્થે જઇ શક્શે..? શાળાએ ગયેલી દીકરીઓ અંગે માતા-પિતા ક્યારે નિશ્ચિંત બનશે..?