આમ તો ગુજરાતીઓ માટે અને ભારતીયો માટે એવું કહેવામાં આવે છે કે નિયમો બને જ છે તોડવા માટે. પરંતુ એવું દર વખતે સાચું નથી પડતું. કારણ કે હાલમાં અમદાવાદમાં જે સ્થિતિ જોવા મળી એમાં કંઈક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. તો આવો જાણીએ તે અમદાવાદીએ એવું બધું શું સારુ કર્યું કે ચારેકોર શાબાશી થઈ રહી છે. વાત કરીએ તો અમદાવાદીઓએ મે મહિના બાદ આજે પહેલી વાર કર્ફ્યૂ જોયો અને એ પણ જડબેસલાક કર્ફ્યૂ. ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂની શું સ્થિતિ છે અને નાછૂટકે બહાર નીકળતા લોકો અને બંદોબસ્તમાં રહેલી પોલીસ શું કરી રહી છે એના વિશે એક રિપોર્ટ સામે આવ્યો છે.
જો આ રિપોર્ટ વિશે વિગતે વાત કરીએ તો, બપોર સુધીના સમયગાળામાં શહેરમાં કર્ફ્યૂનો ચુસ્ત અમલ જોવા મળ્યો અને લોકોએ પણ સારોએવો સપોર્ટ આપ્યો. ખુદ પોલીસનું માનવું છે કે માર્ચ મહિનામાં પહેલા લોકડાઉન વખતે કર્ફ્યૂનો અમલ કરાવવામાં તેમને જે તકલીફ પડી હતી અને લોકો સાથે જે ઘર્ષણ થતું હતું તેવું આ વખતે બિલકુલ નથી.
અમદાવાદીઓ પણ કોરોનાની ગંભીરતાને હવે સારી રીતે સમજી ગયા છે અને આ વખતે અમારે પણ ડંડાવાળી કરવી નથી પડી એ વાતનો અમને આનંદ છે, એવી વિવિધ સ્થળોએ તહેનાત પોલીસ જવાનો તથા અધિકારીઓની લાગણી હતી.
એસજી હાઈવે, શ્યામલ ચાર રસ્તા, પ્રહલાદનગર, બોડકદેવ, હિંમતલાલ પાર્ક, નેહરુનગર, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં તૈનાત પોલીસ જવાનો સાથે જ્યારે એક ન્યૂઝ પેપરે વાત કરી ત્યારે પોલીસ જવાનો તથા અધિકારીઓએ એકમતે જણાવ્યું હતું કે આ વખતે કર્ફ્યૂના અમલમાં પબ્લિકનો રિસ્પોન્સ ખરેખર સરાહનીય છે.
આ સાથે જ આનંદનગર પાસે આવેલા ઈન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ ખાતે સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા શેખ મોહંમદ સલીમે પણ વ્યથા ઠાલવતાં કહ્યું હતું કે પહેલી વાર માર્ચમાં જનતા કર્ફ્યૂ વખતે જેવો માહોલ હતો એવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં તો અત્યારે ભારે ગીર્દી હોય છે. દિવાળીના દિવસોમાં તો અહીં ખૂબ ભીડ રહેતી હતી અને ડિસ્ટન્સિંગ સાથે મેનેજ કરવું અમારા માટે અઘરું બની ગયું હતું. ટ્રાન્સપોર્ટેશન ચાલુ હતું અને બહારગામ જવા લોકો પેટ્રોલ ભરાવતા હતા. પણ આજે અમારા કર્મચારીઓ નવરાધૂપ બેઠા છે. પરંતુ સરકારે જે કર્યું એ બરાબર કર્યું છે કારણ કે આ સમયમાં તકેદારી રાખવી ખુબ જ જરૂરી છે.
પોલીસનું કહેવું છે કે, કામ વિના લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી. આ કારણે અમારે પણ શિસ્તનાં પગલાંરૂપે કડક કાર્યવાહી કરવાની જરૂર જ નથી રહી. આમેય લોકો નિયમનું પાલન કરે તો પોલીસે કડકાઈ દાખવવાની ક્યાં જરૂર જ છે. ઊલટાનું પોલીસ વધુ માનવીય અભિગમ દાખવીને લોકોને મદદરૂપ થઈ રહી છે. આ સાથે જ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિ ખરેખર વકરી છે. કર્ફ્યૂ કે રાત્રિ કર્ફ્યૂ ક્યાં સુધી લગાવવો એ તો સરકારનો નિર્ણય છે, પરંતુ અંગત રીતે માનીએ તો હજી 30 નવેમ્બર સુધી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ રહે એ જરૂરી છે. હજી નાઈટ લાઈફને માણવા જેવી સ્થિતિ આપણે ત્યાં આવી નથી. બે દિવસ કર્ફ્યૂ કે રાત્રિ કર્ફ્યૂનો અમલ કરીને પછી બધું ખોલી દઈશું તો સ્થિતિ એમની એમ થઈ જશે. આ સંજોગોમાં ઓછામાં ઓછા 10 દિવસ તો રાત્રિ કર્ફ્યૂ રાખવો જ જોઈએ.
હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે, ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. રાજ્યમાં પહેલીવાર એક જ દિવસમાં 1515 કેસ નોંધાયા છે અને હજી સ્થિતિ વણસે તેવા એંધાણ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 મોત અને 1271 દર્દી સાજા થઇને ઘરે ગયા છે. આ સાથે જ અત્યારસુધીમાં કુલ કેસનો આંકડો 1 લાખ 95 હજાર 917 થયો છે. જ્યારે મૃત્યુઆંક 3846 થયો છે. તો અત્યારસુધીમાં કુલ 1 લાખ 78 હજાર 786 દર્દી ડિસ્ચાર્જ થયા છે.