અમદાવાદમાં AMTS-BRTSમાં વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવતા મુસાફરોની સંખ્યા ઘટી
અમદાવાદમાં કોરોના વેક્સિનેશનને વેગ આપવા અને લોકોની સલામતી માટે કોર્પોરેશને AMTS અને BRTSમાં મુસાફરી માટે વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત બનાવ્યું છે. જો કે હાલમાં આ નિર્ણયના કારણે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યા છે. અને તેની અસર તંત્રની આવક પર થઈ રહી છે. જો કે AMCના આ નિર્ણય બાદ એક તરફ લોકો કોરોના વેક્સિન લેવા લાગ્યા છે, તો બીજી તરફ બસોમાં મુસાફરો ઘટતા AMTS-BRTSની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
તમને જણાવી દઈએ કે, 20 સપ્ટેમ્બરથી AMTS-BRTSની બસોમાં મુસાફરોએ વૅક્સિન લીધાનું સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત કરવામાં આવ્યું હતું, નોંધનિય છે કે આ નિર્ણય લાગું થયા બાદ મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. નોંધિનય છે કે, AMTSમાં સામાન્ય દિવસોમાં દૈનિક 17 થી 18 લાખ રૂપિયાની આવક થતી હોવાની વાત સામે આવી છે. જ્યારે હવે બસમાં બેસતા પહેલા વૅક્સિન સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત હોવાથી મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે.
નોંધનિય છે કે, સામાન્ય દિવસોમાં અઢી લાખ જેટલા લોકો AMTS બસમાં મુસાફરી કરતા હોય છે, પરંતુ જ્યારથી વેક્સિન સર્ટીફિકેટનો આ નિયમ લાગુ થયો છે ત્યારથી 50 થી 65 હજાર મુસાફરો ઘટ્યા હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત મુસાફરો ઘટતાની સાથે જ 17 થી 18 લાખની આવક ઘટીને 11 થી 12 લાખ પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત આવી જ સ્થિતિ BRTS બસની પણ છે. નોંધનિય છે કે, જ્યાં સામાન્ય દિવસોમાં મુસાફરોની સંખ્યા 1.15 લાખથી 1.25 લાખ હતી અને આવક 15 થી 16 લાખ થતી હતી. જો કે હવે વૅક્સિન સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવતા મુસાફરોમની સંખ્યા ઘટીને 80 થી 90 હજાર અને આવક 10 થી 11 લાખ થઈ ગઈ છે.
નોંધનિય છે કે, AMTS અને BRTS બસો લાંબા સમયથી ખોટનો સામનો કરી રહી છે. જો કે આ આ ખોટમાં મોટો વધારો થશે તેમ લાગી રહ્યું છે. આ અંગે AMTSના ચેરમેન વલ્લભ પટેલનું કહેવું છે કે, સર્ટિફિકેટ રજૂ કરવાના નિયમના કારણે મુસાફરોની સંખ્યામાં થોડો ઘટાડો જરૂર થયો છે. જો કે આ નિયમ પ્રજાના હિતમાં છે. આ નિયમના કારણે કેટલાક એવા લોકો કે જેમણે રસી નહતી લીધી, તેઓ પણ રસી લઈ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 5 દિવસમાં AMTS અને BRTS બસ ટર્મિનસ પર અનુક્રમ 14 હજાર અને 10 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી છે.
નોંધનિય છે કે 17 સપ્ટેમ્બરે મ્યુનિસિપલ કમિશનરે ટ્વિટ કરી નો વેક્સિન નો એન્ટ્રીની જાહેરાત કરી હતી. જેથી હવે 20 તારીખથી મનપાની જુદીજુદી તમામ સેવાઓ, જાહેર સ્થળો ઉપર કોરોના સર્ટિફિકેટની તપાસ કર્યા બાદ જ એન્ટ્રી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મનપાના આદેશ અનુસાર 18 વર્ષથી મોટી ઉંમરના દરેક લોકોએ પોતાની પાસે ફિઝિકલ કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા મોબાઈલમાં ઈ-કોપી અચૂક રાખવી પડશે. તો બીજી તરફ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતા પણ બીજો ડોઝ ન લીધો હોય તેવા વ્યક્તિઓને પણ પ્રવેશ મળી શકશે નહીં તેવી જાહેરાત કરવામાં આવી હતી.