આર્યને કહ્યું જેલમાંથી નીકળીને એવું કંઈક કરીશ કે તમને પણ થશે મારા પર ગર્વ
બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસના કારણે જેલમાં છે. આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી થઈ ચુકી છે અને કોર્ટ 20 ઓક્ટોબરે તેનો નિર્ણય સંભળાવશે. આ સ્થિતિમાં આર્યન ખાને 20 તારીખ સુધી જેલમાં રહેવું પડશે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે સામે આવ્યું છે કે એનસીબીના અધિકારીઓએ જેલમાં આર્યનનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં આર્યન ખાને એક મોટું નિવેદન આપ્યું છે.
એક રિપોર્ટ અનુસાર એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ તેની ટીમ સાથે આર્યન ખાન સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન આર્યન ખાને તેમને કહ્યું હતું કે તે જેલની બહાર નીકળશે પછી તે ગરીબોને અને નબળા વર્ગને મદદ કરશે. કાઉંસેલિંગ સેશનમાં આર્યન ખાને એમ પણ કહ્યું હતું કે તે કંઈક ખોટું કામ કરશે નહીં જેના કારણે તે ચર્ચામાં આવી જાય. આ સાથે જ આર્યને ઉમેર્યું કે, એક દિવસ તે એવું કામ જરૂર કરશે જેનાથી તેમને પણ તેના પર ગર્વ થાય.
ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાનની જામીન અરજી પર મુંબઈની સેશંસ કોર્ટમાં ગુરુવારે ફરીથી સુનાવણી થઈ હતી. જામીન અરજી પર સુનાવણી પછી કોર્ટે નિર્ણય 20 ઓક્ટોબર સુધી સુરક્ષિત રાખ્યો છે. જણાવી દઈએ કે આર્યન ખાન તરફથી અમિત દેસાઈ અને સતીશ માનશિંદે જ્યાર એનસીબી તરફથી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કોર્ટમાં દલીલો કરી હતી.
મળતી જાણકારી અનુસાર જેલમાં છેલ્લા ઘણા દિવસોથી રહેતા આર્યન ખાનને હવે કેદી નંબર આપી દેવામાં આવ્યા છે. તેને 956 નંબર આપવામાં આવ્યો છે અને તેને આ નામથી જ બોલાવવામાં આવે છે. જેલમાં તેની ઓળખ સુપરસ્ટાર શાહરુખ ખાનના દિકરા તરીકેની નહીં પરંતુ કેદી નંબર 956 તરીકેની છે.
સામે એમ પણ આવ્યું છે કે આર્યન ખાન જેલમાં ખૂબ ચિંતીત રહે છે. આર્યન જેલનું ભોજન પણ બરાબર કરતો નથી. કારણ કે તેને તે ભોજન પસંદ નથી. પરંતુ તેને બહારનું જમવાની પરવાનગી પણ નથી તેથી તેને શાહરુખ ખાને 4500 રૂપિયા મની ઓર્ડરથી મોકલ્યા હતા જેથી તે કેન્ટીનમાંથી જમવાનું લઈ શકે. આર્યન ખાનને હાલ જેલનો યુનિફોર્મ આપવામાં આવ્યો નથી તેથી તે ઘરના જ કપડા પહેરે છે.
આલિશાન મહેલ જેવું ઘર છોડી આર્યન ખાનને ક્રૂઝ પાર્ટી પછીથી સીધા જેલમાં જવું પડ્યું છે ત્યારે જેલની બહાર શાહરુખ અને ગૌરી ખાન પણ આ વાતથી પરેશાન છે. ચર્ચા એવી પણ છે કે ગૌરી ખાને આર્યન ખાન જેલમાંથી મુક્ત થાય તે માટે મીઠાઈ ન ખાવાની માનતા લીધી છે. ત્યારે જોવાનું રહ્યું કે 20 તારીખે પણ આર્યન આઝાદ થાય છે કે નહીં.