રાજ્યમાં 3 વર્ષના બાળકમાં નોંધાયો મ્યુકરમાઈકોસિસનો પહેલો કેસ, જાણો લક્ષણો
ગુજરાતના સુરતમાં 3 વર્ષના બાળકમાં મ્યુકરમાઈકોસિસનો પહેલો કેસ જોવા મળ્યો છે. બાળકનું સીટી સ્કેન કરાતા આ બીમારી સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જે માહિતી મળી રહી છે તેમાં એમ પણ જાણવા મળ્યું છે કે બાળકમાં કોરોનાના કોઈ લક્ષણો નથી પણ છતાં શંકાના આધારે સીટી સ્કેન કરાતા મ્યુકરમાઈકોસિસ હોવાનું જાણવા મળ્યું છે.
તંત્ર લાગ્યું તૈયારીમાં
ગુજરાતના સુરતમાં 3 વર્ષના બાળકની હાલત મ્યુકરમાઈકોસિસના કારણે ગંભીર હોવાનું સામે આવ્યું છે. એક તરફ દેશમાં અને રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને ખાસ પગલા લેવાઈ રહ્યા છે ત્યારે મ્યુકરમાઈકોસિસનો બાળકોમાં આ પહેલો કેસ ચિંતા વધારી રહ્યો છે. રાજ્યમાં આટલી ઉંમરના બાળકમાં મ્યુકરમાઈકોસિસનો આ પહેલો કિસ્સો છે.
સીટી સ્કેનમાં કોરોના હોવાનું સામે આવ્યું
મળતી માહિતિ અનુસાર 3 વર્ષના બાળકમાં મ્યુકરમાઈકોસિસની સાથે કોરોના હોવાનું પણ સીટી સ્કેનના રિપોર્ટમાં સામે આવ્યું છે. આ પછી બાળકને તરત જ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
બાળકની કરાઈ રહી છે તપાસ
કોરોના અને મ્યુકરમાઈકોસિસ બંને હોવાના કારણે આ બાળકની વિશેષ તપાસ પણ કરવામાં આવી રહી છે. આ સાથે તેને હાયર સેન્ટર પર પણ તપાસ માટે રીફર કરાયું છે. પરિવારમાં આ જીવલેણ બીમારીના કારણે બાળકને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
વધી રહ્યો છે મ્યુકરમાઈકોસિસનો કહેર
મ્યુકરમાઈકોસિસના નવા 03 દર્દી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે. હાલમાં સિવિલ અને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકરના 50 દર્દીઓ દાખલ છે. સિવિલમાં 03 સર્જરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સિવિલ અને સ્મીમેરમાં 491 સર્જરીઓ કરવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલમાંથી 02 દર્દીઓને રજા આપવામાં આવી છે.
આ છે લક્ષણો
આંખો કે આંખોની આસપાસ લાલાસ આવવુ દુખાવો થવો.
વારંવાર તાવ આવવો.
માથામાં ખુબ દુખાવો.
છીંક અને શ્વાસ લેવામાં મુશ્કેલી થવી.
માનસિક સ્થિતિમાં ફેરફાર થવો.
બચવા માટે શું કરવું
શું કરવું
દર્દી હાઇપરગ્લાઇસીમિયાથી બચે એટલે કે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે.
કોરોનાથી સાજા થયા બાદ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ઘરે આવ્યા બાદ સતત ગ્લૂકોમીટરની મદદથી પોતાના બ્લડ ગ્લૂકોઝના લેવલને મોનિટર કરવું જરૂરી છે.
સ્ટેરોયડનો વધુ ઉપયોગ ન કરો અને યોગ્ય ડોઝ અને સમય અંતરની જાણકારી હોવી જોઈએ.
એન્ટીબાયોટિક્સ અને એન્ટી ફંગલ દવાનો પણ યોગ્ય ઉપયોગ કરો. ઓક્સિજન થેરેપી દરમિયાન હ્યૂમીડિફાયર માટે સાફ અને જંતુ રહીત પાણીનો ઉપયોગ કરો.
શું ન કરો
બીમારીના સંકેત અને લક્ષણોને નજરઅંદાજ ન કરો.
નાક બંધ થવાની સમસ્યાને દર વખતે સાઇનસ સમજવાની ભૂલ ન કરો.
ખાસ કરીને જે કોરોનાના દર્દી છે તેઓએ સાવધાન રહેવું.
જો જરા પણ શંકા હોય તો તપાસ કરાવો. મ્યુકોરમાયકોસિસ કે બ્લેક ફંગસની સારવારમાં વિલંબ થતા દર્દીનો જીવ જઈ શકે છે.