ગુજરાતની સાબરમતી જેલમાં તમાકુ જેવી નજીવી બાબતે કેદીઓ વચ્ચે થયો જીવલેણ હુમલો
જેલમાં કોરોના ની દહેશત વચ્ચે તમાકુ જેવી નજીવી બાબતે કેદીઓ વચ્ચે જીવલેણ હુમલો થયો. આ ઘટનાથી ગંભીર રીતે ઘાયલ થયેલા એક કેદીને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
કોરોના વાયરસને કારણે વિવિધ વિસ્તારોમાં અજબગજબ ઘટનાઓ બની રહી છે. ક્યાંક લોકો ટોળા વળી કોરોનાની જાગૃતતા માટે સરઘસો કાઢી રહ્યા છે તો ક્યાંક લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરી પોતાની જાતને હોશિયાર સમજી રહ્યા છે ત્યારે અમદાવાદમાં આવેલ સાબરમતી સેન્ટ્રલ જેલ પણ આના થી બાકાત નથી. આ ઐતિહાસિક જેલમાં ખતરનાક આતંકવાદીઓને પણ રાખવામાં આવ્યા છે.
અને આ જ જેલમાં કોરોના ના સમયમાં કેદીઓ વચ્ચે અંદરોઅંદર લોહિયાળ હુમલા થયા છે. આ સમગ્ર ઘટનામાં ગંભીર રૂપે ઘાયલ થયેલા એક કેદીને હોસ્પિટલમાં દાખલ કરવા સુધીની સ્થિતિ ઉભી થઇ ગઇ હતી. પોલીસે બંને કેદીઓ વિરુદ્ધ ફરિયાદ લખી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
જાણકારી અનુસાર મહેસાણા જિલ્લાના ભાસણીયા ગામના રહેવાસી અને એક હત્યાના આરોપમાં સજા ભોગવતા કેદી મનીષ પરમારે બીજા એક કેદી ઇમરાન શેખ અને સરફરાઝ મન્સૂરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે 16 એપ્રિલ 2020 ને શુક્રવારે મોડી રાત્રે પોતે મધ્યસ્થ જેલના વીર ભગત સિંહ બેરેકના કોમન બાથરૂમમાં કપડાં ધોઈ રહ્યો હતો ત્યારે ઇમરાન અને સરફરાઝે એની પાસે આવીને તમાકુ માંગ્યું.
પણ તમાકુ ન હોવાના કારણે એને તમાકુ આપવાનો ઇનકાર કર્યો હતો એટલેત ઇમરાન અને સરફરાઝ બન્નેએ ગાળાગાળી શરૂ કરી દીધી અને ક્રુરતાથી એને ઢોર માર મારવા લાગ્યા. જેના કારણે એના પેટ પર ગંભીર ઇજાઓ પહોંચી છે એ ઉપરાંત એના નાક તથા મોઢામાંથી લોહી વહેવા લાગ્યું અને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જેને કારણે એ બેભાન થઈ ત્યાં જ પડી ગયો હતો.ઘટનાની જાણકારી થતા જ જેલના અન્ય કેદી તેમજ જેલર પણ વહેલી તકે ઘટના સ્થળ પર પહોચી ગયા હતા. કેદી મનીષ પરમારને વહેલીતકે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો હતો. જેની હાલત હાલ ખૂબ જ નાજુક છે.
કોરોના ની આવી કપરી દહેશત વચ્ચે જ્યારે લોકો ખાવા માટે પણ વલખા મારી રહ્યા છે એવા સમયે આ જેલના કેદીઓ તમાકુ જેવી નજીવી બાબતે એકબીજાના જીવ સુધી આવી શકે છે એ વાત જ એમના ગુનાહિત સ્વભાવની સાબિતી આપી રહી છે. અત્યારે જ્યારે પોલીસ સમગ્ર દેશવાસીઓના હિત માટે રસ્તા પર ઉતરી લોકોને ઘરે રહેવાની વિન્નતી કરી રહી છે એ સમયમાં જેલના આ કેદીઓનું વર્તન પોલીસવાળાની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યું છે.