હૃદયદ્રાવક કિસ્સો: 17 કલાક મહિલા પતિના મૃતદેહ પાસે બેસીને મદદની પુકાર લગાવતી રહી પત્ની, અને રડતા રહ્યા બાળકો
કોરોના કાળમાં અનેકવાર એવા દ્રશ્યો અને ઘટનાઓ જોવા મળી છે જેને જોઈ ભલભલાની આંખમાં આંસૂ આવી જાય. આવી જ એક ઘટના તાજેતરમાં બની હતી સુરત શહેરમાં. અહીં છેલ્લા 12 વર્ષથી વસતા એક પરપ્રાંતિય પરીવાર પર આભ ત્યારે તુટી પડ્યું જ્યારે ઘરની કમાતી વ્યક્તિનું મોત નીપજ્યું. પતિના અકાળે અવસાનથી નિરાધાર બનેલી તેની પત્નીની હાલત એવી થઈ કે તેણે મૃતદેહ સાથે રસ્તા પર બેસી મદદ માંગવી પડી. આર્થિક તંગીના કારણે આ મહિલા પાસે એટલા રૂપિયા ન હતા કે તે પતિના મૃતદેહને તેના વતન લઈ જઈ શકે. આ રૂપિયા એકઠા થાય તે માટે તેણે મૃતદેહ સાથે કલાકો સુધી રસ્તા પર બેસી રહેવું પડ્યું.
મૂળ ઝાંસીનો આ પરીવાર છેલ્લા 12 વર્ષથી સુરતમાં વસે છે. જેનું મૃત્યુ થયું રણજિત સંચા ખાતામાં કામ કરતો અને તેને દારુની લત હતી. દારુની લતના કારણે તેનું લીવર ધીરે ધીરે ડેમેજ થયું અને અંતે તે મોતને ભેટ્યો. જો કે મોતને ભેટેલા રણજિતની પત્નીની હાલત કફોળી ત્યારે થઈ જ્યારે પતિના મૃતદેહને તેના વતન ઝાંસી લઈ જવા માટે એમ્બ્યુલન્સવાળાએ 30 હજાર રૂપિયાનું ભાડુ કહ્યું. વતનથી દૂર પતિ અને બે સંતાન સાથે રહેતી મહિલા પાસે આટલા રૂપિયા હતા નહીં તેથી તે પતિના મૃતદેહ સાથે 17 કલાક સુધી રસ્તા પર બેસી રહી અને સુરતમાં રહેતા સગા સંબંધીઓને ફોન કરી મદદ માટે પુછતી રહી.
રણજિતનું મોત ઘરે જ થયું હતું ત્યારબાદ તેને 108 મારફતે સિવિલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ત્યારબાદ પોસ્ટમોર્ટમ સહિતની પ્રોસેસ કરવામાં આવી અને પત્નીને તેના પતિનો મૃતદેહ સોંપવામાં આવ્યો. પરંતુ વાત જ્યારે આવી મૃતદેહને વતન લઈ જઈ તેના અંતિમ સંસ્કાર કરવાની તો એમ્બ્યુન્સ માટે કહેલા 30 હજારની રકમે વિધવા પત્નીના હોશ ઉડાડી દીધા.
ઝાંસી છોડી સુરત આવેલા આ પરીવાર પાસે કોઈ બચત પણ હતી નહીં. તેવામાં પતિને દેશી દારુ પીવાનું વ્યસન થઈ ગયું અને તેના કારણે તેનો જીવ ગયો. પતિના મોતથી પત્ની તેના બે સંતાનો સાથે નિરાધાર થઈ ગઈ. વતનથી વર્ષોથી દૂર રહેતા આ પરિવાર પર જ્યારે આ સંકટનો સમય આવ્યો ત્યારે મહિલાએ પોતાની વ્યથા સંભળાવી જેને સાંભળી સૌ કોઈ અવાક થઈ ગયા.
સાથે જ સામે આવ્યું કે તેની મદદ કરવા કોઈ સગા, સંબંધી પણ આગળ આવ્યા નહીં અને મહિલાને જ્યારે તેના પતિનો મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે રડતા બાળકો સાથે રસ્તા પર બેસી તેણે આર્થિક મદદ માંગવી પડી.