વરસાદની સિઝન ઘણા લોકોને પસંદ નથી હોતી. પરંતુ ઘણા ખરા લોકો એવા પણ હોય છે કે જેઓને વરસાદની સિઝન ખૂબ પસંદ હોય છે. અને તેઓ દર વર્ષે આ સિઝનની આતુરતાથી રાહ જોતા હોય છે. અસલમાં ચોમાસાની ઋતુ એક એવી ઋતુ છે જેમાં પ્રકૃતિ સજીવન થાય છે. ચારેબાજુએ સ્વચ્છ અને ધૂળ તેમજ રજકણ રહિત સ્વચ્છ વાતાવરણ અને લીલીછમ હરિયાળી સૌ કોઈને ગમે છે. જો કે ભારતમાં અનેક સ્થાનો એવા પણ છે જ્યાં વરસાદને કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. અને આ માટે ખુદ માણસની જ આધુનિકતા સાથેની સાંઠગાંઠ જવાબદાર હોય છે તેના વિશે ક્યારેક પછી વાત કરીશું. આનાથી વિપરીત ભારતમાં અનેક સ્થાનો એવા પણ છે જ્યાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ પુરબહાર ખીલી ઉઠે છે.
જો તમે પણ એક પ્રકૃતિ પ્રેમી વ્યક્તિ હોય અને ચોમાસાની આ ઋતુમાં તમે પ્રકૃતિને નજીકથી માણવા અને અનુભવવાની ઈચ્છા રાખતા હોય તો તમે ભારતમાં આવેલા અમુક ખાસ સ્થાનોએ ફરવા માટે જઈ શકો છો.
દાર્જિલિંગ
આ સ્થાનો પૈકી એક દાર્જિલિંગ પણ શામેલ છે. દાર્જિલિંગ ભારતના સૌથી સુંદર પ્રાકૃતિક પર્યટન સ્થળો પૈકી એક ગણાય છે. અને તે ચા ના બગીચાઓ અને લીલાછમ પહાડી વિસ્તાર માટે પ્રસિદ્ધ છે. આમ તો વરસાદની ઋતુ દરમિયાન અહીં વધારે પર્યટકો નથી આવતા પરંતુ આ સિઝન દરમિયાન અહીંની હરિયાળી ખાસ જોવાલાયક હોય છે. દાર્જિલિંગ સિવાય પણ ભારતના અમુક સ્થાનો એવા છે જ્યાં ચોમાસામાં ફરવા જવાની મજા જ કંઈક અલગ છે. આવા જ અન્ય સ્થાનો વિશે વાત કરીએ.
કર્ણાટક
જો તમે વરસાદના માહોલમાં હરવા ફરવા જવાનો આનંદ લેવા ઇચ્છતા હોય તો કર્ણાટક તમારા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. કર્ણાટકના પહાડો, ઘાટીઓ અને ઝરણાઓ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. એ સિવાય અહીં સનસેટ પોઇન્ટ પણ છે જ્યાંથી અરબ સાગરનું દ્રશ્ય એકદમ સાફ અને ખુબસુરત રીતે જોઈ શકાય છે.
કૌસાની
ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું એક નાનકડું ગામ છે કૌસાની. કૌસાની તેની પ્રાકૃતિક સુંદરતા માટે દૂર દૂર સુધી પ્રસિદ્ધ છે. વરસાદની સીઝનમાં ફરવા જવા માટે આ એક સારી જગ્યા છે. અહીં મધ્યમ જેવો વરસાદ પડે છે જે અહીંના વિસ્તારોને લીલાછમ અને હરિયાળીથી ભરપૂર બનાવી દે છે. અહીં પર્યટકો વાદળોને સાવ નજીકથી નિહાળી શકે છે.
જીરો વૈલી
પ્રકૃતિ પ્રેમીઓ માટે અરુણાચલ પ્રદેશમાં આવેલી જીરો વૈલી એક અદભુત સ્થાન છે. અહીંની સુંદરતા જોયા બાદ તમે અહીં કરેલ યાત્રાનો અનુભવ કદાચ આખું જીવન નહિ ભૂલી શકો. જીરો વૈલી દેશના સૌથી આકર્ષક અને પ્રાકૃતિક પર્યટન ક્ષેત્રો પૈકી એક ગણાય છે.