વિજયભાઈ રૂપાણીએ આજે અચાનક મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. તેમણે રાજ્યપાલને આજે પોતાના મંત્રીમંડળની હાજરીમાં રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ તેમણે પત્રકાર પરીષદ સંબોધી હતી અને તેમાં તેમણે કહ્યું હતું કે તેમના જેવા પક્ષના કાર્યકર્તાને ગુજરાતના મુખ્યમંત્રી પદની મહત્વની જવાબદારી આપવા બદલ તેઓ ભારતીય જનતા પાર્ટીના આભારી છે. તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
આ તકે તેમણે એમ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે આગામી ચુંટણીમાં ભાજપનો ચહેરો વડાપ્રધાન મોદી રહેશે. તેમને જ્યારે પુછવામાં આવ્યું કે હવે કોણ સીએમ હશે ત્યારે તેમણે કહ્યું હતું કે હવે મુખ્યમંત્રી કોણ બનશે તે પાર્ટી નક્કી કરશે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતે સર્વાંગી વિકાસ અને લોકોના કલ્યાણના માર્ગ પર આગળ વધીને નવા આયામોને સ્પર્શ કર્યો છે. ગુજરાતના વિકાસની યાત્રામાં તેમને છેલ્લા પાંચ વર્ષમાં યોગદાન આપવાની તક આપી તે બદલ તેમણે માનનીય વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.
Vijay Rupani resigns as Gujarat Chief Minister; says BJP will decide who will be next CM https://t.co/Qa5fD3B8hD
— Republic (@republic) September 11, 2021
તેમણે કહ્યું હતું કે ગુજરાતના વિકાસની આ યાત્રા નવા ઉત્સાહ અને નવી ઉર્જા અને નવા ચહેરા સાથે વડાપ્રધાનના નેતૃત્વમાં આગળ વધવી જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને તેણે રાજીનામું આપ્યું છે.
તેમણે કહ્યું હતું કે એક સંગઠન અને વિચારધારા આધારિત પાર્ટી હોવાથી ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે કે સમયની સાથે કામ કરનારાઓની જવાબદારીઓ પણ બદલાઈ ગઈ છે. જે જવાબદારી પાર્ટી દ્વારા આપવામાં આવે છે તેને પાર્ટીના કાર્યકરો દિલથી નિભાવે છે. મુખ્યમંત્રી તરીકે આપેલી જવાબદારી નિભાવ્યા બાદ હવે તેઓએ પાર્ટીના સંગઠનમાં નવી ઉર્જા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હવે પક્ષ દ્વારા તેમને જે પણ જવાબદારી સોંપવામાં આવશે તે મુજબ તેઓ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સંપૂર્ણ જવાબદારી નવી ઉર્જા સાથે કામ કરશે.
તેમણે આ તકે ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી પેટાચૂંટણીઓ અથવા સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓ, પક્ષ અને સરકારને ગુજરાતના લોકો તરફથી અભૂતપૂર્વ સમર્થન, સહકાર અને વિશ્વાસ મળ્યો છે. ગુજરાતના લોકોનો આત્મવિશ્વાસ તેમની તાકાત બની ગયો છે અને જનહિતમાં કામ કરવાનું તેઓ ચાલું જ રાખશે.