દિગ્ગજ વૈજ્ઞાનિકોએ કર્યો ઉંડો અભ્યાસ, જાણી લો નોટો અને સિક્કામાંથી કોરોના ફેલાવવાની વાતનું સાચું તથ્ય
નોટો અને સિક્કાઓથી કોરોના વાયરસ ફેલાવાના ભયને કારણે બીજી લહેર દરમિયાન ઓનલાઈન પેમેન્ટનું વલણ વધ્યું છે. પરંતુ, એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નોટો અથવા સિક્કાથી કોરોના વાયરસ ફેલાવાની કોઈ શક્યતા નથી. યુરોપિયન સેન્ટ્રલ બેંકના નિષ્ણાતો અને જર્મનીની રુહર-યુનિવર્સિટી બોખમના સંશોધકોએ નોટો અને સિક્કાઓમાંથી કોરોના વાયરસ ફેલાવાની શક્યતા શોધવા માટે આ અભ્યાસ હાથ ધર્યો હતો. અભ્યાસમાં પીવીસીથી બનેલી વિવિધ પ્રકારની નોટો, સિક્કા અને બેંક ક્રેડિટ કાર્ડ સ્ટેનલેસ સ્ટીલની સપાટી પર મૂકવામાં આવ્યા હતા. નિષ્ણાતોએ તેમને બિન-હાનિકારક કોરોના વાયરસ તેમજ કોવિડ -19 માટે જવાબદાર SARS-CoV-2 વાયરસથી ચેપ લગાડ્યો હતો.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાયરસ સ્ટીલની સપાટી પર સાત દિવસ સુધી ટકી રહ્યો હતો, પરંતુ નોટ અને સિક્કા પર બે થી છ દિવસમાં અદૃશ્ય થઈ ગયો. વાયરસ પાંચ ટકા તાંબાના સિક્કા પર માત્ર એક કલાક સુધી ટકી શકે છે.
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે નોટો અથવા સિક્કામાંથી SARS-CoV-2 વાયરસ ફેલાવવાનું જોખમ ના બરાબર જ છે.
બીબીસીના અહેવાલ મુજબ, જ્યારે ચીનમાં કોવિડ -19 ને કારણે મૃત્યુઆંક 1500ને વટાવી ગયો, ત્યારે ચીનની તમામ બેંકોને સંભવિત કોરોના સંક્રમિત ચલણી નોટો પાછી ખેંચી લેવા અને તેમને સેનિટાઈઝ કરવાની સૂચના આપવામાં આવી હતી. અગાઉ કરવામાં આવેલા અન્ય એક અભ્યાસ મુજબ, કોરોના વાયરસ કાચ અને પ્લાસ્ટિકની સપાટી કરતા ઓછા દિવસો સુધી કાગળ અને કાપડ પર ટકી શકે છે.
આ વર્ષની શરૂઆતમાં આઈઆઈટી મુંબઈના વૈજ્ઞાનિકોએ તેમના અભ્યાસમાં જોયું કે કોરોના કાચ અને પ્લાસ્ટિકની સપાટી કરતાં કાગળ અને કાપડ પર ઓછા દિવસો સુધી ટકી શકે છે. વૈજ્ઞાનિકોને અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાયરસ કાચ પર ચાર દિવસ અને પ્લાસ્ટિક અને સ્ટેનલેસ સ્ટીલ પર સાત દિવસ સુધી જીવી શકે છે.
કોરોનાની બીજી લહેર કેવી હતી આપણે માત્ર યાદ કરીએ તો ધ્રુજારી ઉપડી જાય છે. કોવિડ-19ની બીજી લહેર દરમિયાન ગુજરાતમાં લાશોના ઢગલા થઈ ગયા હતા. દર્દીઓના સગાએ રેમડેસિવિર ઈન્જેક્શન તથા ઓક્સિજનના બાટલા માટે દોડાદોડ કરવી પડી હતી. હોસ્પિટલમાં બેડ-વેન્ટિલેટર ઉપરાંત દવાઓની પણ વ્યાપક અછત સર્જાઈ હતી. આ તમામ અંધાધૂંધી પરથી ધડો લઈને હવે ગુજરાત સરકારે કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાનો એક્શન પ્લાન રજૂ કર્યો છે. જો કે, પોતે શું કરવાના છે તેની મોટી-મોટી વાતો કરવામાં સરકારે વિવેક ચૂકીને ત્યાં સુધી કહી દીધું હતું કે કોરોનાની બીજી લહેરમાં તેમણે ક્યાંય દવાની તકલીફ પડવા જ દીધી નહોતી.
ભલે લોકો મરી રહ્યાં હતા પણ સરકારે તો એવું જ કહ્યું હતું કે રાજ્ય સરકારે તો કોરોનાના બીજા વેવમાં પણ દવાની તકલીફ પડવા દીધી નથી. કદાચ સરકારને એ વાસ્તવિકતા બહુ ઝડપથી વિસરાઈ ગઈ હતી કે કેવી રીતે દર્દીઓના સગા રેમડેસિવિર માટે વલખાં મારતા હતા. ઝાયડસ હોસ્પિટલ તથા અન્ય વિતરણ કેન્દ્રો બહાર દર્દીના સ્વજનો રેમડેસિવિર માટે 24-24 કલાક લાઈનમાં ઉભા રહેતા. ઓક્સિજનના બાટલા મેળવવા અને તેને રિફિલ કરાવવા કેવી રીતે ચાર-પાંચ ગણો ભાવ ચૂકવવો પડ્યો હતો.