ડાકોરની વારાદારી બહેનોએ કહ્યું કે રણછોડજીની પૂજા કરવા દેવા અમે બે હાથ જોડી વિનંતી કરી પણ મંદિર ટ્રસ્ટ…
ડાકોરમાં રણછોડરાયની સેવા પૂજા કરવાની ઈચ્છા ધરાવનાર બે વારાદારી બહેનોને આખો દિવસ રાહ જોઈ પણ તો ય તેમને સેવા પૂજા કરવાનો હક્ક ન મળ્યો. શનિવારે તેમના વારાનો પ્રથમ દિવસ હતો રવિવારે બીજો અને અંતિમ દિવસ હતો પોતાની માંગણી પર અડગ બંને સેવક બહેનો સમગ્ર દિવસ દરમિયાન મંદિરમાં ગર્ભગૃહની બહાર બેસી રહી. આ વિવાદને વધુ ઉશ્કેરણી ન મળે એ માટે આખો દિવસ 10 જેટલા પોલીસ કર્મીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા.
સમગ્ર બાબત અંગે કમિટીએ જણાવ્યું હતું કે આ બંને મહિલાઓના લગ્ન થઈ ગયા છે અને એમના ગોત્ર પણ બદલાઈ ગયા છે. અને કોર્ટ દ્વારા પણ કોઈ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો નથી. જેથી તેઓ સેવા પૂજા કરી શકે નહીં. આ ઉપરાંત કમિટીએ કહ્યું હતું કે ડાકોર મંદિરમાં વારાદારી હોવાનો દાવો કરતા અને ભગવાન રણછોડ રાય ની સેવા પૂજા કરવા ઈચ્છુક ઈન્દિરાબેન સેવક અને ભગવતીબેન સેવક શનિવારે વહેલી સવારે મંદિર ખુલે તે પહેલાં જ ગર્ભ ગૃહ ના દ્વારના દાદરા પર આવી પહોંચ્યા હતા.
આ સમગ્ર બાબતે વારાદારી બહેન ઈન્દિરાબેને જણાવ્યું હતું કે મંદિર કમિટીના સભ્યો કે અન્ય કોઈ વ્યક્તિ સાથે કઈ તકરાર ન થાય તેનું ધ્યાન રાખી , બે હાથ જોડી અમને ભગવાનની સેવા પૂજા કરવા દેવાની અમે વિનંતી કરી હતી. પરંતુ ટેમ્પલ કમિટી એ અમારી વાત સાંભળી ન હતી.
એમને આગળ જણાવ્યું કે અમને ભગવાન પર પુરી શ્રધ્ધા છે અને અમને હક્ક મળશે, મંદિર કમિટી અમારી વાત માનશે તેવી આશા
વાત જાણે એમ હતી કે ડાકોર મંદિરમાં શનિવારે બે વારાદારી બહેનો દ્વારા ભગવાનની પૂજા કરવા દેવાની જીદ સામે મંદિરે મક્કમ વલણ અપનાવી અન્ય સેવકો દ્વારા રાજારણછોડરાયની પૂજા કરવામાં આવી હતી. પણ કેટલાક એવા ફોટા પણ સામે આવ્યા છે જેમાં ઇન્દિરા બહેન ભગવાન રણછોડરાયની સેવા પૂજા કરતા દેખાઈ રહ્યા છે.
ડેકોરના પીએસઆઈ ડી. આર. બારૈયા એ જણાવ્યું હતું કે આ વારાદારી બહેનો દ્વારા પોલીસ પ્રોટેક્શન ની માંગ કરવામાં આવી હતી, બીજી તરફ મંદિર પ્રશાસન દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને જાણ કરવામાં હતી. માટે વહેલી સવારથી જ 5 મહિલા કોન્સ્ટેબલ અને 5 પુરુષ કોન્સ્ટેબલ સાથે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. જ્યા સુધી બંને બહેનો ત્યાં હાજર રહેશે ત્યા સુધી પોલીસ બંદોબસ્ત પણ રખાશે.