ડીનર કરીને તુરંત સૂઈ જવાની આદત નોંતરે છે આ સમસ્યા
જેટલું જરૂરી જમવાનું છે તેના કરતા વધારે જરૂરી છે કે તમે કયા સમયે જમો છો. વજન ઘટાડવું, સારી ઊંઘ, સારું સ્વાસ્થ્ય આ બધી વાતોનો આધાર ભોજનના સમય પર છે. તેમાં પણ સ્વાસ્થ્ય માટે મહત્વનું હોય છે રાતનું જમવાનું. કારણ કે શરીર અલગ અલગ ફૂડને લઈ અલગ અલગ પ્રતિક્રિયા આપે છે. ભોજન પાચનશક્તિને પણ પ્રભાવિત કરે છે.
ઘણા લોકોને આદત હોય છે કે તેઓ રાત્રે સૂતા પહેલાની થોડીવાર પહેલા જ જમે છે. એટલે કે જમીને સીધા જ પથારીમાં પડી જાય છે સૂવા માટે. ઘણા લોકોના તર્ક હોય છે કે આમ કરવાથી કંઈ થતું નથી. પરંતુ તમને જણાવી દઈએ કે તમને ભલે આ વાતના ગેરલાભ હાલ ન જણાય પરંતુ તેનાથી ભયંકર નુકસાન થાય છે. જમ્યા પછી તુરંત સૂઈ જવાની આદત એકદમ ખરાબ છે.
ભોજનનો પ્રકાર કેવો છે તેના પર આધાર રાખે છે કે જમ્યા પછી સૂઈ જવાથી તમને કેટલો ફરક પડશે. એક રિસર્ચ અનુસાર મોડી રાત્રે જમવાનો સંબંધ સામાન્ય રીતે વજન વધવાની સમસ્યા સાથે છે. આ સિવાય હાઈ બ્લડ સુગર સાથે પણ તેનો સંબંધ છે. આમ થવાનું કારણ છે કે જમ્યા પછી તુરંત સૂઈ જવાથી મેટાબોલિઝમ પર અસર પડે છે. મેટાબોલિઝમ રાત્રે મંદ થઈ જાય છે. તેવામાં જો ડીનર અને સુવાના સમય વચ્ચે અંતર રાખવામાં ન આવે તો વજન વધી શકે છે. કારણ કે શરીરને ખોરાકને પચાવવામાં સમય લાગે છે. એસિડ રિફ્લ્કસ, પાચન અને તેને સંબંધિત સમસ્યા મોડી રાત્રે જમવાથી અને જમ્યા પછી તુરંત સૂઈ જવાથી થાય છે.
સૂતા પહેલા જ કરેલું ભારે ભોજન એસિડ રિફ્લક્સ, અપચો, પેટમાં બળતરાનું કારળ બની શકે છે. ભોજનને શરીરમાં પચવા માટે સમયની જરૂર પડે છે. જમ્યા પછી તુરંત સૂઈ જવું એસિડ રિફ્લક્સનું કારણ બને છે. અમેરિકામાં થયેલી એક રિસર્ચ અનુસાર જેમને આ સમસ્યા છે તેમણે સૂતાના 3 કલાક પહેલા જમવું જોઈએ.
જમ્યા પછી તુરંત સૂઈ જવું ઊંઘમાં બાધાનું કારણ પણ બની શકે છે. કારણ કે સૂતી વખતે પણ શરીરને ઊર્જાની જરૂર પડે છે. તેનાથી પૌષ્ટિક ખોરાક અને પૂરતા પ્રમાણમાં કેલેરીનું સેવન સૂતા પહેલા કરવું જરૂરી છે અને તેનાથી વધારે જરૂરી છે કે આ ખોરાક બરાબક રીતે પચે તેથી જમ્યા પછી અને સૂવા જતા સુધીમાં કલાકોનું અંતર રહેવું જરૂરી છે જેથી ખોરાક બરાબર પચી જાય.