દિવ્યાંગોને હવેથી નિ:શુલ્ક મળશે આ વસ્તુઓની સહાય, સરકારે કરી છે મોટી જાહેરાત, જાણીને તમે પણ લો લાભ
ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, જયપુર (રાજસ્થાન) કોટા શાખા દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર પટેલ સમાજના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય આપવામાં આવ્યા. દિવ્યાંગો માટે આયોજિત ત્રિદિવસીય શિબિરમાં જરૂરિયાતવાળા વિકલાંગોને મફત કૃત્રિમ પગ (જયપુર ફૂટ) તથા પોલિયો કેલીપર્સ તથા બગલઘોડી વિનામૂલ્યે આપવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ- કન્યા છાત્રાલય નારણપુરા ખાતે આયોજીત શિબિરમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ તકે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સેવા કાર્યો કરનાર ટ્રસ્ટો અને સંસ્થાઓ સાથે સરકાર હંમેશા જોડાયેલી જ છે. સમગ્ર ગુજરાતમાં કોઈ પણ દિવ્યાંગ ભાઇ-બહેન કોઇ સહાયથી વંચિત ન રહે એના માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. ગુજરાત રાજ્યના ખૂણે-ખૂણે વસતા તમામ દિવ્યાંગ સુધી સહાયતા પહોંચે અને એ દિવ્યાંગો સ્વનિર્ભર થાય એ મુખ્ય ઉદ્દેશ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે વિશેષમાં જણાવ્યુ હતું કે પહેલા દિવ્યાંગોને વિકલાંગતા પ્રમાણપત્ર માટે વારંવાર મેડિકલ ચેકઅપ માટે જવું પડતું હતું અને હાડમારી વેઠવી પડતી હતી પણ હવે સંપૂર્ણ સંવેદનાથી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આજીવન એટલે કે લાઇફ ટાઇમ માટે માન્ય કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તથા દિવ્યાંગ વ્યક્તિઓને એસ.ટી બસમા મુસાફરી માટે મળતો પાસ પણ હવેથી આજીવન ધોરણે જીવનભર માટે માન્ય રાખવામાં આવશે તેમ જણાવ્યું હતુ.
દિવ્યાંગ વ્યક્તિઓને તેમના જીવનમાં ઓશિયાળાપણા હોવાનો ભોગ ન બનવું પડે અને તેઓ પણ સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે જુનો નિયમોમાં બદલાવ લાવવાની નવતર પહેલ કરી છે. હવેથી દિવ્યાંગ વ્યક્તિ સરકારની વિવિધ યોજનામાંથી પોતાના મનગમતા ક્ષેત્રમાં કારકિર્દી ઘડી શકશે. તાજેતરમાં જ ટોક્યો પેરાલિમ્પીકમાં સિલ્વર મેડલ જીતનારી ગુજરાતની દીકરી અને ઘાટલોડિયા રહેતી ભાવિના પટેલ તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ભાવિના પટેલે દિવ્યાંગ હોવા છ્તાંય રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીત્યા છે. એટલે હવે દિવ્યાંગ હોવું એ અભિશાપ નથી.
દિવ્યાંગોના કલ્યાણ અને રોજગારી તથા આર્થિક ઉત્કર્ષ માટે રાજ્યમાં ‘’દિવ્યાંગ આર્થિક વિકાસ નિગમ’’ની પણ રચના કરવામાં આવી છે. રાજ્ય સરકારની સંત સુરદાસ યોજના અંતર્ગત બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ વ્યક્તિઓને પેન્શનની રકમ તેમના ખાતામાં દર મહિને નિયમિત રીતે મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારત સરકારના દિવ્યાંગ વિભાગ દ્વારા યુનિક આઇ.ડી રાખવાની યોજના છે ગુજરાતમાં પણ યુનિવર્સલ આઇ.ડી પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં અઢી લાખથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓને યુનિક આઈડી આપવામાં આવ્યા છે.