ગુજરાતમાં આ કંપનીએ વીજ બીલને લઈને લીધો મહત્વનો નિર્ણય, લોકોની ચિંતા થશે દૂર
કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા દેશમાં 3 મે સુધી લોકડાઉન છે. તેવામાં સરકારે ખાનગી બેન્કોને લોનના હપ્તા ભરવામાં રાહત આપવી, વિજ બીલ ભરવામાં મુદત આપવી જેવી અપીલ વિવિધ સેક્ટરની કરી હતી. આ અપીલને માન્ય રાખી લોકોને વિજ બીલ ભરવા મામલે કેટલીક છૂટછાટ અને રાહત આપવામાં આવી છે.

લોકડાઉનનો અમલ કડકાઈથી કરાવવા માટે સરકાર, પોલીસ દિવસ રાત એક કરી રહી છે તેવામાં લોકો વિજ બીલ ભરવાની ચિંતામાંથી મુક્ત થાય અને તેમને બીલ ભરવા માટે પણ ઘરમાંથી બહાર આવવું ન પડે તે માટે પશ્ચિમ વીજ કંપની લિમિટેડએ નક્કી કર્યું છે કે તે લોકોને વીજ બિલ ઘરે મોકલશે નહીં. આ નિર્ણયની અસર 60 લાખ ઉપભોક્તાઓને થશે.
પીજીવીસીએલ તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે એપ્રિલ માસનું બિલ જે તે વ્યક્તિએ ઓનલાઈન કંપનીની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. એટલે કે કંપની વેબસાઈટ પર ગ્રાહકોના બીલના ડેટા અપડેટ કરી દેશે. ડાઉનલોડ કર્યા બાદ ગ્રાહકોએ બીલ ઓનલાઈન જ ભરવાનું રહેશે.

કંપનીનું આ અંગે કહેવું છે કે ઘણા વિસ્તારોમાં કોરોનાના પોઝીટીવ કેસ નોંધાયા છે. તેવામાં કર્મચારીઓ ઘરે ઘરે ફરી બીલ આપવાનું કામ કરે તેમાં તેમને પણ કોરોનાનો ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. વળી બીલ ભરવા માટે પણ લોકોને લોકડાઉનમાં ઘરેથી નીકળવું ન પડે તે માટે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે.
આ ઉપરાંત સરકારે લોકોને વધુ એક રાહત પણ આપી જ છે કે તેઓ માર્ચ-એપ્રિલનું બીલ બાકી હશે તો તેને 15 મે સુધી ભરી શકે છે. આ બે માસ દરમિયાન વિજ બીલ ન ભરી શકનારનું કનેકશન કાપવામાં આવશે નહીં અને કોઈ પેનલ્ટી પણ લાગશે નહીં. તેવામાં પીજીવીસીએલએ લોકો માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ કરી છે જેનાથી લોકોને મોટી રાહત મળશે.

ઓનલાઈન બીલ ડાઉનલોડ કરવા અને બીલ ભરવા સુધીની પ્રક્રિયા કેમ કરવી તે પણ કંપનીની વેબસાઈટ પર સરળ ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી લોકોને તેમાં સમસ્યા ન થાય.