કોરોના મહામારીએ શરુઆતના તબક્કામાં ભગવાનને પણ લોકડાઉન કરી દીધા હતા અને હવે આ વર્ષના તમામ તહેવારોને જાણે નજર લગાડી દીધી છે તેવું જણાય રહ્યું છે.
રાજ્યમાં ઉજવાતા દરેક તહેવાર આ વર્ષે કોરોનાના કારણે બંધ રહ્યા છે અથવા તો તેમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે જેથી લોકો તેનાથી અળગા રહ્યા છે. આ વર્ષે જન્માષ્ટમીના મેળા પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે તેવામાં ગણેશ ઉત્સવને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ જે સ્થિતિ દેશભરમાં કોરોનાના કારણે સર્જાઈ છે તેને ધ્યાનમાં રાખી સાર્વજનિક ગણેશ એસોસિએશ દ્વારા આ વર્ષે ગણેશ ઉત્સવ પણ સાદગીથી જ ઉજવવાનો નિર્ણય કરી લીધો છે. આ સાથે જ નક્કી કરવામાં આવ્યું છે કે ગણેશ પંડાલમાં ભગવાનની મૂર્તિ એકથી બે ફૂટની જ મુકવામાં આવશે. આ મૂર્તિઓ પણ માટીની જ હોય તે પણ જરુરી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે ગણેશ ઉત્સવ 10 દિવસ માટે ભારે ધામધૂમથી ઉજવાય છે. તેવામાં શહેરમાં 5 હજારથી વધુ ગણેશ પંડાલ ઊભા કરવામાં આવતા હોય છે અને તેમાં 10થી 20 ફૂટ સુધીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ગણેશ ઉત્સવના રુપ રંગ પણ બદલાયેલા જોવા મળશે.
અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર દર વર્ષે જે રીતે વિવિધ સ્પર્ધાઓ 10 દિવસ દરમિયાન યોજાય છે અને તેમાં વિજેતા થનારને ઈનામ આપવામાં આવે છે તેમ આ વર્ષે કોઈપણ પ્રકારના ઈનામનું વિતરણ કરવામાં આવશે નહીં.
કોરોનાના પગલે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને ભક્તો મોટી સંખ્યામાં એકત્ર ન થાય તે માટે આ વર્ષે પ્રસાદનું વિતરણ પણ થશે નહીં. આ સિવાય ભગવાન ગણેશની સ્થાપના કે વિસર્જનમાં ધામધૂમથી સંગીત સાથે લોકો નીકળશે નહીં. દરેક પંડાલને સ્થળ પર જ માટીની ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે અનુરોધ કરવામાં આવશે.
એસોસિએશનું કહેવું છે કે જો દર વર્ષની જેમ ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવાય તો લોકોની ભીડ એકત્ર થઈ શકે છે અને જેમાં કોરોનાનો ચેપ ફેલાવાનું જોખણ ઊભું થઈ શકે છે. તેથી આ વર્ષે ગણેશ ઉત્સવ સાદગીથી ઉજવવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે લાખો ભક્તો સાથે નીકળતી રથયાત્રા પણ મંદિર ટ્રસ્ટએ સાદગીથી કાઢવા નક્કી કર્યું છે તો પછી ગણેશ ઉત્સવ પણ સાદગીથી જ ઉજવાશે જેથી લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે ગણેશ એસોસિએશન દ્વારા અમદાવાદના મૂર્તિ બનાવતા કારીગરોને માટીની મૂર્તિ કેવી રીતે બનાવીને તેની ટ્રેનિંગ આપવામાં આવશે. દર વર્ષે અહીંના કારીગરો 50 ટકા પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરી મૂર્તિઓ બનાવતા હોય છે. પરંતુ આ વર્ષે મૂર્તિઓ માટીની બને તે માટે આ વ્યવસ્થા પણ કરવામાં આવશે.
આ અંગે વિજય નાયક નામના મૂર્તિકારે જણાવ્યા અનુસાર આ વર્ષે 20 હજારથી વધુ માટીની મૂર્તિનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જો સરકાર તેમને માટીનું મટીરીયલ પૂરું પાડશે તો આ વર્ષે આશરે ગણેશ ઉત્સવમાં દરેક જગ્યાએ માટીની જ મૂર્તિ જોવા મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત