ગંગાજળની પવિત્રતાનું નહીં રાખો ધ્યાન તો પડી જશો મોટી મુસીબતમાં
સનાતન ધર્મમાં દરેક નદીને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. નદીઓની પૂજા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે તેમાં પણ ગંગા નદીનું તો અનેરું મહત્વ છે. પાપ કર્મોથી મુક્ત કરતી ગંગા નદીના પાણી એટલે કે ગંગાજળને તો સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ યુગમાં માં ગંગાને પાપ હારિણી પણ કહેવામાં આવે છે. ઘરના કોઈપણ શુભ કાર્ય માટે ગંગાજળનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માં ગંગા મોક્ષ આપે છે. આ જ કારણથી રોજ હજારો લોકો ગંગામાં સ્નાન કરે છે. આજના કળિયુગના સમયમાં પણ લોકોમાં માતા ગંગા પ્રત્યે શ્રદ્ધા અતૂટ રહી છે.
આ જ કારણ છે કે દરેક ઘરમાં ગંગાજળ અવશ્ય રાખવામાં આવે છે. ગંગાજળને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જો ઘરમાં ગંગાજળ રાખવામાં આવે તો તે ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. લોકો સામાન્ય રીતે ગંગાજળને સંપૂર્ણ ભક્તિ સાથે પોતાના ઘરમાં રાખે છે. પરંતુ મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે ઘરમાં ગંગાજળ રાખવાના પણ કેટલાક નિયમો છે. જેને ધ્યાનમાં રાખવામાં ન આવે તો તે તમારા માટે સમસ્યાનું કારણ પણ બની શકે છે.
કયા પ્રકારની ભુલ ગંગાજળ સાથે ન કરવી જોઈએ ?
1. આજકાલના સમયમાં મોટાભાગના ઘરમાં પ્લાસ્ટિકની બોટલમાં રાખેલું ગંગાજળ જોવા મળે છે. પરંતુ જણાવી દઈએ કે ગંગાજળને ભૂલથી પણ પ્લાસ્ટિકની બોટલમાં ન રાખવું જોઈએ, કારણ કે પ્લાસ્ટિકને અશુદ્ધ માનવામાં આવે છે. શક્ય હોય ત્યાં સુધી ગંગાજળને તાંબા, પિત્તળ, માટી કે ચાંદીના વાસણમાં રાખવું જોઈએ.
2. જો તમે તમારા ઘરમાં ગંગાજળ રાખો છો, તો તમારે દરેક પરિસ્થિતિમાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય હંમેશા ધ્યાનમાં રાખો કે જ્યાં તમે ગંગાજળ રાખ્યું હોય ત્યાં તામસિક વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઈએ, તેથી ગંગાજળને રસોડાથી દૂર રાખવું જોઈએ.
3. ગંગાજળ જીવનમાં પવિત્રતા પ્રદાન કરે છે, તેથી તેને ક્યારેય પણ એવી જગ્યાએ ન રાખવું જોઈએ જ્યાં અંધકાર હોય. કારણ કે ગંગાજળ પવિત્ર છે, તો તેને રાખતી વખતે તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં ગંગાજળ રાખવામાં આવે છે, ત્યાં કોઈ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ.
4. ગંગાના પાણીને સ્પર્શ કરતા પહેલા પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેને સ્પર્શ કરતા પહેલા તમારે તમારા હાથને સારી રીતે ધોવા જોઈએ, ગંદા હાથથી ગંગાજળને સ્પર્શ કરવાની ભુલ ક્યારેય કરશો નહીં. જો તમે ગંદા હાથથી અથવા અશુદ્ધ સ્થિતિમાં ગંગાના પાણીને સ્પર્શ કરો છો તો તેનાથી દોષ લાગે છે.