ઘનશ્યામ નાયકના મૃત્યુ પછી કેટલાક લોકો કરી રહ્યા છે અસિત મોદીનો રોલ માટે સંપર્ક
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોના એક ઉમદા કલાકાર ઘનશ્યામ નાયક એટલે કે નટુ કાકા થોડા સમય પહેલા જ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. નટુકાકા આ શોનું એક મહત્વનું પાત્ર છે તેવામાં તેમના જવાથી શોમાં તેમની જગ્યા ખાલી પડી છે. આમ તો ધનશ્યામ નાયકે નટુકાકાના પાત્રને જે ન્યાય આપ્યો તે અન્ય કોઈ આપી શકે તે શક્ય નથી પરંતુ શોમાં તેમના પાત્રનું ખાસ મહત્વ હોવાથી શોમાં નવા નટુકાકાની એન્ટ્રી થશે જ તે પણ નક્કી છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ છે જેમાં એક વ્યક્તિ નટુકાકાની ખુરશી પર બેઠેલો જોવા મળે છે અને તેની સાથે કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ નવા નટુકાકા છે.
આ તસવીર સાથે ચર્ચા શરુ થઈ હતી કે મેકર્સે નવા નટુકાકા શોધી લીધા છે. જે તસવીર વાયરલ થઈ છે તેમાં ગડા ઈલેક્ટ્રોનિક્સ જોવા મળે છે અને નટુકાકાની ચેર પર એક વ્યક્તિ જોવા મળે છે. આ ઈંસ્ટા પોસ્ટ આગની જેમ વાયરલ થઈ રહી છે પરંતુ તેની પાછળનું સત્ય શું છે તે શોના મેકર એવા અસિત મોદીએ જણાવ્યું છે
એક મુલાકાતમાં અસિત મોદી ખુલાસો કર્યો છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો ફેક છે. હાલ તેમણે કોઈ અભિનેતાને નટુકાકાના પાત્ર માટે ફાઈનલ કર્યા નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઘનશ્યામ નાયકે શોને 14 વર્ષ આપ્યા છે અને તેમણે આ પાત્રમાં પ્રાણ પુરી દીધા છે તેવામાં તેમના સ્થાને બીજાને ફાઈનલ કરવા સરળ નથી. તેમાં પણ સોશિયલ મીડિયા પર જે વાત ચાલે છે તેના પર લોકોએ વિશ્વાસ કરવો નહીં.
View this post on Instagram
જો કે તેમણે વધુ એક વાત જણાવી હતી કે જ્યારે ઘનશ્યામ નાયકનું નિધન થયું ત્યારે પણ કેટલાક કલાકારોએ નટુકાકાના પાત્ર માટે તેમને કોલ કર્યો હતો. પરંતુ આમ નિષ્ઠુર થઈ તેમની સાથે રોલ માટે વાત કરનાર લોકોને તેમણે અવગણ્યા હતા. અસિત મોદીએ કહ્યું હતું કે નટુકાકા શોમાં આવશે તે નક્કી છે પરંતુ ઘનશ્યામ નાયકનું સ્થાન બીજાને આપવું તેમાં સમય લાગી શકે છે.
વાત કરીએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરમાં દેખાતા વ્યક્તિની તો જણાવી દઈએ કે આ વ્યક્તિ ખરેખરની જે ગડા ઈલેક્ટ્રોનિકસ છે તેના માલિક છે. તેમણે આ તસવીર વાયરલ થયા અંગે કહ્યુ હતું કે લોકો લાઈક્સ વધારવા માટે કોઈના પણ ફોટાનો ઉપયોગ કરી લેતા હોય છે. આ રીતે તેમની પણ તસવીરના સ્ક્રીનશોટ લઈ તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.