વિજ્ઞાન એક એવી કલ્પના છે જે માણસ માટે જેટલી લાભદાયી છે એટલી જ નુકશાનકારક પણ છે. એક સમય એવો પણ હતો કે આ વિજ્ઞાન દ્વારા જ શોધાયેલા અણુ બૉમ્બ દ્વારા જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકીનું નામોનિશાન ભૂંસાઈ ગયું હતું.
જેમાં લાખો લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જો કે આ બન્ને શહેરો પર માત્ર એક એક અણુ બૉમ્બ જ ફેંકવામાં આવ્યો હતો પરંતુ તેની વિનાશકતા અતિભારે અને ઘાતક હતી.
ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટીલમાં અમે આપને એક એવી ઘટના વિષે જણાવવાના છીએ જેમાં આખા શહેર પર એક જ રાત્રિમાં એટલા બૉમ્બ ફેંકાયા હતા કે સવાર પડતા સુધીમાં અંદાજે એક લાખ લોકો મૃત્યુને ભેટી ચુક્યા હતા.
આ વિનાશકારી બોમ્બમારાને ઇતિહાસમાં ” બોમ્બિંગ ઓફ ટોક્યો ” અથવા ” ગ્રેટ ટોક્યો એયર રેડ ” ના નામથી ઓળખવામાં આવે છે. કારણ કે આ ઘટના જાપાનની રાજધાની ટોક્યો શહેરમાં જ ઘટી હતી. આ ઘટના હિરોશિમા અને નાગાસાકી પર થયેલા અણુ હુમલાના ચાર મહિના પહેલા ઘટી હતી. પરંતુ તે બન્ને ઘટનાઓ વચ્ચેની સામ્યતા એ હતી કે આ બન્ને હુમલાઓ અમેરિકા દ્વારા જ કરાયા હતા.
એ સમયે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને અમેરિકા એ એક ઓપરેશન લોન્ચ કર્યું અને તેનું નામ રાખવામાં આવ્યું ” ઓપરેશન મિટિંગહાઉસ “. આ ઓપરેશન અંતર્ગત અમેરિકાએ પોતાના 279 બોઇંગ B-29 વિમાનોને ટોક્યો શહેર પર બોમ્બવર્ષા કરવા માટે મોકલ્યા. નવ માર્ચ 1945 ની રાત્રીએ આ ઓપરેશન શરુ કરવામાં આવ્યું અને 279 બોઇંગ B-29 વિમાનોએ આખા ટોક્યો શહેર પર બૉમ્બ વરસાવવાનું શરુ કર્યું.
10 માર્ચ 1945 ની સવારે ” ઓપરેશન મિટિંગહાઉસ ” પૂરું થયું એટલે કે આ ઓપરેશન ફક્ત એક જ દિવસ સુધી ચાલ્યું પરંતુ આ એક દિવસમાં 279 બોઇંગ B-29 વિમાનોએ ફેંકેલા બૉમ્બ દ્વારા અંદાજે એક લાખ લોકોનો ભોગ લીધો જયારે સવા લાખ જેટલા લોકો ઘાયલ થયા હતા. એ ઉપરાંત 10 લાખ લોકો ઘરવિહોણા બન્યા હતા. સામે પક્ષે 14 અમેરિકન વિમાનો પણ દુર્ઘટનાગ્રસ્ત થયા જેમાં લગભગ 96 જેટલા સૈનિકો મૃત્યુ પામ્યા.
એક અહેવાલ પ્રમાણે અમેકં વિમાનોએ ટોક્યો પર લગભગ 1665 ટન બૉમ્બ વરસાવ્યા હતા. જેના કારણે બે લાખ 86 હજાર જેટલી ઇમારતો અને ઘરો સંપૂર્ણ નાશ પામ્યા હતા. આ જ કારણોથી આ ઘટનાને વિશ્વની સૌથી વિનાશક ઘટનાઓ પૈકી એક ગણવામાં આવે છે.