ગુજરાતમાં હીટવેવની અસર શરૂ થઈ ગઈ છે. ઉનાળાની ગરમીનો અહેસાસ હવે થવા લાગ્યો છે. કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાંથી પોરબંદર, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં આગામી બે દિવસ માટે હીટ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે, જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી યલો એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડીગ્રી પહોંચશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે બેથી ચાર ડીગ્રી તાપમાન વધી જશે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, દિવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમ પવનનો ફૂંકાશે.અને લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. અમદાવાદ, સુરત, અમરેલી, રાજકોટ, પોરબંદરનું મહત્તમ તાપમાન 37 ડીગ્રીએ પહોંચી ગયું છે તો ભુજનું મહત્તમ તાપમાન 38 ડીગ્રીએ પહોંચ્યું છે.
રાજ્યના દીવ, દમણ, દાદરા અને નગર-હવેલી માટે આગામી 5 દિવસની હવામાન વિભાગની હીટવેવની ચેતવણી છે. રાજ્યમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવી જશે. હવામાન વિભાગ અનુસાર, અત્યારે ભલે આંશિક ગરમી અનુભવાઈ રહી હોય, પરંતુ આગામી સપ્તાહ બાદ ગરમીનો પારો ઊંચો જશે. 10થી 16 માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી જશે. લોકોને 40 ડીગ્રી ગરમીનો અનુભવ પણ થઈ જશે.
આગામી 4-5 દિવસ દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રીનો વધારો થઇ શકે છે. ‘ આજે દિવસ દરમિયાન 38.9 ડિગ્રી સાથે સાસણ ગીરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં 36.9 ડિગ્રીએ સરેરાશ મહત્તમ તાપમાનનો પારો રહ્યો હતો. આગામી 14 થી 16 માર્ચ દરમિયાન અમદાવાદમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાય તેની સંભાવના છે.