ગુજરાતમાં વધી રહ્યા છે કોરોના કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા નવા કેસ
કોરોનાની બીજી લહેર એપ્રિલ મેમાં ત્રાટકી હતી અને તે સમયે ગુજરાત સહિત દેશભરના રાજ્યોએ ભયંકર સ્થિતિ જોઈ હતી. તે સમયની સ્થિતિને યાદ કરીએ તો હાલની સ્થિતિમાં કોરોના છે જ નહીં તેમ લાગે. આ વાતના કારણે લોકો પણ રાહતનો શ્વાસ લઈ અને બિંદાસ્ત ફરવા લાગ્યા છે પરંતુ તમને જણાવી દઈએ કે રાજ્યમાં કેસ ફરીથી વધી રહ્યા છે. ધીમી ગતિએ કોરોના ફરીથી માથું ઉંચકી રહ્યો છે.
રાજ્યમાં એક સમયે હજારોની સંખ્યામાં કેસ નોંધાતા હતા એટલે કદાચ આ સમયના કેસ વધારે લાગતા નહીં હોય પરંતુ છેલ્લા ઘણા દિવસોથી કેસમાં ધીમો ધીમો વધારો થવા લાગ્યો છે. રાજ્યમાં ફરી એકવાર અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ ડબલ ડીજીટમાં પહોંચી ગયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં જે 25 કેસ સામે આવ્યા હતા તેમાંથી અમદાવાદમાં 11, સુરતમાં 8, વડોદરામાં 3, ગીર-સોમનાથમાં 1, જામનગરમાં 1 અને કચ્છમાં 1 કેસ નોંધાયા હતા. કોરોનાએ ધીમે ધીમે પણ વધી તો રહ્યો છે જ ત્યારે આવનારા સમયમાં તહેવારો દરમિયાન ખાસ તકેદારી રાખવી પડશે.
કોરોનાના કેસ વધી રહ્યા છે તો સાથે જ રાજ્યભરમાં રસીકરણ પણ ગતિમાં કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં શુક્રવાર સુધીમાં 18 લાખ નાગરીકોએ રસી અપાઈ છે.
તેવામાં કોરોનાના કેસમાં વધારો થતાં રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. આ સિવાય સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ જે ત્રીજી લહેરની ભીતિ વ્યક્ત કરી છે તેને ધ્યાને લેતા તંત્ર દ્વારા પુરતી તૈયારી કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જે નવા 25 કેસ નોંધાયા છે ત્યારબાદ હવે રાજ્યના એક્ટિવ કેસની સંખ્યા 154 થઈ છે. તેમાંથી 7 દર્દીઓ વેંન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે. 24 કલાકમાં 20 દર્દી સ્વસ્થ થઈ ઘરે પહોંચ્યા છે. રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું નથી.