ગુજરાતમાં કોરોનાની રફ્તાર દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 7 હજારને પાર કરી ગયો છે અને હાલ 7321 એક્ટિવ કેસ છે. જ્યારે 5 મહિના બાદ ગુજરાતમાં 1,580 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે. હાલમાં કોરોના જે રીતે આકાર લઈ રહ્યો છે અને દેશમાં બીજી લહેરની આશંકા રાખવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં કોરોનાના સુપર સ્પ્રેડરનો આંક પણ ચિંતા જન્માવી રહ્યો છે. કોરોનાના સુપર સ્પ્રેડરની વાત કરીએ તો તેમાં સુરત મોખરે છે. ગુજરાતના 4 મોટા શહેરોમાં કોરોના સંક્રમણમાં સુરત પહેલા નંબરે છે તો અમદાવાદ બીજા ક્રમે હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરતમાં કોરોના સંક્રમણ ખતરનાક સ્તરે
સુરતમાં કોરોના સંક્રમણ વધતા અહીં ટેસ્ટિંગમાં વધારો કરવાનું નક્કી થયું છે. સુરતમાં આજથી પ્રતિદિન 25 હજાર ટેસ્ટિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. અહીં સરકારે વધુમાં વધુ ચેપગ્રસ્ત લોકોને શોધવાનું શરૂ કર્યું છે. ચેપગ્રસ્ત લોકોને શોધીને ક્વોરન્ટાઇન કરાશે અને સાથે જ રીક્ષા ડ્રાઇવરો અને કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ટેસ્ટિંગ કરવામાં આવશે. શહેરમાં 1.5 લાખ કરતા વધુ રીક્ષાચાલકો હોવાનું જાણવા મળ્યું છે.
સુરતમાં સંક્રમણ વધતા મનપા કમિશ્નરે કર્યું આ કામ
મનપા કમિશનર લોકોને સમજાવવા રસ્તા પર નીકળી પડ્યા છે. મેયર અને OSD કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. ટેક્સટાઇલ માર્કેટમાં કમિશનરે કરીને વેપારીઓને સૂચના આપવામાં આવી છે. ગઇકાલે સુરતમાં 510 પોઝિટિવ કેસ નોંધાયા હતા તો આક્રમક ટેસ્ટિંગ પદ્વતિથી સંક્રમિતોની તપાસ કરાશે. આ સાથે જ શહેરમાં મનપા દ્વારા સુપર સ્પ્રેડરને રોકવાના પ્રયાસ શરૂ કરાયા છે. અત્યાર સુધીમાં સુરતમાં અનાજ-કરિયાણાના 22 વેપારીઓ પોઝિટિવ આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
વડોદરામાં ફેબ્રુઆરી કરતા માર્ચમાં વધ્યા કોરોનાના કેસ
વડોદરામાં ફેબ્રુઆરી મહિનામાં 1241 કેસ નોંધાયા હતા તો સાથે જ છેલ્લા 21 દિવસમાં જ 1354 કેસ નોંધાયા છે. અહીં તંત્રએ 17 દિવસમાં સંક્રમણને કારણે કુલ 2843 બેડ વધારી દીધા છે. ICUમાં 60%, ઓક્સિજનના 56.95% બેડ વધારી દીધા છે. અહીં હોસ્પિટલમાં 2460 બેડથી વધારીને 5303 બેડ કરાઈ છે. હાલમાં વડોદરામાં 2323 બેડ ખાલી હોવાનો તંત્રનો દાવો પણ કરાયો છે.
અમદાવાદમા પણ માર્કેટને લઈને લેવાયા ખાસ નિર્ણયો
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોવા છતાં જમાલપુર APMC માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. AMCના આદેશ છતાં APMC માર્કેટમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું નથી, કોઈ સોશ્યલ ડિસ્ટન્સ પણ ફોલો થઈ રહ્યું નથી. રાબેતા મુજબ કામ ચાલતા જ આજથી AMCએ ઓડ ઇવન પ્રમાણે દુકાન ખોલવાનો આદેશ કર્યો છે. આ સાથે કહ્યું છે કે જો નિયમોનું પાલન નહીં કરાય તો દુકાનો સીલ કરાશે.
અમદાવાદમાં એક જ દિવસમાં 443 કોરોના પોઝિટવ આવ્યા છે. અહીં અમદાવાદમાં 1 હજાર 466 એક્ટીવ કેસ આવ્યા છે. તો એક દિવસમાં કોરોનાથી 3 દર્દીના મૃત્યુ થયા છે. અમદાવાદમાં કોરોનાથી 2 હજાર 334 દર્દીના મૃત્યુ થયા છે. અહીં એક દિવસમાં અમદાવાદમાં 10 હજાર 103 ટેસ્ટ કરાયા છે. આ સાથે જ અહીં આજથી કોરોનાના ટેસ્ટિંગમાં વધારો કરવાનું નક્કી કરાયું છે.
મહેસાણા અને સૌરાષ્ટ્રમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ
મહેસાણામાં 21 દિવસમાં કોવિડ કેસમાં 80 ટકાનો વધારો થયો છે તો આ સમયમાં 107 દર્દીઓ સ્વસ્થ થયા છે. અન્ય તરફ સૌરાષ્ટ્રમાં એક દિવસમાં 226 પોઝિટિવ કેસ નોંધાયા કોરોનાથી 5 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે.
રાજ્યમાં ગઈકાલે 1,565 કેસ નોઁધાયા હતા. જ્યારે 989 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ શહેરમાં 3, સુરત શહેરમાં 2 તથા વડોદરા અને ગાંધીનગરમાં 1-1 મળી કુલ 7 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 4,450 થયો છે. 30 ડિસેમ્બર બાદ પહેલીવાર રાજ્યમાં મૃત્યુઆંક 7 થયો છે. 24 કલાકમાં રાજ્યના એક માત્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!