અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા ‘તાઉતે’ વાવાઝોડાએ સોમવારે ગુજરાતમાં લેન્ડફોલ બાદ ભારે તારાજી સર્જી છે. દીવથી સૌરાષ્ટ્રમાં પ્રવેશેલા વાવાઝોડાએ સૌથી વધુ નુકસાન ગીર સોમનાથ, ઉના, ભાવનગર અને જૂનાગઢમાં કર્યું હતું. જો કે બપોર બાદ વાવાઝોડું અમદાવાદ તરફ આગળ વધ્યું અને સાથોસાથ નબળું પણ પડી રહ્યું છે. પરંતુ તેમ છતાં અમદાવાદ પર તાઉતેની આફત વરસી રહી છે. સતત વરસતા વરસાદ અને ભારે પવનના કારણે શહેરમાં ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા છે અને દુકાનોના બોર્ડ પડી ગયેલા જોવા મળ્યા હતા.
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર ગુજરાતમાં વાવાઝોડાની આગામી 24 કલાક સુધી જોવા મળશે. જેના કારણે રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા પણ છે. જેની શરુઆત અમદાવાદથી થઈ ચુકી છે.
વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થઈ રહ્યું છે. જોકે પવનની ગતિ ઘટીને 60 કિલોમીટર પ્રતિ કલાક જેટલી થઈ હતી. આ સાથે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શરુઆત પણ થી હતી. સાંજ સુધીમાં શહેરમાં સરેરાશ 3 ઈંચ વરસાદ પડ્યો હતો. શહેરના મધ્યમાં 3 ઈંચ વરસાદ થયો હતો. જો કે આ સાથે જ રિવરફ્રંટ ખાતે ઝાડ પડી જવાની ઘટના પણ બની હતી.
અમદાવાદની ઓળખ સમી પાંચભાઈની પોળ, ઘીકાંટા વિસ્તારમાં જર્જરીત થયેલું મકાન વરસાદી પવનનના કારણે ધસી પડ્યું હતું. જ્યારે શહેરના નારણપુરા વિસ્તારમાં એક વિજ પોલ તુટી ગયો હતો. વાવાઝોડાના પગલે સ્થાનિક તંત્ર દ્વારા ઈન્કમટેક્સ અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો.
શહેરમાં સાંજ સુધીમાં 250થી વધુ ઝાડ પડ્યા હોવાની અને 50થી વધુ જગ્યાઓએ પાણી ભરાયાની ફરિયાદો નોંધાઈ હતી. પાલડીમાં પરિમલ ગાર્ડન અને સિંધુ ભવન રોડ પર મોટા હોર્ડિંગ પડી ગયા હતા. જો કે આ ઘટનામાં કાર ચાલક અને રીક્ષા ચાલકનો જીવ માંડ માંડ બચ્યો હતો. નિકોલ વિસ્તારની વાત કરીએ તો અહીં પોલીસ સ્ટેશનના જ પતરા હવામાં ઉડી ગયા હતા. શહેરમાં 60 જેટલા મોટા ઝાડ પડી ગયાની ફરિયાદ નોંધાઈ હતી. જેને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
વાવાઝોડા અને વરસાદ વચ્ચે શહેરીજનોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. શહેરના નિકોલ, નવા નરોડા, ચાંદખેડા, સોલા સહિતના વિસ્તારમાં લાઈટ જતી રહી હતી. વાવાઝોડાના કારણે નારણપુરામાં એક વીજ પોલ પણ તુટી પડ્યો હતો. જ્યારે યુએન મહેતા હોસ્પિટલનું બોર્ડ પણ તુટી ગયું હતું.
અમદાવાદના નીચાણવાળા વિસ્તાર જેવા કે જશોદા ચોકડી, ગોરનાં કૂવા, હાટકેશ્વર સર્કલ, સોલા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો. અમદાવાદમાં ભારે વરસાદ થવાથી જોધપુર, સેટેલાઈટ, નારણપુરા, વસ્ત્રાલ, હાટકેશ્વર વિસ્તારમાં પણ ઘુંટણસમા પાણી ભરાયા હતા.
બોપલ વિસ્તારની કેટલીક હાઈરાઈઝ બિલ્ડીંગોના કાચ પણ પવનના કારણે તુટી ગયા હતા. જેના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!