હનુમાનજી એક એવા ભગવાન છે જે કળિયુગમાં પણ પૃથ્વી પર વિરાજમાન છે. ભગવાન હનુમાનજી ની પૂજા આરાધના કરવાથી મનુષ્ય દરેક રીતે ભય મુક્ત થાય છે. તેમની પૂજા કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. અનેક લોકો હનુમાન ચાલીસા નો પાઠ કરે તો તેને ફાયદો થાય છે અને બજરંગબલીની અસીમ કૃપા પણ તેને મળે છે. મંગળવારને હનુમાનજીની આરાધના માટે ખાસ માનવામાં આવે છે. આ દિવસે તેમની વિશેષ પૂજા અને ફોટો લગાવવા થી વાસ્તુનો દોષ દૂર થાય છે. તો જાણો કઈ દિશામાં કયો ફોટો લગાવવો યોગ્ય છે.
પંચમુખી હનુમાનજી
માન્યતા છે કે જે ઘરમાં પંચમુખી હનુમાનજીનો ફોટો હોય છે તે ઘરમાં કોઈ પણ મુશ્કેલી રહેતી નથી. પંચમુખી ફોટો લગાવવાથી ઘરમાં માતા લક્ષ્મી ની કૃપા બની રહે છે. આ સિવાય નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ સિવાય પ્રવેશદ્વાર પર આ ફોટો લગાવી લેવામાં આવે તો ઘરમાં કોઈ પણ નકારાત્મક શક્તિનો પ્રવેશ થઈ શકતો નથી.
દક્ષિણ દિશામાં લગાવો હનુમાનજીનો ફોટો
કહેવાય છે કે હનુમાનજીનો ફોટો હંમેશા દક્ષિણ દિશામાં લગાવવો. આ દિશામાં તેમનો પ્રભાવ વધારે રહે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નો પ્રભાવ રહેતો નથી.
લાલ રંગના હનુમાનજીનો ફોટો
આ ફોટો ઘરના દક્ષિણ દિશામાં લગાવવો યોગ્ય રહે છે. લાલ રંગના હનુમાનજી નો બેઠેલો ફોટો લગાવવાથી નેગેટિવ એનર્જી ની અસર ઘટે છે. આ ફોટો લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ નો વાસ થાય છે. જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે આ મુદ્રાનો ફોટો રાખી તેમની પુજા કરવી યોગ્ય છે.
પર્વત ઉઠાવેલા સંકટમોચન હનુમાનજી
વાસ્તુ શાસ્ત્રમાં તેમના ઘરમાં પર્વત ઉઠાવેલા હનુમાનજીનો ફોટો લગાવવા ની સલાહ આપવામાં આવે છે. જેમના પરિવારના સભ્યોમાં સાહસ અને આત્મવિશ્વાસ ની ખામી જોવા મળે છે, તેમને માટે આ ખાસ ફોટો મદદ કરે છે.
ભગવાન રામના ચરણોમાં બેઠેલા હનુમાનજી
ઘરના દીવાન ખંડમાં રામદરબારમાં રામજીના ચરણોમાં બેઠેલા હનુમાનજી ની તસવીર મૂકવાથી પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ, વિશ્વાસ, સ્નેહ અને એકતા જળવાઈ રહે છે.
ઉડતા હનુમાનજી
જો આ તસવીર તમારા ઘરમાં હોય તો તમારી પ્રગતિ, ઉન્નતિ અને સફળતા ને કોઈ રોકી શકે નહીં. તમારામાં આગળ વધવા માટે ઉત્સાહ અને હિંમત હશે. તમે સફળતાના માર્ગ પર આગળ વધતા રહેશો.
ભક્તિમુદ્રાના ચિત્રની પૂજા કરવી
ભક્તોએ ભક્તિ સાથે ભગવાન હનુમાન ની તસવીર સામે બેસીને તેમની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.