આટલી ફી ભરીને હાઉસિંગ બોર્ડનું સરકારી મકાન કરી શકો છો તમારા નામે, જાણો રૂપાણી સરકારનો નિર્ણય
રાજ્ય સરકારે લોકોના હિતને ધ્યાને રાખી વધુ એક નિર્ણય લીધો છે. સરકારે લીધેલા આ નિર્ણયથી એવા લોકો સૌથી વધુ ખુશ થશે જેમનું ઘરના ઘરનું સપનું અધુરું છે. રાજ્ય સરકારે જાહેર કર્યા અનુસાર જે લોકોને ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી મકાન ફાળવવામાં આવ્યા છે તેઓ જંત્રી ચુકવી અને તે મિલકતના માલિક બની શકે છે. ખાસ વાત એ છે કે આ જંત્રી પણ તેમણે એક જ વખત ચુકવવી પડશે. આમ કર્યા બાદ તેઓ પ્લોટ, ટેનામેન્ટ, રો-હાઉસ સહિતની બોર્ડે ફાળવેલી મિલકતના કાયમી માલિક બની શકે છે.
આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર રાજ્યમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જે ટેનામેન્ટ, રો- હાઉસ અને અન્ય રહેણાંક આવાસ માટે અગાઉ જે પ્લોટ કે જમીન લોકોને લીઝ હોલ્ડ પર આપી હતી તેને હવે ફ્રી-હોલ્ડ કરવા રાજ્ય સરકારે તૈયારી કરી છે. આમ કરવાથી ફાયદો એ થશે કે ગુજરાત હાઉસિંગ બોર્ડે જેમને જેમને મકાન ફાળવ્યા છે તેવા ભાડૂઆત ગણાતા લોકો હવે એક વખત જંત્રીની રકમ વસૂલી તે પ્લોટ, ટેનામેન્ટ, રોહાઉસના કાયમી માલિક બની શકશે.
સૂત્રોના જણાવ્યાનુસાર આ અંગે રાજ્યના શહેરી વિકાસ વિભાગે ગુજરાત હાઉસિંગ બોર્ડને લેખિતમાં સુચના પણ આપી દીધી છે. આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગયા વર્ષે જૂન મહિનામાં જે જમીનો લીઝ પર આપવામાં આવી હતી તેને ફ્રી હોલ્ડ કરવા માટે ઠરાવ થયો હતો જેના પર સરકાર દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. આ અંગેનો પત્ર શહેરી વિકાસ વિભાગના ઉપસચિવ વેદાંત જોષીની સહીથી પાઠવાયો હતો.
લીઝ પરની જમીનો ફ્રી હોલ્ડ કરવાના સરકારના નિર્ણયથી રાજ્યભરના લોકોને લાભ થશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા સહિતના મહાનગરોમાં છેલ્લા બે દાયકાઓથી હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયા, એપાર્ટમેન્ટ અને ફ્લેટ બાંધી રહ્યું છે. આ નિર્ણયથી લોકોને લાભ થશે. આ સાથે જ રિ ડેવલપમેન્ટના પ્રોજેક્ટને પણ વેગ મળશે. સરકારના આ નિર્ણયથી છેલ્લા ઘણા દાયકાથી 99 વર્ષના ભાડાપટ્ટે રહેલા પ્લોટ, ટેનામેન્ટ, રો હાઉસના કબજેદારો એક વખત જંત્રી ચુકવી તે મિલકતના કાયમી માલિક બની શકશે.
ઉલ્લેખનીય છે કે આવાસ યોજનામાં ઘર જેમને મળે છે તેઓ ભાડુઆત ગણાતા હોવાથી તેમને મળેલા મકાન તેઓ વેંચી શકે તેવો માલિકી હક તેમને હોતો નથી. પરંતુ આ નિર્ણયથી તેમને માલિકી હક મળી જશે. આવનારા સમયમાં ફ્લેટ, એપોર્ટમેન્ટ જેવી સ્કિમોમાં પણ એક વખત રકમ વસૂલી ભાડૂઆતોને માલિકી હક આપવાની બાબત પણ સરકારમાં વિચારાધીન છે.