ભારતએ બદલ્યા FDIના નિયમો, સૌથી વધુ ચીનને થશે અસર
ભારતએ એફડીઆઈમાં જે નિયમો બદલ્યા છે તેના પર ચીનએ પ્રતિક્રિયા આપી છે. ભારતમાં ચીનના રાજદૂતએ આ ફેરફારને WTOના નિયમોથી વિરુદ્ધ ગણાવ્યા છે.
ચીન તરફથી કહેવામાં આવ્યું છે કે તેમણે ભારતમાં 8 અરબ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. ચીનના રોકાણથી ભારતમાં હજારો જોબ ક્રિએટ થઈ છે. ચીન દ્વારા જે રોકાણ તાજેતરમાં કરવામાં આવ્યું તેની પાછળ કોઈ ખોટો ઈરાદો ન હતો.
તેવામાં ભારત તરફથી ચીનના રોકાણને રોકવા માટે જે ફેરફાર કરાયા છે તે ઉદારીકરણની નીતિ વિરુદ્ધ છે. આ મામલે ચીનએ લેખિતમાં પોતાનો વિરોધ પણ દર્શાવ્યો છે.
ભારતએ ચીનથી આવતા વિદેશી રોકાણ પર કડકાઈ દાખવી છે. સરકારએ આદેશ જારી કરી કહ્યું છે કે જે દેશો ભારતની સરહદ સાથે જોડાયેલા ત્યાંથી થનાર ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ પહેલા સરકારની મંજૂરી લેવી પડશે. અત્યાર સુધી આ રોકાણ ઓટોમેટિક થતા હતા. પરંતુ હવે ચીન સહિત અન્ય પાડોશી દેશોએ એફડીઆઈ પર સરકારની મંજૂરી લેવી પડશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકારનો આ મામલે લક્ષ્ય સ્પષ્ટ છે કે વેલ્યૂએશનમાં જે ઘટાડો નોંધાયો છે તેનો લાભ ઉઠાવનાર સામે કડક પગલાં ભરવા. તાજેતરમાં જ એચડીએફસીમાં ચાઈના સેન્ટ્રલ બેન્ક દ્વારા પોતાની ભાગીદારી 1 ટકાથી વધારવામાં આવી હતી. ત્યારબાદ ભારતએ આ નિર્ણય લીધો છે.
મહત્વપૂર્ણ એ પણ છે કે કોરોનાના કારણે વિશ્વભરના દેશોમાં અને વૈશ્વિક બજારમાં જે અફરાતફરી છે તેનો લાભ લઈ ચીન ભારત સહિત દુનિયાભરમાં રોકાણ ઝડપથી વધારી રહ્યું છે. ભારત પહેલા ચીનને ભાન કરાવવા જર્મની, ઓસ્ટ્રેલિયા, સ્પેન, ઈટલી આ પગલાં ભરી ચુક્યા છે. સેબી હાલ ચીન અને ભારતના અન્ય પડોશી દેશમાંથી આવનાર રોકાણ પર બાજ નજર રાખી રહી છે.