IPLને લઈને બદલાયો આ નિયમઃ આજથી આ રીતે કરી શકાશે ટિકિટ બુક
ક્રિકેટ ચાહકો માટે 19 સપ્ટેમ્બરથી ફરી એકવાર ઉત્સવનો સમય શરુ થવા જઈ રહ્યો છે. 19 સપ્ટેમ્બરથી આઈપીએલની બાકીની મેચો રમાવા જઈ રહી છે ત્યારે ક્રિકેટના ચાહકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021નો બીજો તબક્કો શરુ થવાનો છે. આઈપીએલ 2021નો ક્રિકેટ જંગ ફરી એકવાર 19 સપ્ટેમ્બરથી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચથી શરૂ થશે.
આ મેચ પહેલા એક મોટી ખુશખબર સામે આવી છે. સારા સમાચાર એ છે કે ચાહકો IPL માં જોવા માટે જઈ શકે છે. કોરોના વાયરસના કારણે આઈપીએલ ચાહકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાઈ રહી હતી, પરંતુ બુધવારે બીસીસીઆઈએ જણાવ્યું હતું કે હવે બીજા તબક્કામાં ચાહકો સ્ટેડિયમમાં બેસીને આ ક્રિકેટ લીગનો આનંદ માણી શકશે. જો કે માત્ર મર્યાદિત સંખ્યામાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. જેથી સ્ટેડિયમમાં સામાજિક અંતર જળવાઈ શકે.
NEWS – VIVO IPL 2021 set to welcome fans back to the stadiums.
More details here – https://t.co/5mkO8oLTe3 #VIVOIPL
— IndianPremierLeague (@IPL) September 15, 2021
ચાહકો 16 સપ્ટેમ્બર એટલે કે આજથી જ આઈપીએલ મેચો માટે ટિકિટ ખરીદી શકે છે. IPL ની વેબસાઇટ www.iplt20.com પરથી ટિકિટ ખરીદી શકાય છે. આ સિવાય platinumlist.net પરથી પણ ટિકિટ ખરીદી શકાય છે. જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે આ વર્ષે મે મહિનામાં 14 મી સીઝન અધુરા મેચ સાથે મુલતવી રાખવામાં આવી હતી. ભારતમાં કોરોના વાયરસના કેસ વધ્યા બાદ કેટલાક ખેલાડીઓ પણ સંક્રમિત થયા હતા, ત્યારબાદ ટૂર્નામેન્ટ સ્થગિત કરવી પડી હતી.
આ વખતે પણ IPL 2021 નો બીજો તબક્કો દુબઈ, શારજાહ અને અબુ ધાબીમાં રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ 19 સપ્ટેમ્બરે દુબઈમાં મેચ રમશે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ બીજા દિવસે અબુ ધાબીમાં મેચ રમશે. શારજાહમાં પ્રથમ મેચ 24 સપ્ટેમ્બરે ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે થશે. ગયા વર્ષે શારજાહે છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ જોયો હતો અને આ વખતે પણ આવું જ કંઈક જોવા મળી શકે છે. આ વખતે 13 મેચ દુબઈમાં, 10 શારજાહમાં અને 8 મેચ અબુધાબીમાં રમાશે.