લોકડાઉન વચ્ચે આ રીતે થયા અભિનેતા ઈરફાન ખાનની માતાના અંતિમ સંસ્કાર
ઈરફાન ખાનની માતા સઈદા બેગમનું અવસાન 82 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે પોતાના જયપુર ખાતેના ઘરે અંતિમ શ્વાસ લીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈરફાનની માતા છેલ્લા કેટલાક સમયથી સખત બીમાર રહેતી હતી. જેના કારણે તેમણે શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા.

ચર્ચાઓનું માનીએ તો ઈરફાન ખાન અંતિમ દર્શન કરવા અને અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે જયપુર પહોંચ્યા નથી. તેમની માતાના અંતિમ સંસ્કાર તેમની ગેરહાજરીમાં જ કરવામાં આવ્યા. મીડિયા રિપોર્ટસ અનુસાર ઈરફાન ખાન હાલ તેની પત્ની સાથે જયપુરમાં નથી.
તે લોકડાઉનના કારણે પત્ની સાથે અન્ય કોઈ જગ્યાએ અટકી ગયા છે અને તે લોકડાઉન દરમિયાન જયપુર સુધી ટ્રાવેલ કરવા ઈચ્છતા નથી. તેવામાં તેમના પરીવારના લોકોએ ઈરફાનની ગેરહાજરીમાં જ તેમની માતાના અંતિમ સંસ્કાર કરી દીધા છે.

ઈરફાનની માતાના નિધનના સમાચાર અંગે ફિલ્મ ડાયરેક્ટર શૂજિત સરકારનું રિએકશન પણ સામે આવ્યું છે. તેમણે એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, ઈરફાનની માતાના અવસાનની ખબર સાંભળી દુખ થયું. તેમણે ઈરફાન સાથે આ અંગે ફોન પર વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે શૂજિત અને ઈરફાન એકબીજાના ખાસ મિત્ર છે. ફિલ્મ પીકૂમાં બંનેએ સાથે કામ કર્યું હતું. પીકૂ ફિલ્મમાં અમિતાભ, દીપિકા સાથે ઈરફાન મુખ્ય ભૂમિકામાં હતો અને આ ફિલ્મ શૂજિત સરકારે ડિરેક્ટ કરી હતી.

તાજેતરમાં જ ઈરફાન અંગ્રેઝી મીડિયમ ફિલ્મમાં જોવા મળ્યા હતા. પરંતુ આ ફિલ્મ કોરોના વાયરસના કારણે બોક્સ ઓફિસ પર લાંબો સમય ટકી નહીં. ત્યારબાદ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ઈરફાન ઉપરાંત દીપક ડોબરિયાલ, કરીના કપૂર, ડિંપલ કપાડિયા અને રાધિકા મદાન મુખ્ય ભૂમિકામાં હતા. ઈરફાન ખાનના પરીવારમાં તેની પત્ની અને એક દીકરો છે.

આ અગાઉ ઈરફાન ખાન તેની બીમારીના કારણે ચર્ચામાં હતો. થોડા સમય પહેલા તેને કોઈ બીમારી લાગુ પડી હતી જેના વિશે ભારે ચર્ચાઓ ફિલ્મ જગતમાં થઈ હતી. આ અંગે ઈરફાન ખાનએ ટ્વીટ કરી પુષ્ટી કરી હતી કે તે એક બીમારીથી પીડાઈ રહ્યા છે. જો કે ત્યારબાદ તેઓ સ્વસ્થ થઈ ફિલ્મ ક્ષેત્રે સક્રીય થયા છે.