ચૂંટણી નજીક આવતા જ રાજકીય આલમમાં ધમધમાટ શરુ થઇ ગયો છે. એક બીજા પક્ષ પર આરોપોનું બાણ છોડવાનું પણ શરુ કરી દીધું છે. ત્યારે સુરતની આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાળ પડ્યું છે. AAPના પાંચ કોર્પોરેટરોએ ગાંધીનગરમાં કમલમ ખાતે શુક્રવારે કેસરિયો ધારણ કર્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં પાંચેય કોર્પોરેટર વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. જેને લઇ AAPના નેતા ઈસુદાન ગઢવીએ આજે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, ભાજપ લોકોના કામ કરતું નથી, પેપર ફોડે છે, ક્રાઇમની ઘટનાઓ વધી છે. જે બહેને અમારી પર આક્ષેપ કર્યા તેમને જે-તે સમયે ત્રણ કરોડની ઓફર હતી. અમારું વોટ શેરિંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઊંચું રહ્યું છે. અમારા કોર્પોરેટર આર્થિક સક્ષમ નથી, તેથી તેઓ લાલચમાં આવી શકે. અનેક જગ્યાએ ભાજપના કાર્યકરોએ પોતાની વ્યથા ઠાલવી છે. રાજયના પૂર્વ પ્રધાનને ભ્રષ્ટાચાર માટે હર્ષ સંઘવીને પત્ર લખે છે.
ઈસુદાને પત્રકારોને કહ્યું કે ભાજપ પાસે 06 વર્ષમાં 600 કરોડથી 5000 કરોડનું ફંડ થયું. અમે પાંચેય કોર્પોરેટરના વિસ્તારમાં સર્વે કરવા અપીલ કરીએ છીએ. ચૂંટણી ડિકલેર થતા ભાજપમાં પણ ભડકા થશે. અમે રાજ્યના ચીફ સેક્રેટરીને ફરિયાદ કરીશું. રાજ્યપાલને રજુઆત કરીશું, સમય માંગ્યો છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી બમણા જોરથી પરત ફરી હતી.
લાંચ લેનાર અને આપનાર બંને ગુનેગાર છે. ભાજપના નેતા અને કાર્યકર્તાઓ પણ દુઃખી- નારાજ છે. ગુજરાતની જનતાને વિનંતી છે કે તમે જાગ્રત થાઓ. જનતા ભાજપના ખરીદ-વેચાણથી વાકેફ છે. યુપીમાં 9 ધારાસભ્ય અને 4 મંત્રી ગયા છે તો શું ભાજપ ત્યાં ચૂંટણી નથી લડતી? પેપરફોડ પાર્ટીમાં લોકો કેમ જોડાય છે, કેમ કે મલાઈ મળતી હશે. AAPનો કાર્યકર્તા પ્રજા વચ્ચે જઈ ભાજપ દ્વારા ખરીદ-વેચાણ સંઘ, પેપરફોડ, ભ્રષ્ટાચાર કરે છે એ મામલે કેમ્પન ચલાવીશું.
અધિકારીઓ પૈસા કઢાવવા માટે ઊંચું કમિશન લે છે. આજે ભાજપના પૂર્વ મંત્રીએ ભાજપના શાસનનો ભાંડો ફોડ્યો છે. જમીનને ખાલી કરાવવાનું કામ અધિકારીઓ કરે છે. આમની સામે કોઈ જ કાર્યવાહી નહિ થાય, કારણ કે ગૃહમંત્રી જ ફોડવામાં પડ્યા છે. ભાજપ સામે કોઈને પ્રશ્ન કરવાની હિંમત નહીં. ભાજપમાં મલાઈ મળે છે એટલે લોકો ત્યાં જાય છે. ગૃહપ્રધાન પોતે લોકોને ફોડે છે. લેન્ડ ગ્રેબિંગ એકટનો દૂરૂપયોગ તોડ માટે થઈ રહ્યો છે. ભાવના સોલંકીના આક્ષેપ વિશે કહ્યું કે, આ ભાજપની સ્ક્રીપ્ટ છે. અમે દલિતના ઘરે ખાધું છે. એક જ દલિત બેન હતા તેમને દંડકનું પદ આપ્યું. અમદાવાદ શહેર પ્રમુખ પણ દલિત છે. અહીંના મેયરને ભાજપે બંગલામાં રહેવા ન દીધી. સુરતના મેયર કરોડો રૂપિયા વાપરે છે. મારામાં પ્રાણ છે ત્યાં સુધી અમે લડીશું.
કોંગ્રેસના 14 ધારાસભ્યોને ભાજપે તોડ્યા હતા. એક જ જીતી શક્યા, બાકી હાર્યા છે. જનતા જનાર્દન નક્કી કરે છે. રૂપિયાની થેલીઓ નહિ નક્કી કરે. ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટી નહિ કરે. વિપુલભાઈ ભાજપના સંપર્કમાં હતા. સી આર. પાટીલ સુપર સીએમ છે. ચૂંટણી આવે છે એટલે આ બધું કરે છે. તેમને સીએમ બનવું છે. પાટીલની વાત પર કોઈએ વિશ્વાસ ન મુકવો.
આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ગંભીર આક્ષેપો કરતાં કહ્યું હતું કે, પૈસાની લાલચથી કોર્પોરેટરો ભાજપમાં જોડાયાં છે. વિપુલ મોવલિયા ભ્રમિત કરીને કોર્પોરેટરોને ભાજપમાં લઈ ગયો છે. કોર્પોરેટરો પર દબાણ કરવામાં આવતું હતું. સી.આર.પાટીલના બે મળતીયાઓએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પૈસા આપ્યાં છે.