ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. જેમાં કથિત કાળા જાદુની ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ કોંગ્રેસના કોર્પોરેટર જમનાબહેન વેગડા વધુ એક વિવાદમાં આવ્યાં છે. જેમાં જાણવા મળ્યું છે કે કોર્પોરેટર જમનાબેન વેગડાએ પોતાની જ પાર્ટીના બે નેતાઓને તાંત્રિક વિધીથી ખતમ કરવા માટે સોપારી આપી હતી.
મળતી માહિતી અનુસાર દાણીલીમડા વોર્ડથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય જમનાબેન વેગડાએ મણીનગર સ્થિત પોતાના નિવાસ સ્થાને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું છે. કોંગી કોર્પોરેટરના નિવાસ સ્થાનની માર્જિનની જગ્યામાં 3 દુકાનોનો ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ પુરજોશમાં ચાલતું હોવાની જાણ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોર્શન દ્વારા તાત્કાલીક બાંધકામ રોકવા માટે નોટિસ આપવામાં આવી છે.
જમનાબહેને પાલિકાની નોટિસ ન સ્વીકારતા તંત્રએ આ નોટિસ તેમના નિવાસ સ્થાને લગાવી હતી. તેમ છતાં આ નોટિસને દૂર કરવામાં આવી હતી. ત્યારે ગેરકાયદેસર બાંધકામ મુદ્દે પાલિકા દ્વારા જમના વેગડાને કારણદર્શક નોટિસ પણ ફટકારી જવાબ માંગવામાં આવશે. કોર્પોરેશન જરૂર પડશે તો જીપીએમસી (GPMC) એક્ટ મુજબની તમામ કાર્યવાહી કરવામાં આવશે.
જણાવી દઈએ કે, જમના વેગડાએ અમદાવાદ મ્યુનિસિપવલ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા બનવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. જો કે આખરે વિપક્ષ નેતા તરીકે કોર્પોરેટર શેહજાદખાન પઠાણની પસંદગી કરવામાં આવી હતી. જે બાદ જમનાબેન વેગડાએ રાજીનામું આપવાની ધમકી પણ ઉચ્ચારી હતી.
તાજેતરમાં જમનાબેન વેગડાની એક ઑડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં તેઓ કોઈ તાંત્રિક સાથે પોતાના બે સાથી કોંગ્રેસ નેતાઓને કાળા જાદુથી પતાવી દેવાની વાત કરી રહ્યાં છે. જે બાદ કોંગ્રેસમાંથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.