હજી તો કોરોનાનું બિહામણું ચિત્ર ભૂંસાયું નથી ત્યાં તો રાજ્યમાં મ્યુકોરમાયકોસિસના કેસો સામે આવી રહ્યા છે. આ રોગ એટલી ઝડપે ફેલાઈ રહ્યો છે કે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલી છે. ત્યારે ગુજરાતની સરકાર હવે જાગી છે.
ગુજરાત સરકારે દ્વારા દર્દીઓને ઝડપી સારવાર મળે તે માટે 11 તજજ્ઞ તબીબોની એક ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા સતત ચર્ચા વિચારણા કર્યા બાદ સારવારના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારે બધા જ શહેરની સિવીલ હોસ્પીટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલગ વોર્ડ શરૂ કર્યા છે.રાજ્ય સરકાર દ્વારા મ્યુકરમાયકોસીસના રોગના નિયંત્રણ માટેની રચવામાં આવેલી ટાસ્ક ફોર્સમાં ડેન્ટલ, ઇ.એન.ટી., ઓપ્થેલ્મોલોજી, મેડીસીન વિભાગના રાજ્યની વિવિધ હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજોના 11 એક્સપર્ટ ડોકટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહામારી અંગે રાજ્યના આરોગ્ય વિભાગે ગુજરાતમાં આ દર્દીઓની સારવાર, વય અને જાતિજૂથ તેમજ અન્ય બાબતો અંગે જે તારણો કાઢ્યા છે તે અંગેની માહિતી નીચે મુજબ છે.
આખા ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ મ્યુકરમાયકોસીસના કુલ દર્દીઓમાંથી 81.6 ટકા દર્દીઓ હાલમાં રાજ્યની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. જયારે 14.3 ટકા દર્દીઓ સાજા થયા છે. તેમજ 4.1 ટકા દર્દીઓના આ રોગને કારણે મૃત્યુ થયા છે.
ઉંમર અનુસાર જોઇએ તો, આ રોગના દર્દીઓ પૈકી માત્ર 0.5 ટકા દર્દીઓ 18 વર્ષથી ઓછી વયના, 28.4 દર્દીઓ 18 થી 45 વર્ષની ઉંમરના, 46.3 ટકા દર્દીઓ 45થી 60 વર્ષની ઉંમરના છે. જયારે 24.9 ટકા દર્દીઓ 60 થી વધારે વયના છે.
સ્ત્રીઓની સરખામણી એ આ રોગનું પ્રમાણ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે અને અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી 67.1 ટકા પુરુષો જયારે 32.9 ટકા સ્ત્રી દર્દીઓ છે.આ રોગમાંના માત્ર 33.5 ટકા દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સિજનની જરૂર પડી હતી. જયારે 66.5 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઇ નહોતી.
આ રોગના નોંધાયેલ કુલ દર્દીઓમાંથી 59 ટકા દર્દીઓને ડાયાબીટીસ, 22.1 ટકા દર્દીઓને ઈમ્યુનો કોમ્પ્રોમાઈઝડ જયારે 15.2 ટકા દર્દીઓને કોમોર્બિડ કન્ડિશન હોવાનું સામે આવ્યું છે. 49.5 ટકા દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન સ્ટીરોઇડ થેરાપી આપવામાં આવી હતી જયારે ૫૦.૫% દર્દીઓમાં સ્ટીરોઇડ થેરાપીની જરૂર પડી નહોતી.
આ 11 એક્સપર્ટ ડોકટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે ટાસ્કફોર્સમાં
બી. જે. મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના ડો. કમલેશ ઉપાધ્યાય
અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજના અધિક નિયામક અને ડીન ડો. ગીરીશ પરમાર
અમદાવાદની એમ.એન્ડ જે. ઇન્સ્ટિટયુટ ઓફ ઓપ્થેલ્મોલોજીના ઓપ્થેલ્મોલોજી ડો.હંસા ઠક્કર
સુરતની સરકારી મેડીકલ કોલેજના મેડીસીન વિભાગના ડો.અશ્વિન વસાવા
બી.જે. મેડીકલ કોલેજના ઈ.એન.ટી ડો. બેલા પ્રજાપતિ
રાજકોટની પી.ડી.યુ. મેડીકલ કોલેજના ઈ. એન. ટી. વિભાગના ડો.સેજલ મિસ્ત્રી
ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના ઈ.એન. ટી. વિભાગના ડો. સુશીલ ઝા
રાજકોટની પી.ડી.યુ. મેડીકલ કોલેજના ઓપ્થેલ્મોલોજી ડો.નીતિ શેઠ
સુરતની સરકારી મેડીકલ કોલેજના ઈ. એન. ટી. વિભાગના ડો.આનંદ ચોધરી
ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના ઓપ્થેલ્મોલોજી ડો.નીલેશ વી. પારેખ
જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજના મેડીસીન વિભાગના ડો.બી.આઈ.ગોસ્વામી