Site icon News Gujarat

કોરોનાએ પરિવાર વેરવિખેર કર્યો: વધુ એક દંપતીનું કરુણ મોત, આવતા મહિને દીકરીના લગ્નમાં કન્‍યાદાન કરવાનું સપનું ના થઇ શક્યું પૂરું

કોરોના સંક્રમિતોની સંખ્યામાં એકાએક ખૂબ જ વધારો થયા બાદ હવે અનેક સંક્રમિતોના નિધનની ઘટનાઓ સામે આવી છે.કાળમુખો અને કાતિલ બનેલો કોરોના અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યા છે. મહામારીએ સમગ્ર માનવજાતને ઘૂંટણિયે પાડી દીધી છે.

image source

હવે, લોકો પાસે રોકક્કળ અને મદદ માગવા સિવાય કંઈ બચ્યું નથી. કાળમુખો કોરોના એક પછી એક અનેક લોકોના ભોગ લઈ રહ્યો છે. માત્ર એટલું જ નહીં, કુદરત તો એવો રૂઠ્યો છે કે દંપતીઓને જ પોતાની પાસે બોલાવી રહ્યો છે. હાલ દંપતીઓનાં એકસાથે મોતના ઘણા
કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને પગલે પરિવારો વેરવિખેર થવા લાગ્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટ શહેરમાં સામે આવ્યો છે. શહેર પોલીસમાં ફરજ બજાવતાં આસિસ્ટન્ટ સબ- ઇન્‍સ્‍પેક્‍ટરનું સોમવારના બપોરે મૃત્‍યુ નીપજ્‍યા બાદ મોડી રાતે તેમનાં પત્નીએ પણ અંતિમ શ્વાસ લેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. એમાં પણ એક મહિના બાદ મૃતક દંપતીની દીકરીના લગ્ન હતા. આ કરુણાંતિકાને કારણે રામનાથપરા પોલીસલાઇનમાં અરેરાટી વ્‍યાપી ગઈ છે.

બપોર બાદ પતિ અને રાત્રે પત્નીએ વિદાય લીધી

image source

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, બી-ડિવિઝનમાં ફરજ બજાવતાં ASI અમૃતભાઇ માયાભાઇ રાઠોડ (ઉં.વ.47) કોરોનાથી સંક્રમિત થયા હતા. ચાર દિવસ બાદ રિપોર્ટ નેગેટિવ આવ્‍યો હતો, પરંતુ તબિયત બરાબર થઇ ન હોવાથી સિવિલમાં સારવાર હેઠળ હતા. 19 એપ્રિલના બપોર બાદ તેમણે અંતિમ શ્વાસ લેતાં શહેર પોલીસમાં શોક વ્યાપી ગયો હતો. પુત્ર-પરિવારજનો અંતિમવિધિ આટોપીને હજુ આવ્‍યાં હતાં ત્‍યાં મોડી રાતે એકાદ વાગ્‍યે અમૃતભાઇનાં ધર્મપત્‍ની લાભુબહેને પણ દમ તોડી દીધો હતો. તેમને પણ કોરોના થયો હોવાથી ઘરે જ સારવાર લઈ રહ્યાં હતાં.

સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર

image source

અમૃતભાઇ અને લાભુબહેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે, જેમાં પુત્ર સૌથી નાનો છે. ત્રણ ભાઈ-બહેનોએ બાર કલાકના ગાળામાં જ પહેલા પિતા અને પછી માતાને ગુમાવતાં નોધારાં થઈ ગયાં છે. રામનાથપરા પોલીસલાઇનમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. કરુણતા એ છે કે આવતા મહિને એટલે કે 24મી મેના રોજ આ દંપતીની એક દીકરીના લગ્ન લેવાયા હતા, જેના હાથે કન્‍યાદાન થવાનું હતું એ મા-બાપ જ હયાત ન રહેતાં રાઠોડ પરિવારના સપનાં વેરણછેરણ થઈ ગયાં છે.

ગોંડલમાં દંપતીને એક દિવસના અંતરે કોરોના ભરખી ગયો

image source

ગોંડલ શહેરના જેતપુર રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામે દુકાન ધરાવતા જિતેન્દ્રભાઈ જેરામભાઇ ઠુંમર (ઉં.વ.45) અને તેમનાં પત્ની વસંતબેન છેલ્લા એક સપ્તાહથી કોરોનાની ઝપટે ચડી ગયાં હતાં. બંનેએ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી, પરંતુ તબિયતમાં સુધારો ન થતાં જામનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં. અહીં શનિવારે વસંતબેનનું નિધન થયું હતું અને જિતેન્દ્રભાઇનું રવિવારના નિધન થતાં પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં ઠુંમર પરિવાર શોકમગ્ન બન્યો હતો. માતા-પુત્રનો ભોગ લીધો, સારવારમાં રહેલી 9 વર્ષની દીકરીને ખબર નથી કે પપ્પા અને દાદી આ દુનિયામાં નથી!

image source

કોરોનાની બીજી લહેરે કેટલાય પરિવારના માળા વીંખી નાખ્યા છે. કોરોનાના અજગર ભરડામાં અનેક પરિવાર આવ્યા છે. ત્યારે રાજકોટના રાયચુરા પરિવારમાં કોરોના કાળ બની ત્રાટક્યો અને માતા-પુત્રનો ભોગ લઇ લીધો છે. 9 વર્ષની દીકરી પણ કોરોનાની સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ આ દીકરીને ખબર નથી કે મારા પપ્પા અને દાદી આ દુનિયામાં નથી. ચાર સભ્યોના ખુશખુશાલ પરિવાર પર કોરોનારૂપી રાક્ષસે કાળચક્ર ફેરવ્યું અને બે સભ્યોનો ભોગ લઇ લીધો છે. આ કરુણ ઘટના રાજકોટના મનીષભાઇ રાયચુરા પરિવારમાં બની ગઇ છે, જેમાં મનીષભાઇ ખુદ અને તેમનાં માતા મીનાબેનનું કોરોનાને કારણે અવસાન થયાં છે. મનીષભાઇની દીકરી ક્રિના 9 વર્ષની છે અને કોરોનાની સારવાર હેઠળ તેને ખબર નથી કે પપ્‍પા અને દાદી દુનિયામાં નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version