ઘરમાં એકવેરિયમ રાખવાથી તમારી તબિયત સુધરે છે, જાણો કઇ બીમારીઓમાંથી મળે છે છૂટકારો
તમે તમારા સગા સંબંધી કે કોઈ મિત્રોના ઘરમાં જોયું હશે કે ત્યાં સજાવટ માટે એકવેરિયમ એટલે કે માછલી ઘર હોય છે. પરંતુ મોટાભાગના લોકો એ નથી જાણતા કે ઘરની સુંદરતા વધારતા એકવેરિયમ અસલમાં તમારા સ્વાસ્થ્ય સાથે પણ સંબંધ ધરાવે છે.
ઘરમાં એકવેરિયમ રાખવાથી સ્ટ્રેસ, બેચેની, બ્લડ પ્રેશર અને ઊંઘ ન આવવા જેવી સમસ્યામાં રાહત મળે છે. જો કે તેના માટે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવો પડશે.
સ્ટ્રેસ દૂર થાય છે
જો તમારા ઘર કે ઓફિસમાં એકવેરિયમ છે તો તમે દરરોજ અમુક સમય કાઢીને એકવેરિયમ પાસે બેસી નિરાંતે માછલીઓને હરતી ફરતી નિહાળી શકો છો. આમ કરવાથી તમારું મન શાંત થઈ જાય છે. જો તમે આ પ્રકારની આદત નિયમિત બનાવી લો તો ધીમે ધીમે તમારો સ્ટ્રેસ પણ ઓછો થવા લાગશે.
સારી ઊંઘ આવે છે
જો તમને રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા રહે છે અને તેના માટે તમે ઊંઘવાની દવાઓ લો છો તો તેનો એક ઉકેલ ઘરમાં એકવેરિયમ રાખવું પણ છે. રાત્રે પથારીમાં સુવા જતા પહેલા તમે થોડા સમય માટે એકવેરિયમ સામે બેસીને માછલીઓની ઉછળફૂદ નિહાળતા રહો. આમ કરવાથી તમે પોતાની જાતે હળવાશનો અનુભવ કરશો. એટલું જ નહીં આમ કરવાથી તમારા શરીરમાં સેરોટોનિન હાર્મોન પણ ઉતપન્ન થશે જે મગજને સિમ્યુલેટ કરી એન્ડોરફીન હાર્મોનનું સ્તર વધારે છે. તેના કારણે શરીરમાં તણાવ દૂર થાય છે અને મીઠી ઊંઘ આવે છે.
બ્લડ પ્રેશર રહે છે નિયંત્રિત
બ્લડ પ્રેશરના દર્દીઓ માટે એક સરળ ઘરેલુ ઉપચાર એકવેરિયમ પણ છે જે દવાની જેમ જ અસર કરે છે. જો તમારું બ્લડ પ્રેશર પણ નીચું રહેતું હોય તો તમારે દિવસ દરમિયાન અમુક સમય કાઢીને એકવેરિયમની નજીક બેસવું જોઈએ. અને શક્ય હોય તો દિવસમાં અનેક વખત એકવેરિયમ સામે બેસો અને ધ્યાનપૂર્વક માછલીઓને નિહાળો. આમ કરવાથી તમને બેચેની અને તણાવ બન્ને સમસ્યામાંથી છુટકારો મળી શકશે અને તેનો સીધો પ્રભાવ તમારા બ્લડ પ્રેશર પર જોવા મળશે.
ફોક્સ પણ સુધરે
માછલીઓને નિહાલવાથી શરીરમાં એકાગ્રતા વધે છે અને તેના કારણે તમારી વિચારવાની ક્ષમતામાં વધારો થાય છે અને ક્રિએટિવ કામ કરવામાં મદદ મળે છે. ફિશ એકવેરિયમને જોવાની આદત તમારું ફોક્સ પણ વધારે છે. વારંવાર ફિશ એકવેરિયમ જોવાથી તમારા શરીરમાં થેરાપ્યુટીક ઇફેક્ટ થાય છે અને તે તમારા મગજને ફોક્સ કરવામાં મદદરૂપ છે. જો તમારા કામના સ્થળે ફિશ એકવેરિયમ હોય તો તમારે કામ દરમિયાન થોડો સમય કાઢીને તેને અચૂક ધ્યાનથી નિહાળવું જોઈએ તેના કારણે તમે તમારા કામમાં એકાગ્ર થઈ શકશો અને તમારી વર્ક પ્રોડક્ટીવીટી પણ સુધરશે.