ગુજરાતનો ડંકો ફરી એકવાર દેશભરમાં વાગવા જઈ રહ્યો છે. અમદાવાદની જાણીતી ફાર્મા કંપની ઝાયડસે નવી વકસીન શોધી છે. આ રસીને ટુંક સમયમાં મંજૂરી મળી જશે. આ રસીને લઈને સારા સમાચાર એ પણ છે કે આ રસી બાળકોને પણ આપી શકાશે.
આ અંગે જાણવા મળ્યાનુસાર આ રસીના ટ્રાયલમાં ઝાયડસ કંપનીએ 12થી 17 વર્ષના બાળકોનો પણ સમાવેશ કર્યો હતો. એટલે કે આ રસી બાળકોને પણ આપી શકાશે. કંપની આ રસી માટે જૂન માસમાં મંજૂરી માટે અપ્લાય કરી શકે છે. જો આ કંપનીને મંજૂરી મળી ગઈ તો આ પહેલી એવી કોરોનાની રસી હશે જે બાળકોને પણ સુરક્ષિત કરશે. ઝાયડસ કંપની ટુંક સમયમાં વેકસીનનો ડેટા મંજૂરી માટે રજૂ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલાએ આ મહિને તેની કોરોના રસી માટે પરવાનગી લેવાની પ્રોસેસ શરુ કરી શકે છે. કંપનીને કોવિડ રસીથી સંબંધિત ડેટા એકત્ર કર્યો છે અને હવે આ તેના ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન સમક્ષ અરજી કરી શકે છે.
ઝાયડસ કેડિલાના મેનેજિંગ ડિરેક્ટરે આ અંગે કહ્યું હતું, તેઓ આ મહિનામાં ટ્રાયલ ડેટા આપીને પરવાનગી માંગી શકે છે. ત્યારબાદ તેનો ઉપયોગ કરવાની મંજૂરી મળી શકે છે.
પ્લાઝમિડ ડીએનએ રસી માટે ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ કંપની દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં 28,000 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી દેશમાં રસીના બે ડોઝની આવશ્યકતા છે, પરંતુ ઝાયડસ કેડિલા દ્વારા રસીના ત્રણ ડોઝનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ત્રણ ડોઝ એક મહિનાના અંતરાલમાં લેવાના રહેશે. આ સિવાય કંપની બે ડોઝવાળી ઝાયકોવ-ડી રસીનું પણ પરીક્ષણ કરી રહી છે. આ પરીક્ષણ મે મહિનામાં પૂર્ણ થવાની સંભાવના છે.
કંપનીનો દાવો છે કે તે રેગ્યુલેટરની મંજૂરી લીધા પછી દર મહિને તેઓ 1 કરોડ ડોઝનું ઉત્પાદન કરી શકે છે. બાદમાં તેની ક્ષમતા દર મહિને બે કરોડ ડોઝ સુધી વધારશે.. જો આ ઝાયડસ કેડિલા રસીને મંજૂરી આપવામાં આવે તો ભારતમાં આ ચોથી રસી ઉપલબ્ધ હશે.
ગયા મહિને ડીજીસીઆઈએ ઝાયડસ કેડિલાની કોરોના વાયરસની સારવારમાં સહાયક દવા વિરાફિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. ઝાયડસ કેડિલાએ આ દવા વિશે જણાવ્યું હતું કે તે હળવા લક્ષણોવાળા દર્દીઓને આપી શકાય છે. જ્યારે વાયરલ લોડ મધ્યમ અને વધારેને વચ્ચે હોય છે, ત્યારે ઓક્સિજનની ઝડપથી જરૂર પડે છે. તેવામાં આ દવાનો ઉપયોગ કરી વાયરલ લોડ ઘટાડી શકાશે અને દર્દીને ઓક્સિજનની જરૂરિયાત પણ ઓછી થશે.