ભારતને મંદિરો અને યાત્રાધામોનો દેશ કહેવામાં આવે છે. અહીં એક કિલોમીટર ચાલતાં જ એક મંદિર જોવા મળી જાય છે. જો કે આ પાછળનું કારણએ છે કે ભારતમાં લોકો ભગવાનમાં એટલો વિશ્વાસ કરે છે કે તેઓ તેમના માટે વિશાળ મંદિર બનાવવામાં પણ અચકાતા નથી અને આ વાત માત્ર અત્યારનાં સમયની નથી પરંતુ સદીઓથી આવું ચાલતું આવ્યું છે. આવું જ એક મંદિર તામિલનાડુના તાંજોરમાં સ્થિત છે જે તેની સ્થાપત્ય અને કારીગરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
આ મંદિરનું નામ બૃહદેશ્વર મંદિર છે. તમિલનાડુના તંજોરમાં આવેલા હોવાને કારણે તે તંજોરના મંદિર તરીકે પણ ઓળખાય છે. તે પ્રથમ ચોલા શાસક રાજરાજા ચોલા દ્વારા ઈ.સ 1003-1010ની વચ્ચે બાંધવામાં આવ્યું હતું. તે સમયનાં શાસકનાં નામ પરથી ‘રાજરાજેશ્વર મંદિર’ નામ અપાયું હતું જે નામથી આજે પણ આ મંદિર ઓળખાય છે. આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે જ્યારે તે સમયનો શાસક શ્રીલંકાની યાત્રા પર જતો હતો ત્યારે તેનું આ મંદિર બનાવવાનું સ્વપ્ન આવ્યું હતું.
મળતી માહિતી મુજબ ભગવાન શિવને સમર્પિત આ મંદિર 13 માળનું છે જેની ઉંચાઈ લગભગ 66 મીટર છે. આ સાથે આ મંદિરનાં બાંધકામ વિશે પણ આશ્ચર્ય પમાડે તેવી વાતો જોડાયેલ છે. સામાન્ય રીતે કોઈ મકાન પાયા વિના બાંધવામાં આવતું નથી અથવા કોઈ અન્ય પ્રકારની ઇમારત માટે પણ પાયો મજબુત બનાવ્યાં બાદ જ ચણતર શરૂ થતું હોય છે પરંતુ આ વિશાળ મંદિરની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તે પાયા વગર હજારો વર્ષોથી અડિખમ ઉભુ છે. આજ સુધી તે એક રહસ્ય છે કે તે પાયા વગર ઘણા વર્ષોથી કેવી રીતે ઉભુ છે.
આ સાથે જાણવા મળ્યું છે કે આ મંદિર સંપૂર્ણપણે ગ્રેનાઈટથી બનેલું છે. તે વિશ્વનું પ્રથમ અને એકમાત્ર મંદિર છે જે ગ્રેનાઈટથી બનેલું છે. બૃહદેશ્વર મંદિરના નિર્માણમાં લગભગ 1 લાખ 30 હજાર ટન ગ્રેનાઈટ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જુદા જુદા સ્થળોએથી આ પત્થરો લાવવા 3 હજાર હાથીઓની મદદ લેવામાં આવી હતી. આ મંદિર તેની ભવ્યતા, સ્થાપત્ય અને ગુંબજને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની સૂચિમાં સમાવવામાં આવેલ છે.
આ મંદિરની બીજી વિશેષતા એ છે કે તેની શિખર પર એક સ્વર્ણકલાશ સ્થિત છે અને આ સ્વર્ણ કલાશ જે પત્થર પર સ્થિત છે તેનું વજન આશરે 80 ટન છે જે એક જ પથ્થરથી બનેલું છે. આટલો બધો ભારે પથ્થર મંદિરના શિખર પર કેવી રીતે પહોંચાડવામાં આવ્યો હશે તે હવે એક રહસ્ય છે કારણ કે તે સમયે ત્યાં ક્રેનની સુવિધા હતી નહીં.
એવું કહેવામાં આવે છે કે આ ગુંબજનો પડછાયો પૃથ્વી પર આવતો નથી. આ વાત પણ હજુ રહસ્ય જ છે.