કોરોનાને કારણે દાંતના પેઢાની બિમારીથી પીડાતા દર્દીઓમાં મૃત્યુનું જોખમ 8.8 ગણું વધી જાય છે. ચેપ લાગવાના કારણે આવા દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના સામાન્ય દર્દીઓ કરતા 3.5 ગણી વધારે છે. આ દાવો કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના સંશોધનકારોએ તેમના સંશોધન દરમિયાન કર્યો છે. સંશોધનકારોના જણાવ્યા મુજબ, જો લોકોને દાંતના પેઢાને લગતી કોઈ સમસ્યા હોય, તો કોવિડના કિસ્સામાં આવા દર્દીઓને વેન્ટિલેટરનો સહારો લેવો પડે તેવી શક્યતા 4.5 ગણી છે.
ઓરલ હેલ્થ બગડવાના કારણે આટલા રોગો થવાની શક્યતા વધારે છે
હાડકાંના રોગો: એકેડેમી ઓફ જનરલ ડેન્ટિસ્ટિનો દાવો છે કે પેઢામાં સોજો, રક્તસ્રાવ અને નબળા પેઢાં હાડકાંને નબળા કરી શકે છે, ત્વચાને અસર કરે છે. પરિણામે વધારે વૃદ્ધ દેખાય છે.
હૃદયનું જોખમ: દાંતના પેઢામાં જો સમસ્યા હોય તો એવા લોકોમાં હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ લગભગ 2 ગણું વધારે હોય છે. હૃદયની અનિયમિત કામગીરીનું જોખમ પણ વધારે છે.
અલ્ઝાઇમર: નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત સંશોધન કહે છે. બેક્ટેરિયા જડબામાં જોડાયેલ ક્રેનિયલ નર્વ અથવા રક્ત પરિભ્રમણ દ્વારા મગજમાં પહોંચી શકે છે.
કેન્સર: રાષ્ટ્રીય કેન્સર ઇન્સ્ટિટ્યૂટના જર્નલમાં જાહેર સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે પેઢા સંબંધિત રોગ ધરાવતા પુરુષોમાં સ્વાદુપિંડનું કેન્સર થવાની સંભાવના 33 ટકા વધારે છે.
હાલની પરિસ્થિતિની વાત કરીએ તો દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે. સોમવારે 1 લાખ 95 હજાર 685 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ હતી. આ આંકડો છેલ્લા 42 દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલાં 13 એપ્રિલ 1 લાખ 85 હજાર 306 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે મૃત્યુઆંક સરકાર અને લોકો માટે ચિંતાનું કારણ છે. સોમવારે દેશમાં 3,496 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાહતની વાત છે કે આ દરમિયાન 3 લાખ 26 હજાર 671 લોકોએ કોરોનાને માત આપી હતી. આ રીતે એક્ટિવ કેસની સંખ્યામાં, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓમાં 1 લાખ 34 હજાર 572નો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
એ જ રીતે ગુજરાતની વાત કરીએ તો સોમવારે રાજ્યમાં 3,187 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. 9,305 લોકો સાજા થયા અને 45 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7.91 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 7.13 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 9,621 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 68,971 લોકોની સારવાર કરવામાં આવી રહી છે.