રાજયમાં કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજ્યના સરકારી હોસ્પિટલમાં આ કેસના દર્દીની સારવાર ન કરાતી હોવાના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમા અરજી થઈ છે. રાજ્ય સરકાર સંચાલિત હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવતી નથી. દર્દીઓ માટે દવાઓ તેમજ નિષ્ણાંત તબીબોનો અભાવ છે અને સરકારી હોસ્પિટલ દર્દીઓને અધવચ્ચે ડિસ્ચાર્જ કરી દેતા હોવાનો
પણ અરજદારે પોતાની અરજીમાં ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત સરકાર હોસ્પિટલનું વલણ ગેરબંધારણીય હોવાનો અરજદારે ઉલ્લેખ કર્યો છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના ઘટતા કેસની વચ્ચે તેની સાઈડ ઈફેક્ટ થઈ રહેલી બીમારીનો ભરડો વધ્યો છે.
મ્યુકરમાઇકોસિસની ઝપેટમાં ગુજરાત
કોરોના વાયરસની બીજી લહેર સામે માંડ રાહત મળી ત્યાં તેના કરતાં પણ ભયંકર બીમારીએ લોકોને પોતાની ઝપેટમાં લેવાની શરૂઆત કરી દીધી. ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસને એક મહામારી જાહેર કરી દેવામાં આવી છે ત્યાં આ બીમારીના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. પહેલા આ બીમારી ગુજરાતના અમૂક જ શહેરોમાં હતી પરંતુ હવે આખા રાજ્યમાંથી તેના કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદની સાથે સાથે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જામનગરમાં પણ મ્યુકરમાઇકોસિસના નવા કેસમાં વધારો જોવાઆ મળી રહ્યો છે. નોંધનીય છે કે મ્યુકરમાઇકોસિસની સારવાર માટે જરૂરી ઇન્જેકશનની હાલમાં અછત છે અને અછતની વચ્ચે અમદાવાદમાં કેસ વધતાં ચિંતા પણ વધી છે. રાજકોટ અને અમદાવાદની સિવિલમાં ડૉક્ટરને 24 કલાક ડ્યૂટી પર રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ગુજરાતની 6 સરકારી હોસ્પિટલમાં 1571 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે જેમાં રાજકોટમાં સૌથી વધુ 620 જ્યારે સુરતમાં 223 તથા વડોદરામાં 144 કેસ નોંધાયા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 481 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રના વધતાં કેસથી ટેન્શન
રાજકોટમાં મ્યુકરમાઇકોસિસના કેસ સામે આવ્યા છે જ્યારે રાજકોટ બાદ જામનગરમાં પણ આ બીમારીની ઝપેટમાં આવતા લોકોની સંખ્યા વધી છે. જામનગરમાં 94 મ્યુકરમાઇકોસીસના કેસ નોંધાયા છે.
અછત દૂર થશે તેવો કેન્દ્રીય મંત્રીનો વાયદો
મ્યુકર્માઇકોસિસના વધતા કહેર વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. મ્યુકર્માઇકોસિસની દવાની અછત ટુંક સમયમાં જ દુર કરવાનો દાવો કર્યો છે. અંદાજે 3 દિવસની અંદર જ મ્યુકર્માઇકોસિસની દવાની અછત દૂર કરાશે. Tweet કરીને જણાવ્યું કે, દવા બનાવતી વધુ 5 કંપનીઓને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે. જે કંપનીઓ દવા બનાવે છે તેઓ ઉત્પાદન વધારી રહ્યાં છે.
ભારતની કંપનીઓએ એમ્ફોટેરિસીન-Bના 6 લાખ વાઇલને આયાત કરવાનો ઓર્ડર પણ આપ્યો છે. હવેથી દેશમાં કુલ 11 કંપનીઓ એમ્ફોટેરિસીન-Bનું ઉત્પાદન કરશે. એમ્ફોટેરિસીન-B મ્યુકર્માઇકોસિસના સારવાર માટે ઉપયોગી છે.
મ્યુકરમાઈકોસિસની સારવાર માટે હોસ્પિટલમાં અલગ વિભાગ શરૂ કરાશે
કોરોના પછી દરદીઓમાં મ્યુકોમાયરોસીસ ના વધી રહેલા વ્યાપને અંકુશમાં લેવા માટે અને તેનો અકસીર ઈલાજ થઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની હોસ્પિટલ્સમાં અલગ વિભાગ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. આ આયોજના ભાગરૂપે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરની સિવિલ હોસ્પિટલ્સમાં મ્યુકોમાયરોસિસના દર્દીઓ માટે અલાયદા વોર્ડ્સ શરૂ કરવામાં આવશે.