2012 બાદ 2021 સુધીમાં અમીરોની સંખ્યા ચાર ગણી વધી
થોડા સમય પહેલા જ હુરુન ઈન્ડિયા દ્વારા દેશના ટોચના અબજોપતિઓની યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં જે નામો હતા તેમાં મોટાભાગના નામ જાણીતા હતા જ્યારે કેટલાક નામોની એન્ટ્રી થોડા સમય પહેલા જ આ યાદીમાં થઈ હતી. કોરોના કાળના આ બે વર્ષના સમયમાં દેશની આર્થિક સ્થિતિ કથળી હતી. અનેક લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. કેટલાક લોકોના તો ધંધા પણ બંધ થઈ ગયા હતા ત્યારે આ સમયમાં પણ દેશના કેટલાક ઉદ્યોગપતિઓની સંપત્તિ કુદકેને ભુસકે વધી છે.
જો કે આ યાદીમાં જે કરોડપતિઓના નામનો સમાવેશ થયો હતો તેમની સંપત્તિના આંકડા જોઈને જેટલું આશ્ચર્ય થયું નહીં હોય એટલું આશ્ચર્ય તમને એ જાણીને થશે કે આવનારા સમયમાં દેશના અબજોપતિઓની યાદી વધુ લાંબી થઈ જવાની છે.
હુરુન ઈન્ડિયાની તાજેતરમાં જાહેર થયેલી યાદીમાં જે લોકોના નામ હતા તેમની કુલ સંપત્તિ 1000 કરોડથી વધુ છે. તેવામાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે દેશમાં અબજોપતિઓની સંખ્યા વધતી જાય છે. અબજોપતિઓની વધતી સંખ્યા અંગે હુરુન ઈન્ડિયાના જ સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અનસ રહેમાન જુનૈદે એક ચોંકાવનારી વાત કહી હતી કે દેશમાં અબજોપતિઓની સંખ્યા આગામી પાંચ વર્ષમાં વધીને 500 થઈ શકે છે.
તેમણે આપેલા એક ઈન્ટરવ્યુમાં અનસે કહ્યું હતું કે ભારતમાં અબજોપતિઓની સ્ટોરી તો હવે શરુ થઈ છે. વર્ષ 2012 માં હુરુનની પ્રથમ અબજોપતિઓની યાદીમાં તે સમયે ભારતના 59 અબજોપતિના નામ હતા, આ સંખ્યા હવે વધીને 237 થઈ ગઈ છે અને આગામી પાંચ વર્ષમાં લગભગ બમણી થઈ જશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે આગામી પાંચ વર્ષમાં તેમની અબજોપતિઓની યાદી ત્રણ હજાર લોકો સુધી પહોંચશે. આ અંગે સ્પષ્ટતા કરતા અનસે કહ્યું કે તેઓ 1,000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા જાણીતા નામો વિશે વાત કરી રહ્યા છે. હુરુન ઇન્ડિયાના સ્થાપકએ વધુમાં ઉમેર્યું હતું કે, “જ્યારે અમે 2012 માં શ્રીમંતોની યાદી બનાવવાનું શરૂ કર્યું ત્યારે અમે ભારતમાં 59 અબજપતિઓની ગણતરી કરી. હવે તેઓ 237 પર છે એટલે 4 ગણો વધારો થયો છે..
પાંચ વર્ષ પછી તેઓ આ યાદીમાં ઓછામાં ઓછા 500 અબજોપતિઓને જોશે તેવી અપેક્ષા રાખે છે. અબજોપતિઓની સંખ્યા અરબો ડોલરની કંપનીઓની સંખ્યાનું એક કાર્ય છે. તેમણે ઉમેર્યું હતું કે મને આશ્ચર્ય છે કે છેલ્લા 10 વર્ષમાં વધુ ક્ષેત્રોમાંથી સંપત્તિનું સર્જન થઈ રહ્યું છે. દસ વર્ષ પહેલા અમારી વાર્ષિક યાદીમાં 19 ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરવામાં આવતું હતું અને હવે તે સંખ્યા વધીને 46 થઈ ગઈ છે.
જો કે આમ થશે તો તે દેશ માટે જ લાભકારી સાબિત થશે. ઉદ્યોગ વધવાથી દેશની અર્થ વ્યવસ્થા મજબૂત થશે અને સાથે જ રોજગારીની તકો પણ વધતી જશે.