ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ બુધવારે સાંજથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ગીર સૌમનાથમાં વરસાદ થયો છે અહીં છેલ્લા થોડા કલાકોમાંથી જ અહીં 10 ઈંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થવાથી ડેમોમાં પાણીની આવક થઈ છે તો વળી અનેક નદીઓ છલકાઈ ગઈ છે.
શ્રાવણ માસ કોરો રહ્યા બાદ લોકોની ચિંતા અને રાજ્યમાં ગરમી બંને વધી હતી. પરંતુ છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. છેલ્લા બે દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્ર પર પણ મન મુકીને વરસી રહ્યા છે.
આ પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે 48 કલાકથી રાજ્યમાં વરસાદ થશે જે અનુસાર વરસાદ થયો અને 48 કલાકમાં રાજ્યના 100 તાલુકાઓમાં 10 ઈંચ જેટલો વરસાદ થયો અને હજુ પણ વરસાદ થઈ રહ્યો છે. રાજ્યમાં વિસ્તાર અનુસાર થયેલા વરસાદના આંકડાની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં થયો છે અહીં 2 દિવસમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય માણવદરમાં 8, વંથલી અને વેરાવળમાં 6 ઈંચ, ગોંડલમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય વિસાવદરમાં 5 ઈંચ વરસાદ થયો છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભારે વરસાદના કારણે અહીં અનેક નદી નાળા છલકાઈ ગયા છે. થોડા સમય પહેલા સુધી ખેડૂતોને સિંચાઈના પાણીની પણ ચિંતા હતી ત્યારે હવે 2 દિવસના વરસાદમાં સૌરાષ્ટ્રના 20 કરતા વધારે ડેમોમાં નવા નીરની આવક થઈ છે.
વરસાદથી લોકોની પાણીની તંગીની ચિંતા અને ખેડૂતોની સિંચાઈના પાણીની ચિંતા દૂર છે. ભાદરવા માસની શરુઆત સાથે શરુ થયેલી મેઘરાજાની બેટીંગથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ભાદરવો માસ ભરપૂર વરસાદ સાથે આવ્યો હોવાથી ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.