આ રીતે ગરીબોને ખાનગી હોસ્પિટલોમાં કોરોના રસી મેળવવામાં મળશે સહાયતા, સરકાર લાવી e-RUPI વાઉચર
હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 ઓગસ્ટ 2021ના રોજ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI શરૂ કર્યું છે. તે એક પર્સનલ અને પર્પઝ યુક્ત ચોક્કસ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન છે. e-RUPI લોન્ચ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે આ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ગરીબોને કોરોનાની રસી મેળવવામાં મદદ કરશે. વાત કરીએ રસીકરણ અંગે તો જૂન 2021માં કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ માટેની ફી નક્કી કરી હતી. આ પછી સરકારે કહ્યું હતું કે ખાનગી હોસ્પિટલો પણ ગરીબોનું રસીકરણ સુનિશ્ચિત કરવા માટે ઈ-વાઉચર લાવશે. e-RUPI એ જ ઇલેક્ટ્રોનિક વાઉચર છે.
QR કોડ અથવા SMS સ્કેન કરવામાં આવશે:
કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગરીબ વ્યક્તિને e-RUPI આપી શકે છે. આ નોન ટ્રાન્સફરેબલ ઈ-વાઉચરનો ઉપયોગ તે જ લાભાર્થી કરી શકે છે જેના માટે તે જારી કરવામાં આવ્યું છે. લાભાર્થીના મોબાઈલ પર e-RUPI મોકલવામાં આવશે. આ QR કોડ અથવા SMS કોડના રૂપમાં હશે અને આ પછી ખાનગી રસીકરણ કેન્દ્રો પર તેમનું સ્કેનિંગ કરવામાં આવશે. ત્યારબાદ ચકાસણી માટે લાભાર્થીના મોબાઇલ નંબર પર એક કોડ મોકલવામાં આવશે. ચકાસણી થતાં જ વાઉચર રિડીમ કરવામાં આવશે અને તેના દ્વારા ચુકવણી કરવામાં આવશે.
કોર્પોરેટ્સ તેનો ઉપયોગ ગરીબોને કોઈ પણ ખાનગી કેન્દ્રમાં રસી મેળવવામાં મદદ કરવા માટે કરી શકે છે. સરકારી સંસ્થાઓ અથવા કોઈ પણ સેવા પ્રદાતા તેમની ભાગીદાર બેંકોની મદદથી e-RUPI વાઉચર જનરેટ કરી શકે છે. આ સિવાય બીજી અન્ય સેવાઓ માટે પણ આ ઉપયોગમાં લઈ શકાશે. આ વિશે જાણવા મળ્યું છે કે e-RUPI ડિજિટલ પેમેન્ટનું જ એક કેશલેસ અને કોન્ટેક્ટલેસ માધ્યમ છે. તે એક QR કોડ અથવા SMS સ્ટ્રીંગ આધારિત ઇ-વાઉચર છે જે લાભાર્થીઓના મોબાઇલ પર પહોંચાડવામાં આવે છે. તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સેવા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભાગીદાર બેંકો અને નેશનલ હેલ્થ ઓથોરિટીએ સાથે મળીને તૈયાર કર્યું છે.
આ સિવાય માતૃ વ બાળ કલ્યાણ યોજનાઓ હેઠળ દવા અને પોષણ સહાય પૂરી પાડવી, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દવાઓ અને નિદાન વિશે, ટીબી ઉન્મુલન જેવી યોજનાઓ હેઠળ પણ આ સેવાઓ પૂરી પાડવા માટે પણ e-RUPIનો ઉપયોગ કરી શકાય છે. આ સાથે ખાનગી ક્ષેત્ર પણ કર્મચારી કલ્યાણ અને કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમોના ભાગરૂપે આ ડિજિટલ વાઉચર્સ મેળવી શકે છે. સરકારના આ e-RUPI વાઉચર દ્વારા ગરીબોને ઘણી મદદ મળી શકશે.
આ સાથે રસીકરણ વિશે વાત કરીએ તો કોરોના મહામારીને સામે દેશભરમાં છેલ્લા સાતેક મહિનાઓથી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં 30 જુલાઈના રોજ ગુજરાત રસીકરણમાં 2.50 કરોડ લોકોને પ્રથમ ડોઝ આપનાર ભારતનું ત્રીજું રાજ્ય બની ગયું છે. જાન્યુઆરીથી શરૂ થયેલા આ રસીકરણ કાર્યક્રમમાં જુલાઈ મહિનામાં લગભગ 75 લાખ રસીના ડોઝ અપાયા હતા, જે કુલ રસીકરણના 22 ટકા છે. છેલ્લા 16 દિવસમાં રાજ્યમાં થયેલા રસીકરણ પર નજર કરીએ તો શહેરી વિસ્તારોની દૃષ્ટિએ ગ્રામીણ વિસ્તારોમાં વધારે રસીકરણ થયું છે.