ઉત્તરપ્રદેશ સરકારની સૂચના પર, મધ્યાહન ભોજન યોજના હેઠળ જૂલાઈ મહિનાથી કાઉન્સિલ શાળાઓના વિદ્યાર્થીઓને ફોર્ટિફાઇડ ચોખાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી કુપોષણ નાબૂદ કરી શકાય. ભાથાત બ્લોકના એક ગામના ગ્રામજનો પરેશાન થવા લાગ્યા હતા અને આ ફોર્ટિફાઈડ ચોખાને નકલી ગણાવી રહ્યા છે. આનુ કારણ ચોખાના કૃત્રિમ પોતને કારણે લોકો તેને નકલી પ્લાસ્ટિક ચોખા માની રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. જોકે, ફૂડ એન્ડ લોજિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ અને સપ્લાય ડિપાર્ટમેન્ટે ગ્રામજનોની આશંકાને ફગાવી દીધી હતી. કહ્યું કે ચોખા સંપૂર્ણપણે સલામત અને ગુણવત્તાયુક્ત છે.
હવે આવી જ ઘટના સામે આવી છે ગુજરાતના ગીર ગઢડાના વેળાકોટ ગામમાં. જ્યા ગઇકાલે વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનની યોજના હેઠળ જ્યારે ચોખાનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે તેમાં કેટલાંક વાલીઓએ ફરિયાદ કરી હતી કે અહીં અસલી ચોખાને બદલે પ્લાસ્ટીકના ચોખા ભોજનમાં આપવામનાં આવે છે. આ વાત વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાતા અન્ય વાલીઓએ પણ તપાસ કરી હતી. તો બીજી તરફ કેટલાંક લોકોએ ચોખા પરત આપવાનું પણ નક્કી કર્યું.
મામલો વધારે તુલ પકડતા આખરપે આ અંગે ગીર ગઢડાના મામલતદારને જાણ કરવામા આવી હતી. ત્યાર બાદ તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતા, ત્યાર બાદ આ અંગે તેમણે સ્થાનિક ગ્રામજનોને સમજાવ્યું હતું કે આ ચોખા પ્લાસ્ટીકના નહીં પણ ફોર્ટીફાઇડ ચોખા છે. જે વિદ્યાર્થીઓને પુરતા પ્રમાણમાં પોષણ મળી રહે તે માટે કેટલીક માત્રા ઉમેરવામાં આવે છે. મામલતદારની વાત સાંભળીને ગ્રામજનોને થોડી રાહત થઇ હતી. જો કે હજુ પણ કેટલાંક લોકોને આ મામલે વિશ્વાસ આવી રહ્યો નથી.
તો બીજી તરફ આ વિવાદ વધુ ન વકરે અને ગેરમાન્યતા ન ફેલાય તે માટે એફએસએલ પાસે આ ચોખાનો રિપોર્ટ કરાવવામાં પણ આવ્યો હતો. હવે તમને સવાલ થશે કે આખરે આ પ્લાસ્ટીકના ચોખા શુ છે અને તે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, આ ઉપરાંત તેને તૈયાર કરવા માટેનો ઉદ્દેશ્ય શું છે ? તે જાણવુ દરેક લોકો માટે જરૂરી છે. આ અંગે ગાંધીનગર સ્થિત ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના અંતર્ગત એફઆરએલ એટલે કે ફૂડ રિસર્ચ લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. જ્યાં સરકારી યોજનામાં મળતા અનાજ ની તપાસ કરવામાં આવે છે.
નોંધનિય છે કે, ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં આ ચોખાની તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરાયો છે કે આ ચોખા ખરેખર પ્લાસ્ટીકના નહીં પણ ફોર્ટીફાઇડ ચોખા છે. તો બીજી તરફ આ સંગગ્ર વિવાદ પર અંગે એફએસએલના અધિકારી જીપી દરબારે જણાવ્યું કે, તે હાલના સમયે શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં જે ચોખા આપવામાં આવે છે. જે ચોખામાં ફોર્ટીફાઇડ ચોખા ઉમેરવામાં આવે છે. આ ફોર્ટીફાઇડ ચોખામાં વિટામીન ડી 3, બી-12 અને આર્યન તેમજ વિટામીન એ હોય છે. તમને જણાવી દઈએ કે આ બધી પ્રક્રિયાને કારણે આ ચોખા સામાન્ય ચોખાથી થોડા અલગ તરી આવે છે.
તમને જણાવી દઈએ કે, આ ચોખા તૈયાર કરવાની ખાસ પધ્ધતિ છે જેમાં ચોખાનો લોટ તૈયાર કરવામાં આવે છે અને તે લોટમાં વિટામીન ડી 3, બી-12 અને આર્યન તેમજ વિટામીન એ ના તત્વો ઉમેરવામાં આવે છે. અને ત્યાર બાદ ફરીથી પ્રક્રિયા કરીને લોટને ચોખાનો આકાર આપવામાં આવે છે, તમને જણાવી દઈએ કે, એક ચોક્કસ માત્રામાં ચોખામાં તેને ઉમેરવામાં આવે છે. આ ચોખાને એફઆરકે એટલે ફોર્ટીફાઇડ રાઇસ કર્નલ કહેવામાં આવે છે.
ફોર્ટિફાઇડ ચોખા કુપોષણ દૂર કરવા માટે અસરકારક છે
નોંધનિય છે કે, ફોર્ટીફાઇડ ચોખા ઉમેરવાનો સરકારનો હેતુએ હતો કે કુપોષિત વિદ્યાર્થીઓને પુરતા પ્રમાણમાં પોષણ મળી રહે અને વિદ્યાર્થીઓને વધુ લાભ થઇ શકે. તેથી જ બાળકો માટે આ ચોખા તૈયાર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ચોખાથી વિદ્યાર્થીઓને કે અન્ય કોઇ વ્યક્તિને કોઇ નુકસાન થતુ નથી તેમના માટે આ ચોખા સ્વાસ્થ્ય વર્ધક છે. મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોમાં ફોર્ટિફાઇડ આયર્ન અને વિટામિન્સ ધરાવતા ખાસ ચોખા વહેંચવામાં આવ્યા છે. જો કે ગ્રામ જનો આ વાતથી અજાણ હતા તેથી તેના મનમાં ગેરસમજ ઉભી થઈ હતી.