આઈપીએલ 2021ને કોરોનાના કારણે સ્થગિત કરવું પડ્યું હતું. જેના બાકી બચેલા મેચને બીજા ચરણમાં પુર્ણ કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. આઈપીએલ 2021ના અધુરા મેચ 19 સપ્ટેમ્બરથી શરુ થવા જઈ રહ્યા છે. ગત 4 મેના રોજ ટુર્નામેન્ટને સ્થગિત કરવામાં આવી હતી. તે સમયે ટુર્નામેન્ટની 60 મેચમાંથી 29 મેચ રમાઈ ચુકી હતી. જ્યારે હવે 31 મેચ જે બાકી છે કે 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે યૂએઈમાં રમાશે.
આ મેચની પૂર્વ તૈયારીઓ શરુ થઈ ચુકી છે અને આ વખતે બીસીસીઆઈ કોરોનાને લઈને કોઈ બેદરકારી દાખવવા ઈચ્છતું નથી તેથી એક મોટી જાહેરાત પણ કરી દેવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે યૂએઈ એ જ ખેલાડીઓ જશે જેમમે રસીના બંને ડોઝ લીધા હશે. આ અંગે બોર્ડ દ્વારા તમામ ફ્રેંચાઈઝીઓને પણ જાણ કરી દેવામાં આવી છે. બોર્ડે ફ્રેંચાઈઝીઓને જણાવ્યું છે કે તમામ ખેલાડીઓને સમયસર રસીના બંને ડોઝ લગાડી દેવામાં આવે.
સૂત્રોના જણાવ્યાનુસાર બીસીસીઆઈએ તમામ ટીમોને જણાવી દીધું છે કે યૂએઈ જતા પહેલા તમામ ટીમના સભ્યોને કોરોનાની રસીના બંને ડોઝ આપી દેવામાં આવે. જેથી યૂએઈ પહોંચ્યા બાદ કોઈ સમસ્યા થાય નહીં. ઉલ્લેખનીય છે કે યૂએઈ પહોંચ્યા બાદ ખેલાડીઓ અને અન્ય સભ્યોને 7 દિવસ કોરોન્ટાઈન રહેવું પડશે. ત્યારબાદ તેમના કોરોના ટેસ્ટ થશે અને રિપોર્ટ નેગેટિવ આવશે તો ખેલાડીઓ તાલીમ અને પ્રેક્ટિસ કરી શકશે.
આઈપીએલના અધુરા મેચ 19 સપ્ટેમ્બરથી શરુ થવાના છે. બાકી બચેલા 31 મેચમાંથી 13 મેચ દુબઈમાં રમાશે. આ ઉપરાંત શારજહામાં 10 અને અબુધાબીમાં 8 મેચ રમાશે. આઈપીએલ પછી ટી20 વર્લ્ડ કપના મેચ પણ યૂએઈમાં 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે રમાશે. તેવામાં તમામ દેશના ખેલાડીઓ આઈપીએલમાં ઉતરવા આતુર છે. જો કે હાલ પણ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેંડના ખેલાડીઓના રમવા પર શંકા છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન આઈપીએલ ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદના પણ કેપ્ટન છે. તેમનો આઈપીએલનો રસ્તો સાફ થઈ ચુક્યો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે વિલિયમ્સ આઈપીએલમાં રમશે. જ્યારે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિંસ પણ કહી ચુક્યા છે કે આઈપીએલના મેચ રમવા મુશ્કેલ છે. તેઓ કેકેઆરની ટીમમાંથી રમે છે.
મહત્વનું છે કે આઈપીએલ 2020 ની સીઝનનું આયોજન પણ યૂએઈમાં થયું હતું અને મુંબઈ ઈંડિયંસે રિકોર્ડ બ્રેક રીતે 5મી વખત ટાઈટલ પર જીત મેળવી હતી.